પવનચક્કી પ્રોજેક્ટ વિવાદમાં: સુરતની KP એનર્જી સામે પર્યાવરણને નુકસાન પહોંચાડવાની ફરિયાદ બાદ કાયદેસરની કાર્યવાહી
સુરતમાં હેડક્વાર્ટર ધરાવતી અને કચ્છનાં નખત્રાણમાં પવનચક્કીનો પ્રોજેક્ટ ધરાવતી કેપી એનર્જીને માલતદાર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. ફરિયાદી દ્વારા રસ્તો બનાવવા માટે પર્યાવરણને નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેપી એનર્જીનાં માલિક તરીકે સુરતના ફારુક પટેલ(ફારુક કેપી) છે.
વિગતો મુજબ કચ્છના નખત્રાણા તાલુકનાં છારી,તલ-લૈયારી અને પૈયા ગામમાં કેપી એનર્જી દ્વારા પવનચક્કી ઉભી કરવા માટે વૃક્ષો અને મીઠી ઝાડી કાપવામાં આવ્યા છે. આ ઝાડીઓ અને વૃક્ષો સત્તાધિકારીની મંજુરી વિના જ કાપવામાં આવતા નખત્રાણાના મામલતદાર આરડી પટેલે ચોથી નવેમ્બરે હાજર રહેવા માટે નોટીસ ફટકારી હતી. પરંતુ આ નોટીસનો જવાબ આપવામાં આવ્યો ન હોવાથી હવે બીજી નોટીસ ફટકકારવામાં આવશે.
વિગતો મુજબ કેપી એનર્જીએ મોજે ફુલાય(નખત્રાણા તાલુકનાં છારી,તલ-લૈયારી અને પૈયા ગામ)માં સરકારી પડતર ટ્રાવર્સ સર્વે નંબર 60/1 પૈકી વાળી જમીનમાં વૃક્ષ છેદન કર્યુ હોવાની ફરિયાદ અબ્બાસ અમીન દ્વારા કરવામાં આવી છે. મામલતદારે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદનની ધારા 1951ની જોગવાઈ પ્રમાણે શા માટે કાર્યવાહી ન કરવી તેવી નોટીસ આપી છે. વૃક્ષ છેદનને લગતા પુરાવા પણ અબ્બાસ અમીને તંત્રને આપ્યા છે. હવે નોટીસ આપીને તંત્ર આગળની શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે.
