હૈદરાબાદના ડૉક્ટર સહિત અનેક ધરપકડ, ઘરમાંથી ઝેરી પદાર્થોની સામગ્રી મળી
ગુજરાત ATS દ્વારા ISIS મોડ્યુલ સંબંધિત એક ગંભીર અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ મોડ્યુલના સભ્યો દેશના અનેક વિસ્તારોમાં રાઈઝિન નામના અત્યંત ઝેરી કેમિકલનો ઉપયોગ કરીને હુમલો કરવાની યોજના બનાવતા હતા. આ કામગીરીનો માસ્ટરમાઈન્ડ અહેમદ સૈયદ મોઇનુદ્દીન 7 નવેમ્બરની સાંજે અમદાવાદની હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સની બહાર જોવા મળ્યો હતો. શંકા છે કે તેઓ હથિયાર અને ઉપકરણો એકત્રિત કરવા માટે અમદાવાદ પહોંચ્યા હતા.
મોહમ્મદ સુહેલ પાસેથી ISIS ઝંડા અને ગુપ્ત દસ્તાવેજો મળ્યા
ઉત્તર પ્રદેશના લખીમપુરમાં રહેતા અને આ જ મોડ્યુલ સાથે સંકળાયેલા મોહમ્મદ સુહેલ પાસેથી કાળા ISIS ઝંડા સહિત કેટલીક શંકાસ્પદ સામગ્રી મળી આવી છે. સુહેલ સાથે જોડાયેલા દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે, આ મોડ્યુલના હેન્ડલરો વચ્ચેની વાતચીત ડિજિટલ રીતે સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવતી હતી. બીજી તરફ, ચીનથી એમબિબીએસ પૂર્ણ કરનાર અને હૈદરાબાદમાં રહેતા ડૉક્ટર અહેમદ સૈયદની પણ આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત વિગતો ATSને મળી છે, જેમાં તેમની ઓળખ અને હેન્ડલરોના સંપર્કની માહિતી સામેલ છે.
હૈદરાબાદમાં ATSની કાર્યવાહી અને મોટાપાયે સામગ્રી જપ્ત
ગુજરાત ATS દ્વારા ત્રણ આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને આ જ કેસમાં હૈદરાબાદથી ડૉક્ટર અહેમદ સૈયદની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે ATSની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી, ત્યારે તેઓએ મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી કબજે કરી હતી. સામગ્રીમાંથી કેટલાક રસાયણો અને સાધનો એવા હતા જે ઝેરી પદાર્થોની તૈયારી માટે વપરાઈ શકે છે.
અહેમદના પરિવારનો દાવો અને જપ્ત થયેલી વસ્તુઓ
ડૉક્ટર અહમદના ભાઈ ઉમરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, તેમની પાસે થી 3 કિલો એરંડાનો પલ્પ, 5 લિટર એસીટોન, તેલ કાઢવાનું મશીન અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ઉમરનું કહેવું છે કે અહેમદે ચીનમાં અભ્યાસ દરમિયાન એક વૈજ્ઞાનિક પ્રોજેક્ટ પર કામ કર્યું હતું, જેના માટે તેઓએ આ સામગ્રી એકત્રિત કરી હશે. તેઓ માને છે કે તેમના ભાઈને રાઈઝિનના જોખમ વિશે પૂરતી જાણ ન હતી.
રાઈઝિન: અત્યંત ઝેરી પદાર્થ, જૈવિક હુમલામાં વપરાઈ શકે
તપાસ દરમિયાન સૌથી ચિંતાજનક મુદ્દો રાઈઝિન નામના ઝેરી પ્રોટીનનો છે. એરંડાના બીજમાંથી તેલ કાઢવાની પ્રક્રિયા બાદ બાકી રહેતા પલ્પમાંથી રાઈઝિન ઉત્પન્ન થાય છે. આ પદાર્થ એટલો ઝેરી છે કે તે શ્વાસ દ્વારા શરીરમાં જાય, ઇન્જેક્ટ કરવામાં આવે અથવા ગળી લેવાય તો ઓછા સમયમાં જીવલેણ સાબિત થઈ શકે છે. વિશ્વભરમાં તેને જૈવિક શસ્ત્ર તરીકે સૌથી ખતરનાક ગણવામાં આવે છે.

