શું ઈરાન-અમેરિકા યુદ્ધ વિરામ તરફ? ઉત્તર કેરોલિનામાં પત્રકારો સામે ટ્રમ્પનો ધડાકો
પશ્ચિમ એશિયામાં મહિનાઓથી ચાલી રહેલા ભયાનક લશ્કરી સંઘર્ષ વચ્ચે એક મોટા રાજદ્વારી સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને વોશિંગ્ટનનો સીધો સંપર્ક કર્યો છે અને તે આ ચાલી રહેલા યુદ્ધને વિરામ આપવા માટે એક ચોક્કસ કરાર અથવા સોદો કરવા માંગે છે. ટ્રમ્પના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે એવી આશા જાગી છે કે મધ્ય પૂર્વમાં સળગી રહેલી યુદ્ધની જ્વાળાઓ હવે શાંત પડી શકે છે.
ઉત્તર કેરોલિનાના પ્રવાસે પહોંચેલા પ્રમુખ ટ્રમ્પે વિમાનમથક પર પત્રકારો સાથે વાતચીત કરતી વખતે આ સસંસનીખેજ ખુલાસો કર્યો હતો. જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે તેઓ વર્તમાન અમેરિકા-ઈરાન યુદ્ધને કયા તબક્કામાં જુએ છે, ત્યારે ટ્રમ્પે અત્યંત સકારાત્મક વલણ અપનાવતા કહ્યું હતું કે, “આશા છે કે, આપણે આ યુદ્ધના આખરી અંતની ખૂબ નજીક પહોંચી ગયા છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઈરાન હવે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એક વ્યવહારુ ઉકેલ અને સોદો ઈચ્છે છે, અને અમેરિકી પ્રશાસન એ જોઈ રહ્યું છે કે આ વાટાઘાટો આગળ કેવી રીતે વધે છે.
કોઈ મધ્યસ્થી નહીં, ઈરાને સીધો સંવાદ સાધ્યો
સૌથી મહત્વની બાબત એ રહી કે જ્યારે પત્રકારોએ ટ્રમ્પને સ્પષ્ટતા કરવા પૂછ્યું કે શું ઈરાને કોઈ ત્રીજા દેશ કે મધ્યસ્થી દ્વારા સંદેશો મોકલ્યો છે કે પછી સીધો સંપર્ક કર્યો છે, ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો હતો, “સીધો.” ટ્રમ્પના આ ટૂંકા પરંતુ અત્યંત મહત્વપૂર્ણ જવાબથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો વચ્ચે બેક-ચેનલ ડિપ્લોમસીને બદલે હવે સીધા સ્તરે વાતચીત શરૂ થઈ ચૂકી છે.
આ સંઘર્ષની શરૂઆત ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી, જ્યારે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાનના લશ્કરી થાણાઓ, સરકારી ઈમારતો, મિસાઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર ડિફેન્સ સિસ્ટમ પર શ્રેણીબદ્ધ મોટા હુમલાઓ કર્યા હતા. તેના જવાબમાં ઈરાને પણ મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયલ પર સેંકડો ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો છોડીને વળતો પ્રહાર કર્યો હતો. આ વળતા પ્રહારોને કારણે સમગ્ર પ્રદેશમાં એક મોટા પ્રાદેશિક યુદ્ધનો ભય સર્જાયો હતો.
હોર્મુઝ સ્ટ્રેટ અને વૈશ્વિક અર્થતંત્ર પર અસર
ઈરાન અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષની સૌથી માઠી અસર વૈશ્વિક ઉર્જા પુરવઠા પર પડી છે. ખાસ કરીને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) જળમાર્ગ પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. જૂન મહિનામાં આ જળમાર્ગને સલામત રીતે ફરીથી ખોલવા માટે એક પ્રારંભિક સંમતિ પત્ર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા, જેને સર્વગ્રાહી શાંતિ કરાર તરફના પ્રથમ પગલા તરીકે જોવામાં આવ્યું હતું.
વાતચીત દરમિયાન પત્રકારોએ યુદ્ધના કારણે વધી રહેલા તેલના ભાવ, મોંઘવારી અને વ્યાજદરમાં વધારા અંગે પણ ટ્રમ્પને પ્રશ્નો પૂછ્યા હતા. જોકે ટ્રમ્પે મોંઘવારીના કારણે વ્યાજદરમાં વધારો થઈ રહ્યો હોવાના દાવાને ફગાવી દીધો હતો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાનું અર્થતંત્ર હાલમાં ઈતિહાસના સૌથી મજબૂત તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને સરકાર પરિસ્થિતિને પૂર્ણપણે નિયંત્રણમાં રાખવા માટે સક્ષમ છે.
રાજદ્વારી વાટાઘાટો અને ભવિષ્યની દિશા
છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતા આ યુદ્ધમાં બંને પક્ષે ભારે આર્થિક અને સૈન્ય નુકસાન થયું છે. હવે જ્યારે ઈરાન પોતે સામે ચાલીને શાંતિપૂર્ણ ઉકેલ અને સોદા માટે આગળ આવ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય કૂટનીતિના તજજ્ઞો આ ઘટનાક્રમને ખૂબ મહત્વનો માની રહ્યા છે.
જો અમેરિકા અને ઈરાન વચ્ચે આ સીધી વાટાઘાટો સફળ રહે છે, તો માત્ર પશ્ચિમ એશિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કૂડ ઓઈલના ભાવ અને સપ્લાય ચેઈનમાં મોટો સુધારો જોવા મળશે. ટ્રમ્પના નિવેદન પરથી સંકેત મળે છે કે આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે એક ઔપચારિક શાંતિ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે, જે આ પ્રદેશમાં સ્થિરતા લાવવા માટે નિર્ણાયક સાબિત થશે.
