૨૪ કલાકમાં ૧૫૮ તાલુકામાં વરસાદ: માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે, જેનું મુખ્ય કારણ મોનસૂન ટ્રફ છે. આ આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આજે રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે.
આજે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે અહીં અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેને કારણે અહીં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદાના નાંદોદમાં ૪ ઇંચ, ઉમરપાડામાં પણ ૪ ઇંચ, ઝઘડિયામાં સવા ૩ ઇંચ, બાલાસિનોરમાં ૩ ઇંચ, ગરુડેશ્વરમાં પોણા ૩ ઇંચ અને વડોદરામાં સવા ૨ ઇંચ જેટલો નોંધાયો છે.
બીજી બાજુ, દેશની રાજધાની દિલ્હીમાં પણ પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. યમુના નદીનું જળસ્તર આજે ૨૦૭.૪૬ મીટર પર પહોંચ્યું છે, જે ખતરાના નિશાન કરતાં બે મીટર વધુ છે. હરિયાણાના હથિનીકુંડ બેરાજમાંથી પાણી છોડવામાં આવતા દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

