રાજ્યમાં મતદાન યાદીના ડિજિટાઇઝેશનમાં ઝડપ, ઘણા વિસ્તારોમાં કાર્ય પૂર્ણ
ગુજરાતમાં ચાલી રહેલા SIR અભિયાન દરમિયાન ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. રાજ્યભરમાં હાલની મતદાર યાદીમાં 17 લાખથી વધુ મૃત્યુ પામેલા લોકોનાં નામ હજુ સુધી નોંધાયેલા હોવાનું ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની ઓફિસે જાહેર કર્યું છે. આ માહિતી ગુરુવારે જારી કરાયેલા અખબારી નિવેદનમાં રજૂ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર પ્રક્રિયાનું વર્ણન આપવામાં આવ્યું છે.
4 નવેમ્બરથી શરૂ થયેલી SIR કાર્યવાહી ચાલુ
મતદાર યાદી સુધારણા માટેની SIR પ્રક્રિયા 4 નવેમ્બરે શરૂ કરવામાં આવી હતી, જેમાં બુથ લેવલ ઓફિસરોએ પોતાના વિસ્તાર મુજબ ગણતરી ફોર્મ વહેંચવાનું કામ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ 11 ડિસેમ્બર સુધી ચાલવાની છે. એક મહિનામાં 2025ની યાદીમાં સમાવાયેલ 5 કરોડથી વધુ મતદાતા સુધી ફોર્મ પહોંચાડવાના પ્રયાસમાં મોટા ભાગના જિલ્લાઓએ 100 ટકા વહેંચણીનું કામ પૂર્ણ કર્યું છે. હવે પ્રાપ્ત થયેલા ફોર્મના ડિજિટાઇઝેશનની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે.
ઘણા વિધાનસભા ક્ષેત્રોમાં ડિજિટાઇઝેશન પૂર્ણ
182માંથી 12 વિધાનસભા બેઠકોમાં ડિજિટાઇઝેશનનું કામ સંપૂર્ણ થઇ ગયું છે. તેમાં ધાનેરા અને થરાદ (બનાસકાંઠા), લિમખેડા તથા દાહોદ (દાહોદ), બાયડ (અરવલ્લી), ધોરાજી, જસદણ અને ગોંડલ (રાજકોટ), કેશોદ (જૂનાગઢ), મહેમદાબાદ (ખેડા), ખંભાત (આણંદ) અને નવસારીનો સમાવેશ થાય છે. ખાસ કરીને ડાંગ જિલ્લો 94.35 ટકા ડિજિટાઇઝેશન સાથે રાજ્યમાં સૌથી આગળ છે, જેના કારણે અહીંની કામગીરીને વખાણ મળ્યા છે.
મૃતક, ગાયબ અને સ્થાયી રીતે સ્થળાંતર કરેલા મતદાતાઓનો ખુલાસો
આ અભિયાન દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે રાજ્યભરમાં 17 લાખથી વધુ મૃતકોના નામ યાદીમાં હજી પણ અસ્તિત્વ ધરાવે છે. ઉપરાંત 6.14 લાખથી વધુ લોકો પોતાના સરનામે ઉપલબ્ધ નથી, જ્યારે 30 લાખથી વધુ લોકો હંમેશા માટે સ્થળાંતર કરી ચૂક્યા છે. આ આંકડા દર્શાવે છે કે મતદાર યાદીના શુદ્ધિકરણની પ્રક્રિયા પહેલા કરતાં વધુ કડક અને પ્રણાલીત જરૂરી બની ગઈ છે.
રિપીટેડ કેટેગરીમાં પણ મોટી સંખ્યા મળી
રિલીઝ મુજબ BLOઓએ લગભગ 3.25 લાખથી વધુ મતદાતાઓ એવા શોધ્યા, જેઓ ‘રિપીટેડ કેટેગરી’માં આવે છે. એટલે કે એક જ મતદાતાનું નામ બે કે વધુ જગ્યાએ નોંધાયું છે. આ સ્થિતિ દસ્તાવેજોની ખામી, સ્થળાંતર અથવા સમયસર વિગતો અપડેટ ન થવાથી સર્જાય છે, જેને સુધારવા ચૂંટણી વિભાગ વધુ સક્રિય બન્યો છે.

