ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો દબદબો: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થયા ભારતના 8 જહાજો, દુનિયા જોતી રહી ગઈ!
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે અત્યારે દરિયાઈ માર્ગો પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ખાસ કરીને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) માંથી પસાર થવું દુનિયાભરના દેશો માટે પડકારજનક બન્યું છે. જોકે, આ મુશ્કેલ સમયમાં પણ ભારતની ‘એનર્જી સિક્યોરિટી’ અકબંધ છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ભારતના 8 જેટલા વિશાળ જહાજોએ આ ખતરનાક દરિયાઈ માર્ગને સફળતાપૂર્વક પાર કરીને ભારતની કુશળ રાજદ્વારી શક્તિનો પરિચય આપ્યો છે.
કયા જહાજોએ દરિયો ખેડ્યો?
ભારતના જે જહાજોએ આ પડકારજનક રસ્તો પાર કર્યો છે તેમાં શિવાલિક, નંદા દેવી, જગ લાડકી, પાઈન ગેસ, જગ વસંત, BW ટાયર, BW એલ્મ અને ગ્રીન સાન્વી નો સમાવેશ થાય છે. આ જહાજો સતત ભારત પહોંચી રહ્યા છે, જે દેશમાં ઈંધણ અને ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે અત્યંત જરૂરી છે. તાજેતરમાં જ ‘ગ્રીન સાન્વી’ નામનું LPG ટેન્કર ઈરાનના દરિયાઈ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે પસાર થયું છે. અનુમાન છે કે આ ટેન્કરમાં 44,000 ટન જેટલો LPG જથ્થો છે, જે ભારતની અડધા દિવસની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો છે.
ઈરાને ભારત માટે કેમ ખોલ્યા રસ્તા?
જ્યારે ઈરાને અમેરિકા, ઈઝરાયેલ અને તેમના સાથી દેશોના જહાજો પર કડક નિયંત્રણો લાદ્યા છે, ત્યારે ભારત માટે રસ્તો ખુલ્લો રાખવા પાછળ મજબૂત ડિપ્લોમસી (રાજદ્વારી સંબંધો) કામ કરી રહી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા મુજબ, ઈરાન ભારતને પોતાનો મિત્ર દેશ માને છે. ભારત ઉપરાંત ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજોને ઈરાની સત્તાવાળાઓ સાથેના સંકલનથી આ માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
હજુ વધુ જહાજો ભારત આવવાની તૈયારીમાં
નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં ભારતના વધુ બે LPG ટેન્કર ‘ગ્રીન આશા’ અને ‘જગ વિક્રમ’ પણ આ માર્ગે ભારત પરત ફરે તેવી શક્યતા છે. ‘ગ્રીન સાન્વી’ ના પસાર થવાની સાથે હવે ઈરાનની ખાડીના પૂર્વી વિસ્તારમાં ભારતના ધ્વજ ધરાવતા કુલ 17 જહાજો છે.
ભારતની ઊર્જા સુરક્ષા માટે મોટી રાહત
યુદ્ધના માહોલમાં પણ ભારતીય જહાજોનું સુરક્ષિત રીતે પસાર થવું એ સાબિત કરે છે કે વૈશ્વિક રાજનીતિમાં ભારતનું સ્થાન કેટલું મહત્વનું છે. આનાથી માત્ર દેશની તેલ અને ગેસની જરૂરિયાતો જ પૂરી નથી થઈ રહી, પણ આર્થિક રીતે પણ ભારત સુરક્ષિત રહ્યું છે. જ્યાં દુનિયાભરના દેશો આ રસ્તે જતા ડરે છે, ત્યાં ભારતના જહાજો નિર્ભયતાથી પોતાનો રસ્તો કાપી રહ્યા છે.

