દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત બાદ ફડણવીસનો મોટો ધડાકો: CM પદ છોડવાની અટકળો ફગાવી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અચાનક દિલ્હી મુલાકાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ દેશના રાજકીય વર્તુળોમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો. તેઓ મુખ્યમંત્રી પદ છોડીને કેન્દ્રીય મંત્રીમંડળમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, તમામ અફવાઓ અને અટકળો પર પૂર્ણવિરામ મૂકતા મુખ્યમંત્રી ફડણવીસે સ્પષ્ટતા કરી છે કે તેઓ મુંબઈ અને મહારાષ્ટ્રમાં જ રહેશે તથા રાજ્યની જનતાની સેવા કરવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા રહેશે.
મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “જેમને જેટલી અટકળો લગાવવી હોય, પતંગો ઉડાવવી હોય કે અફવાઓ ફેલાવવી હોય તે ફેલાવે. મને મહારાષ્ટ્રની જનતાએ ચૂંટીને મોકલ્યો છે અને મારા નેતા નરેન્દ્ર મોદીએ મને મહારાષ્ટ્રનું નેતૃત્વ સોંપ્યું છે. હું આ જવાબદારી મહારાષ્ટ્રમાં રહીને જ પૂરી કરીશ.”
વડાપ્રધાન મોદી સાથે વિકાસ પ્રોજેક્ટ્સ પર ચર્ચા
દિલ્હી પ્રવાસના મુખ્ય એજન્ડા અંગે માહિતી આપતા ફડણવીસે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની બેઠક મહારાષ્ટ્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ કાર્યો પર કેન્દ્રિત હતી. આ પ્રવાસ દરમિયાન રાજ્યમાં ચાલી રહેલા મોટા પ્રોજેક્ટ્સ જેવા કે મુંબઈ મેટ્રો, રેલ્વે નેટવર્ક, એરપોર્ટ, બંદરો, ગ્રામીણ વિકાસ અને માર્ગ નિર્માણ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી છે.
કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વની બેઠકોનો દોર
પોતાના દિલ્હી રોકાણ દરમિયાન મુખ્યમંત્રી ફડણવીસે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સાથે પણ ખાસ બેઠક કરી હતી. આ બેઠકમાં જાપાનની ‘જાયકા’ (JICA) એજન્સીના સહયોગથી મહારાષ્ટ્રમાં આકાર લઈ રહેલા ‘વેર કોરિડોર’ પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવવા અંગે ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત, તેમણે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરીને રાજ્યના પર્યાવરણીય મુદ્દાઓ અને મંજૂરીઓ અંગે વાતચીત કરી હતી. મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને દેશભરના મુખ્યમંત્રીઓ તથા ઉદ્યોગ મંત્રીઓ સાથે આયોજિત ખાસ બેઠકમાં પણ ભાગ લેવાના છે.
અટકળો ક્યાંથી શરૂ થઈ?
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી ફડણવીસના રાજીનામાની અટકળો જુલાઈ મહિનામાં શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતના એક નિવેદન બાદ શરૂ થઈ હતી. સંજય રાઉતે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ સમયે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરફાર થશે અને ફડણવીસને કેન્દ્રમાં મોકલીને રાજ્યમાં નવા મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
ત્યારબાદ ભાજપના સંગઠનાત્મક માળખા અને ટીમ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે ફડણવીસની આ દિલ્હી મુલાકાતે અફવાઓને વધુ બળ આપ્યું હતું. જોકે, મુખ્યમંત્રીએ તમામ ચર્ચાઓને ફગાવીને સ્પષ્ટ કરી દીધું છે કે મહારાષ્ટ્રનો વિકાસ જ તેમની પ્રથમ પ્રાથમિકતા છે.