સાવધાન! રાત્રે 9 વાગ્યા પછી પેટ ભરીને જમવાની આદત પડી શકે છે ભારે, નવી સ્ટડીમાં થયો મોટો ખુલાસો
આજના ભાગદોડભર્યા જીવનમાં ઘણા લોકો રાત્રે મોડા ઘરે આવે છે અને 9 કે 10 વાગ્યા પછી ભારે ભોજન લેતા હોય છે. પરંતુ આ આદત તમારા પાચનતંત્ર (ગટ હેલ્થ) માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સંશોધકોના મતે, મોડી રાત્રે જમવું એ માત્ર વજન વધારવા પૂરતું મર્યાદિત નથી, પણ તે પાચનતંત્રને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડે છે.
શું કહે છે લેટેસ્ટ સ્ટડી?
અભ્યાસના ડેટા મુજબ, જે લોકો રાત્રે 9 વાગ્યા પછી તેમની આખા દિવસની કુલ કેલરીના 25 ટકાથી વધુ ભાગ આરોગતા હતા, તેમનામાં કબજિયાતની સમસ્યા સૌથી વધુ જોવા મળી હતી. ખાસ કરીને જે લોકો માનસિક તણાવ (Stress) માં હતા અને મોડેથી જમતા હતા, તેમનામાં કબજિયાતનું જોખમ સામાન્ય લોકો કરતા 1.7 ગણું વધુ હોવાનું નોંધાયું છે.
ગટ-બ્રેન કનેક્શન (Gut-Brain Connection): મન અને પેટનો સંબંધ
આ સ્ટડીના મુખ્ય લેખક ડૉ. હરિકા દાદિગીરીના જણાવ્યા મુજબ, આપણે શું ખાઈએ છીએ તેની સાથે ‘ક્યારે’ અને ‘કેટલું’ ખાઈએ છીએ તે પણ ખૂબ મહત્વનું છે. તેમણે ‘ગટ-બ્રેન કનેક્શન’ વિશે સમજાવતા કહ્યું કે આપણું મગજ અને પાચનતંત્ર એકબીજા સાથે જોડાયેલા છે.
જ્યારે કોઈ વ્યક્તિ માનસિક તણાવમાં હોય છે, ત્યારે તેના પેટના સારા બેક્ટેરિયાનું સંતુલન બગડે છે. જો આ સ્થિતિમાં રાત્રે વધુ પડતું જમવામાં આવે, તો તે પાચનક્રિયાને વધુ નબળી પાડે છે, જેના કારણે કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ કાયમી બની જાય છે.
મોડી રાત્રે જમવાથી કબજિયાત કેમ થાય છે?
માનવ શરીરની કુદરતી ઘડિયાળ (Circadian Rhythm) મુજબ, દિવસની સરખામણીએ રાત્રે પાચનશક્તિ ધીમી પડી જાય છે.
ધીમી મેટાબોલિક પ્રવૃત્તિ: રાત્રે આંતરડાની હલચલ (Gat Movement) ઓછી થઈ જાય છે.
અધૂરું પાચન: જો મોડી રાત્રે ભારે ખોરાક લેવામાં આવે, તો તે બરાબર પચતો નથી અને લાંબા સમય સુધી આંતરડામાં પડો રહે છે, જે કબજિયાતનું મુખ્ય કારણ બને છે.
આ સમસ્યાથી બચવા શું કરવું?
નિષ્ણાતો પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે નીચે મુજબના સૂચનો આપે છે:
હલકું ભોજન: રાત્રે હંમેશા હલકો અને જલ્દી પચી જાય તેવો ખોરાક લેવો. રાત્રિભોજન અને સૂવા વચ્ચે ઓછામાં ઓછો 2-3 કલાકનો ગેપ રાખવો.
તણાવ મુક્ત રહો: માનસિક તણાવ ઓછો કરવા માટે મેડિટેશન અથવા ઊંડા શ્વાસ લેવાની કસરત કરો.
નિયમિત વ્યાયામ: રોજ સવારે અથવા સાંજે યોગ, વોકિંગ કે કસરત કરવાની આદત પાડો.
પૂરતી ઊંઘ: પાચનતંત્રને રિપેર થવા માટે 7-8 કલાકની શાંત ઊંઘ ખૂબ જરૂરી છે.

