૭૪૦૦ કરોડ જીવાણુઓનો ચમત્કાર: જીવામૃત કેવી રીતે જમીનને જીવંત બનાવે છે
ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના પ્રણેતા અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા લિખિત પુસ્તક “પ્રાકૃતિક કૃષિ”માં ખેતી માટે વરદાન સમાન ‘જીવામૃત’ બનાવવાની પદ્ધતિ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વારંવારના પ્રયોગો બાદ સાબિત થયું છે કે રાસાયણિક ખાતરોના વિકલ્પ તરીકે જીવામૃત જમીનની ફળદ્રુપતામાં ચમત્કારિક સુધારો કરે છે.
જીવામૃત બનાવવા માટેની જરૂરી સામગ્રી (એક એકર માટે)
પ્રાકૃતિક ખેતીના આ ફોર્મ્યુલામાં ઘરગથ્થુ અને સસ્તી વસ્તુઓનો ઉપયોગ થાય છે, જે ‘ઝીરો બજેટ’ ખેતીનો આધાર છે:
-
દેશી ગાયનું છાણ: ૧૦ કિલોગ્રામ
-
દેશી ગાયનું ગૌમૂત્ર: ૮ થી ૧૦ લીટર
-
ગોળ: ૧.૫ થી ૨ કિલોગ્રામ
-
ચણાનો લોટ (અથવા દ્વિદળી બીજનો લોટ): ૧.૫ થી ૨ કિલોગ્રામ
-
વડ કે પીપળાના નીચેની માટી: ૫૦૦ ગ્રામ (જેમાં જીવાણુઓનું પ્રમાણ વધુ હોય છે)
-
પાણી: ૧૮૦ લીટર
બનાવવાની પદ્ધતિ અને સાવચેતી
૧. તમામ સામગ્રીને એક પ્લાસ્ટિકના પીપમાં ભેગી કરી લાકડાના ડંડાથી મિશ્ર કરવી.
૨. આ મિશ્રણને ૨ થી ૩ દિવસ સુધી છાંયડામાં સડવા દેવું.
૩. ક્લોકવાઇઝ રોટેશન: દરરોજ સવાર-સાંજ બે મિનિટ માટે લાકડાના ડંડાથી ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું.
૪. ગેસ નિકાલ: સડવાની પ્રક્રિયા દરમિયાન એમોનિયા અને મીથેન જેવા વાયુઓ બને છે, તેથી પીપને કોથળાથી ઢાંકવું.
૫. ઉપયોગનો સમય: ઉનાળામાં ૭ દિવસ સુધી અને શિયાળામાં ૮ થી ૧૫ દિવસની અંદર આ જીવામૃતનો ઉપયોગ કરી લેવો જોઈએ.
વિજ્ઞાન શું કહે છે? ૭૪૦૦ કરોડ જીવાણુઓનું રહસ્ય
વૈજ્ઞાનિક સંશોધનો મુજબ, જીવામૃતના દરેક ઘટકની પોતાની ખાસ ભૂમિકા છે. જ્યારે છાણ અને ગૌમૂત્રમાં માત્ર ૩ લાખ જીવાણુઓ હોય છે, ત્યારે ગોળ અને ચણાનો લોટ ઉમેરવાથી આ સંખ્યામાં વિસ્ફોટક વધારો થાય છે:
-
માત્ર ચણાનો લોટ: ૨૫ કરોડ જીવાણુઓ.
-
માત્ર ગોળ: ૨૨૦ કરોડ જીવાણુઓ.
-
બંનેનો સંગમ: ૧૪ દિવસમાં જીવાણુઓની સંખ્યા વધીને ૭૪૦૦ કરોડ થઈ જાય છે.
જ્યારે આ જીવામૃતને પિયત (Irrigation) સાથે ખેતરમાં આપવામાં આવે છે, ત્યારે તે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓને સક્રિય કરે છે. આનાથી જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો સુધરે છે, અળસિયાની પ્રવૃત્તિ વધે છે અને પાકને જરૂરી પોષક તત્વો કુદરતી રીતે જ પ્રાપ્ત થાય છે.

