‘ઇસ્લામ બધા ધર્મો કરતાં શ્રેષ્ઠ છે’: કર્ણાટકના ઉચ્ચ શિક્ષણ મંત્રીના વિવાદિત નિવેદનથી રાજકીય હંગામો, ભાજપે માંગ્યું રાજીનામું
કર્ણાટકના રાજકારણમાં ફરી એકવાર ધાર્મિક ટિપ્પણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી બસવરાજ રાયરેડ્ડી દ્વારા કરવામાં આવેલા એક વિવાદિત વિધાનથી રાજકીય માહોલ ગરમાયો છે. રાયરેડ્ડીએ ઇસ્લામને અન્ય તમામ ધર્મો કરતાં શ્રેષ્ઠ અને માનવતા પર આધારિત ગણાવતાં જ ભારતીય જનતા પાર્ટીએ (BJP) કોંગ્રેસ સરકાર અને મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સામે આકરો વિરોધ નોંધાવ્યો છે અને મંત્રીના ત્વરિત રાજીનામાની માંગ કરી છે.
શું કહ્યું હતું શિક્ષણ મંત્રી બસવરાજ રાયરેડ્ડીએ?
કોપ્પલ જિલ્લાના કુકનુર ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ શિક્ષણ મંત્રી બસવરાજ રાયરેડ્ડીએ ધર્મ અને સંસ્કૃતિ અંગે વાત કરતી વખતે કહ્યું હતું કે, “ઇસ્લામ એક મહાન અને અત્યંત માનવીય ધર્મ છે, જે વિજ્ઞાન પર આધારિત છે અને લોકોને જીવન જીવવાની સાચી રીત શીખવે છે.”
પોતાના વક્તવ્યને આગળ વધારતાં તેમણે ઉમેર્યું હતું કે, “જે લોકો ઇસ્લામ વિશે કશું જાણતા નથી, તેઓ ખોટી ધારણાઓ બાંધીને તેના વિશે ભ્રામક મંતવ્યો બનાવે છે. હું સ્પષ્ટ કહેવા માગું છું કે ઇસ્લામ અન્ય ધર્મો કરતાં શ્રેષ્ઠ છે કારણ કે તેની શરૂઆત જ માનવતાથી થાય છે.” મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ ધર્મો અને વિવિધ ઇતિહાસનો ઊંડો અભ્યાસ કરે છે, પરંતુ પોતે કોઈ મંદિર કે મઠોમાં વારંવાર જવાનું પસંદ કરતા નથી અને અબ્રાહમિક ધર્મો તરફ વિશેષ અભિગમ રાખે છે.
ಸಿಎಂ @DKShivakumar ಅವರೇ, ನಿಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದ ಈ ಹಿಂದೂ ವಿರೋಧಿ ಮನಸ್ಥಿತಿಗೆ ಕೊನೆಯೇ ಇಲ್ಲವೇ?
ದಿನಬೆಳಗಾದರೆ ದೇವಸ್ಥಾನ ಸುತ್ತುವ ನಾಟಕ ಮಾಡುತ್ತಾ, ಕ್ಯಾಮೆರಾ ಮುಂದೆ ಭಕ್ತಿಯ ಪ್ರದರ್ಶನ ನೀಡುವ ನೀವು, ನಿಮ್ಮದೇ ಸಂಪುಟದ ಸಚಿವರು ಸನಾತನ ಹಿಂದೂ ಧರ್ಮದ ಬಗ್ಗೆ ಮತ್ತು ದೇವಸ್ಥಾನಗಳ ಬಗ್ಗೆ ಅವಹೇಳನಕಾರಿ ಹೇಳಿಕೆ ನೀಡಿದಾಗ ಮಾತ್ರ… pic.twitter.com/5MitmcrwxE
— R. Ashoka (@RAshokaBJP) August 30, 2026
ભાજપનો પલટવાર: મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને ઘેર્યા
મંત્રી રાયરેડ્ડીના આ નિવેદન બાદ કર્ણાટક ભાજપ પ્રમુખ આર. અશોકે શાસક પક્ષ કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા. આર. અશોકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની મંદિર મુલાકાતો અને ભક્તિ પર સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે આકરા શબ્દોમાં લખ્યું હતું કે, “ડી.કે. શિવકુમાર, શું તમારી કોંગ્રેસ સરકારની આ હિન્દુ વિરોધી વિચારસરણીનો ક્યારેય અંત આવશે? તમે દરરોજ વહેલી સવારે મંદિરોમાં જઈને કેમેરા સામે હિન્દુ આસ્થા અને ભક્તિનું પ્રદર્શન કરો છો, પરંતુ જ્યારે તમારા જ મંત્રીમંડળના સભ્ય સનાતન હિન્દુ ધર્મ અને પવિત્ર મંદિરો વિશે આવી અપમાનજનક ટિપ્પણીઓ કરે છે, ત્યારે તમે કેમ મૌન ધારણ કરી લો છો?”
માફી નહીં તો રાજીનામાની માંગ
આર. અશોકે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રી બસવરાજ રાયરેડ્ડીએ રાજ્યના કરોડો હિન્દુઓની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રોનું ખુલ્લેઆમ અપમાન કર્યું છે. ‘હું મઠ કે મંદિરે જતો નથી’ અને ‘ઇસ્લામ જ શ્રેષ્ઠ ધર્મ છે’ જેવા ઘમંડી નિવેદનો આપીને તેમણે સનાતન સંસ્કૃતિનું અનાદર કર્યું છે.
ભાજપે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો મંત્રી રાયરેડ્ડી દેશના અને રાજ્યના નાગરિકોની જાહેરમાં માફી નહીં માગે, તો તેમને તાત્કાલિક અસરથી મંત્રીમંડળમાંથી બરતરફ કરવામાં આવે અથવા તેઓ પોતે રાજીનામું આપે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો બાદ કોંગ્રેસ સરકારના અન્ય એક મંત્રી બી. નાગેન્દ્રએ રાજીનામું આપવું પડ્યું હતું, ત્યારે હવે આ નવા ધાર્મિક વિવાદથી કોંગ્રેસ સરકાર માટે રક્ષણાત્મક સ્થિતિ સર્જાઈ છે.
