નવસારી: ટ્રાન્ઝિટ ડેવલોપર્સને મહેસૂલ પંચનો મોટો ઝટકો, લૂન્સીકૂઈ ટાવર મામલે ‘જૈસે-થે’ની સ્થિતિનો હુકમ
નવસારીનાં ટ્રાન્ઝિટ ડેવલોપર્સ અને ટ્રાન્સવાલ કોળી હિતવર્ધક મંડળ વચ્ચે ચાલી રહેલી કાયદાકીય જંગમાં ફરી એક વખત મહેસુલ પંચે ટ્રાન્ઝિટ ડેવલોપર્સને ઝટકો આપ્યો છે. 21મી જાન્યુઆરીએ ગુજરાત મહેસુલ પંચે ટ્રાન્ઝિટ ડેવલોપર્સને જૈસે થેની સ્થિતિ રાખવા માટે વચગાળાનો હુકમ કર્યો છે.
ગુજરાત મહેસુલ પંચમાં અરજદાર અમૃત પટેલે (રહે-નવસારી હાઈસ્કુલ પાસે, ગડકરી માર્ગ, નવસારી) પોતાના વકીલ મયુર કિશનચંદાની દ્વારા નવસારીના લૂન્સીકૂઈ ખાતે આવેલા ટ્રાન્ઝિટ ડેવલોપર્સનાં ટાવરમાં જૈસે-થેની સ્થિતિ જાળવી રાખવા અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી દરમિયાન ટ્રાન્ઝિટ ડોવલોપર્સના બન્ને ડિરેક્ટર એવાં માલવ ધ્રુવ અને બાબુ ઉર્ફે રામા પટેલ(રહે-લક્ષ્મીવિલા એપાર્ટમેન્ટ, આશાનગર, નવસારી) અને ઠાકોર પટેલ વતી (રહે-વોર્ડ નં. 9, ધર નં. 609, મોતીરામ મહોલ્લો, નવસારી) એડવોકેટ બી.એમ.શેઠના અને એડવોકેટ એ.એમ.દેસાઈ વકીલ તરીકે સામેલ છે.
ઓર્ડરની લેખિત નકલ મુજબ મહેસુલ પંચમાં અરજદાર અમૃત પટેલે હુકમના અમલની મોકુફી બાબતે અપીલ કરી હતી. અરજદારે સયુંક્ત ચેરીટી કમિશનર(સુરત)ની અરજીની સામે ગુજરાત મહેસુલ પંચ સમક્ષ અપીલ-અરજી કરી હતી. અરજદારે મનાઈ હુકમ લંબાવવાની અરજી કરતાં મહેસુલ પંચે તારીખ 21-04-2026ના રોજ વચગાળાનો ઓર્ડર પાસ કર્યો છે. મહેસુલ પંચનાં સભ્ય બી.એ.દવેએ “Extended till Next Date 25/03/2026” સુધી જૈસે-થે જાળવી રાખવાનો હુકમ કર્યો છે. આ હુકમની નકલ સુરતના ચેરિટી કમિશનરને પણ રવાના કરવામાં આવી છે.
