ભારત-જાપાન સમિટનું સ્થળ બદલાયું: લોજિસ્ટિક્સ સમસ્યાઓને કારણે હવે આસામને બદલે દિલ્હીમાં યોજાશે બેઠક

2 Min Read

જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાત: સનાઈ તાકાચી 1-3 જુલાઈ દરમિયાન પીએમ મોદી સાથે વાર્ષિક સમિટ માટે ભારત આવશે

ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવતી વાર્ષિક સમિટ હવે નવી દિલ્હીમાં યોજાશે. જાપાનના વડા પ્રધાન સનાઈ તાકાચી 1 થી 3 જુલાઈ દરમિયાન ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત લેવાના છે. અગાઉ આ સમિટ આસામના ગુવાહાટીમાં યોજવાની યોજના હતી, પરંતુ જાપાની વડા પ્રધાનના અત્યંત વ્યસ્ત સમયપત્રક અને લોજિસ્ટિકલ મર્યાદાઓને કારણે અંતિમ ઘડીએ સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શા માટે આસામના બદલે દિલ્હીની પસંદગી?

જાપાનના વડા પ્રધાનના કાર્યક્રમો પર નજર રાખતા અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાપાનની સંસદ (ડાયેટ) નું વર્તમાન સત્ર ચાલુ હોવાથી સનાઈ તાકાચી પાસે ભારત પ્રવાસ માટે ખૂબ જ મર્યાદિત સમય છે. નવી દિલ્હીની બહાર મુસાફરી કરવાથી તેમની મુલાકાતના કલાકોમાં ઘટાડો થતો હતો, જે તેમના સત્તાવાર એજન્ડામાં અવરોધક બનતું હતું. આ ઉપરાંત, રાષ્ટ્રીય રાજધાની બહાર એક ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય સમિટના આયોજન સાથે જોડાયેલા જટિલ લોજિસ્ટિકલ પડકારોને જોતા, બંને દેશોએ સહમતીથી આ બેઠક દિલ્હીમાં રાખવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

japan1.jpg

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની સરકાર ગુવાહાટીમાં રોડ શો અને અન્ય ભવ્ય તૈયારીઓ કરવામાં કોઈ કસર છોડી નહોતી. ત્યાંના એક ફાઈવ સ્ટાર રિસોર્ટમાં સમિટના આયોજન માટે તમામ વ્યવસ્થા પણ પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ, આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વ્યસ્તતાઓને કારણે આ આયોજનને નવી દિલ્હીમાં ખસેડવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં પણ આવી જ રીતે ગુવાહાટીમાં આયોજિત સમિટ નાગરિકતા કાયદાના વિરોધને કારણે રદ કરવી પડી હતી.

- Advertisement -

આર્થિક અને વ્યૂહાત્મક એજન્ડા પર વિશેષ ધ્યાન

સમિટ માટે જાપાનના વડા પ્રધાન સાથે આશરે 50 વ્યવસાયિક નેતાઓનું એક મોટું પ્રતિનિધિમંડળ ભારત આવી રહ્યું છે. આ બેઠક માત્ર ઔપચારિક નથી, પરંતુ બંને દેશો માટે આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વની છે. ચર્ચાઓના મુખ્ય એજન્ડામાં સેમિકન્ડક્ટર ટેકનોલોજી, સંરક્ષણ સહયોગ, મહત્વપૂર્ણ ખનિજો, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન અને ભારતનો મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ્વે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

japan.jpg

ભારત અને જાપાન વચ્ચે પૂર્વોત્તર ભારતના વિકાસ માટે ‘એક્ટ ઈસ્ટ ફોરમ’ જેવું વિશિષ્ટ માળખું કાર્યરત છે. ટોક્યો દ્વારા અત્યાર સુધીમાં પૂર્વોત્તર ભારતના વિકાસ માટે 1,600 કરોડ રૂપિયાથી વધુની વિદેશી સહાય આપવામાં આવી છે, જે બંને દેશો વચ્ચેના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.

- Advertisement -
Share This Article