અસલી પનીર કે નકલી ઝેર? હવે ગુજરાતની હોટલોએ ગ્રાહકોને આપવો પડશે હિસાબ, જાણો નવા નિયમો.
ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) એ તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો માટે એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ આદેશ મુજબ, જો કોઈ રેસ્ટોરન્ટ કે હોટલ પનીર જેવી દેખાતી પરંતુ વનસ્પતિ તેલ કે અન્ય પદાર્થોમાંથી બનેલી વસ્તુ (એનાલોગ પનીર) નો ઉપયોગ કરે છે, તો તેણે મેનૂ કાર્ડ પર તેની સ્પષ્ટતા કરવી પડશે. હવે ગ્રાહકને અંધારામાં રાખીને પનીરના નામે ‘એનાલોગ’ પીરસવું એ કાયદાકીય ગુનો ગણાશે.
શું છે આ ‘એનાલોગ પનીર’? કેમ તે સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે?
ઘણીવાર રેસ્ટોરન્ટ્સ પોતાનો નફો વધારવા માટે અસલી પનીરને બદલે ‘પનીર એનાલોગ’ (Analogue Paneer) નો ઉપયોગ કરતી હોય છે.
-
કેવી રીતે બને છે? અસલી પનીર શુદ્ધ દૂધમાંથી બને છે, જ્યારે એનાલોગ પનીર બનાવવા માટે દૂધના પાવડર, વનસ્પતિ તેલ (Palm Oil) અને સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે.
-
કેમ તે ખતરનાક છે? દેખાવમાં તે આબેહૂબ પનીર જેવું જ લાગે છે અને સ્વાદમાં પણ ખાસ તફાવત ખબર પડતી નથી. પરંતુ તેમાં રહેલું ટ્રાન્સ ફેટ અને કેમિકલ્સ લાંબે ગાળે હૃદયની બીમારીઓ અને પાચનની સમસ્યાઓ નોંતરે છે.
Ensuring purity, transparency, and trust in every bite Gujarat State FDCA is on a special drive to check Paneer & Cheese quality across restaurants
✔ Original products only
✔ Clear disclosure of analogue products on Notice Board/Menu
Stay compliant. Stay safe.@prafulpbjp pic.twitter.com/aNwzwizbzd
— Food & Drugs Control Admn, Gujarat State (@GJFoodSafety) April 4, 2026
FDCA નો કડક આદેશ: ડિસ્પ્લે બોર્ડ પર લખવું પડશે ‘Analogue’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતા ગુજરાત FDCA એ જણાવ્યું છે કે, તમામ ખાદ્ય વ્યવસાયોએ મેનૂ કાર્ડ, ડિસ્પ્લે બોર્ડ કે નોટિસ બોર્ડ પર ગ્રાહકો સરળતાથી વાંચી શકે તે રીતે લખવું પડશે કે તેઓ પનીરનો ઉપયોગ કરી રહ્યા છે કે એનાલોગનો.
નિયમમાં શું સ્પષ્ટ કરવામાં આવ્યું છે?
-
જો વાનગીમાં અસલી પનીર નથી, તો તેને ‘પનીર’ તરીકે વેચી શકાશે નહીં.
-
જો તમે એનાલોગ વાપરો છો, તો વાનગીના નામની બાજુમાં ‘Analogue’ લખવું ફરજિયાત છે.
-
ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ ભારે દંડ અને કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે.
ગ્રાહકોના હિતમાં લેવાયેલું મોટું પગલું
ગુજરાતમાં પનીરની વાનગીઓ અત્યંત લોકપ્રિય છે, ખાસ કરીને બહાર જમવા જતા પરિવારોમાં પનીરની એક આઈટમ તો હોય જ છે. અત્યાર સુધી ગ્રાહકો પાસે એ જાણવાનો કોઈ રસ્તો નહોતો કે તેઓ જે મોંઘા ભાવે પનીર ખાઈ રહ્યા છે તે અસલ છે કે ભેળસેળિયું. સરકારના આ નિર્ણયથી ગ્રાહકો પાસે હવે ‘પસંદગીનો અધિકાર’ (Right to Choose) હશે. જો ગ્રાહકને ખબર હશે કે આ એનાલોગ છે, તો તે પોતાની મરજીથી તે ઓર્ડર કરવો કે નહીં તે નક્કી કરી શકશે.
ભેળસેળિયા તત્વો પર કસાશે સકંજો
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ શહેરોમાંથી નકલી પનીર બનાવવાના મોટા કારખાનાઓ ઝડપાયા છે. તહેવારોની સીઝનમાં આ દૂષણ વધુ વ્યાપક બને છે. સરકારના આ નવા નિયમથી માત્ર રેસ્ટોરન્ટ્સ જ નહીં, પણ નકલી પનીર બનાવતા સપ્લાયર્સ પર પણ સીધી અસર પડશે. જ્યારે રેસ્ટોરન્ટ માલિકોએ મેનૂમાં ડિસ્ક્લેમર આપવું પડશે, ત્યારે તેઓ પણ નકલી પનીર ખરીદતા અચકાશે.