મોદી સરકારની ચાંદી જ ચાંદી: સંકટના સમયે RBI બનશે મુશ્કેલી નિવારક, ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ મળવાની આશા
વૈશ્વિક સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવે ભારતીય અર્થતંત્ર પર દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને આયાત બિલની ચિંતાએ સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જનતાને અપીલ કરી છે કે તેઓ સોનાની ખરીદી ઘટાડે અને તેલની બચત કરે જેથી દેશના વિદેશી મુદ્રા ભંડાર પરનું ભારણ ઓછું કરી શકાય. જોકે, આ ભૌગોલિક-રાજકીય સંકટની વચ્ચે એક ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં ભારત સરકારની તિજોરીમાં આશરે 3 લાખ કરોડ રૂપિયાની માતબર રકમ આવવા જઈ રહી છે.
કોણ બનશે સરકારનું તારણહાર?
આર્થિક સંકટના આ સમયમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સરકાર માટે સૌથી મોટી મદદગાર સાબિત થવાની છે. સરકારને આ રકમ ‘ડિવિડન્ડ’ અથવા ‘લાભાંશ’ સ્વરૂપે મળશે. નિયમ મુજબ, સરકારી કંપનીઓ અને બેંકો દર વર્ષે તેમના નફાનો એક હિસ્સો સરકારને ડિવિડન્ડ તરીકે આપે છે. આમાં સૌથી મોટો હિસ્સો આરબીઆઈનો હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મધ્ય એશિયાના સંકટ વચ્ચે આરબીઆઈ ટૂંક સમયમાં જ તેના લાભાંશની જાહેરાત કરી શકે છે. એવો અંદાજ છે કે આ વખતે આ રકમ અત્યાર સુધીનો ‘રેકોર્ડ બ્રેક’ લાભાંશ હશે.
કેટલો નફો મળવાની છે આશા?
જો આપણે પાછલા વર્ષના આંકડાઓ પર નજર કરીએ, તો નાણાકીય વર્ષ 2024-25માં સરકારે આરબીઆઈ પાસેથી 2.69 લાખ કરોડ રૂપિયાનો લાભાંશ મેળવ્યો હતો, જે તેના અગાઉના વર્ષના 2.11 લાખ કરોડ કરતા 27 ટકા વધુ હતો. આ વર્ષે સરકારી બેંકોએ બમ્પર નફો કર્યો છે, જેના કારણે આરબીઆઈનો નફો પણ વધ્યો હોવાનું અનુમાન છે. મે મહિનામાં જ આરબીઆઈની મહત્વની બેઠક યોજાવાની છે, જેમાં લાભાંશની અંતિમ રકમ પર મહોર મારવામાં આવશે. નિષ્ણાતો માને છે કે આ રકમ ₹3 લાખ કરોડના આંકડાને સ્પર્શી શકે છે.
બજેટના અંદાજો અને વાસ્તવિકતા
સરકારી બજેટ દસ્તાવેજો મુજબ, કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ 2026-27માં આરબીઆઈ, જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી કુલ 3.16 લાખ કરોડ રૂપિયાના લાભાંશની અપેક્ષા છે. આ ચાલુ નાણાકીય વર્ષ કરતા 3.75 ટકા વધુ છે. જોકે, આર્થિક બાબતોના જાણકારોનું કહેવું છે કે વાસ્તવિક આંકડો બજેટના અંદાજ કરતા પણ ઘણો ઊંચો હોઈ શકે છે.
બેંકોની બેલેન્સ શીટ અને એસેટ ક્વોલિટીમાં થયેલા સુધારાને કારણે નાણાકીય વર્ષ 2025-26માં સરકારી બેંકોએ જબરદસ્ત દેખાવ કર્યો છે:
-
ઓપરેટિંગ પ્રોફિટ: 3.21 લાખ કરોડ રૂપિયા.
-
ચોખ્ખો નફો (Net Profit): 1.98 લાખ કરોડ રૂપિયા (જે અગાઉના વર્ષ કરતા 11.1 ટકા વધુ છે). આ સતત ચોથું વર્ષ છે જ્યારે સરકારી બેંકોએ નફાનો નવો વિક્રમ સ્થાપ્યો છે.
સરકારી કંપનીઓનું યોગદાન
માત્ર બેંકો જ નહીં, પરંતુ જાહેર ક્ષેત્રની અન્ય કંપનીઓ (PSUs) પાસેથી પણ સરકારને આશરે 75 હજાર કરોડ રૂપિયાનો લાભાંશ મળવાનો અંદાજ છે, જે ગયા વર્ષના 71 હજાર કરોડ કરતા વધુ છે. સરકારને મળતું આ ડિવિડન્ડ અને સરપ્લસ રકમ ‘નોન-ટેક્સ રેવેન્યુ’ (બિન-કર આવક) હેઠળ આવે છે. આ આવક સરકારને રાજકોષીય ખાધ (Fiscal Deficit) ઘટાડવામાં અને જનકલ્યાણની યોજનાઓ માટે નાણાં ફાળવવામાં મોટી મદદ કરશે.

