કિડની માત્ર ફિલ્ટર નથી પણ બ્લડ સુગર નિયંત્રણનો માસ્ટર કી ઓર્ગન: જાણો બંને વચ્ચેની ખાસ જુગલબંધી
સામાન્ય રીતે જ્યારે પણ ડાયાબિટીસ કે બ્લડ શુગર વધવાની વાત આવે છે ત્યારે લોકોનું ધ્યાન માત્ર પેનક્રિયાસ (સ્વાદુપિંડ) અને ઇન્સ્યુલિન હોર્મોન તરફ જ જાય છે. મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે કિડનીનું કામ માત્ર લોહીમાંથી ઝેરી કચરો ફિલ્ટર કરવાનું અને પેશાબ વાટે પ્રવાહી બહાર કાઢવાનું છે. પરંતુ તબીબી વિજ્ઞાન અનુસાર, કિડની શરીરમાં ગ્લુકોઝનું લેવલ નિયંત્રિત કરવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કિડની અને બ્લડ શુગર વચ્ચેનો સંબંધ માત્ર એકતરફી નથી, પરંતુ બંને એકબીજા પર ઊંડી અસર પાડે છે. કિડની માત્ર બ્લડ શુગરથી પ્રભાવિત થતું અંગ નથી, પરંતુ તે પોતે જ શરીરમાં સુગરનું સંતુલન જાળવવાની જટિલ પ્રક્રિયાનો એક સક્રિય ભાગ છે.
કિડની કેવી રીતે કરે છે ગ્લુકોઝનું નિયંત્રણ?
સંદર્ભિત ડાયેટિશિયન અને ડાયાબિટીસ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્વસ્થ કિડની શરીરમાં સુગર નિયંત્રણ માટે વિવિધ પ્રક્રિયાઓ કરે છે. કિડનીની અંદર ‘રેનલ ગ્લુકોનિયોજેનેસિસ’ (renal gluconeogenesis) નામની એક વિશેષ પ્રક્રિયા થાય છે. જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી વ્રત કે ઉપવાસ કરે છે અથવા ખોરાક લેતી નથી, ત્યારે કિડની જરૂરિયાત મુજબ શરીરમાં નવા ગ્લુકોઝનું ઉત્પાદન કરે છે જેથી મગજ અને અન્ય અંગોને ઉર્જા મળતી રહે.

આ ઉપરાંત, જ્યારે કિડની લોહીને ફિલ્ટર કરે છે ત્યારે ગ્લુકોઝ પણ તેની સાથે ફિલ્ટર થાય છે. પરંતુ શરીર આ શક્તિને વેડફાવા દેતું નથી. કિડનીમાં આવેલા ‘SGLT2’ જેવા ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર્સ આ મોટાભાગના ગ્લુકોઝને ફરીથી ખેંચીને લોહીમાં શોષી લે છે. રસપ્રદ વાત એ છે કે ડાયાબિટીસની આધુનિક દવાઓ ખાસ કરીને કિડનીના આ જ મિકેનિઝમ પર કામ કરીને વધારાની શુગરને શરીર બહાર ફેંકવામાં મદદ કરે છે.
કિડનીની તકલીફથી પણ વધી શકે છે બ્લડ શુગર
સામાન્ય રીતે એ જાણીતું છે કે લાંબા સમય સુધી હાઈ બ્લડ શુગર રહેવાથી કિડનીની બારીક વાહિનીઓને નુકસાન થાય છે, જેને ડાયાબિટીક નેફ્રોપથી કહેવાય છે. પરંતુ આ સંબંધ બંને તરફી છે. જો કિડનીની કાર્યક્ષમતામાં સહેજ પણ ઘટાડો થાય, તો તેની સીધી અસર ઇન્સ્યુલિનના ચયાપચય (મેટાબોલિઝમ) પર પડે છે.
કિડની શરીરમાંથી વપરાયેલા ઇન્સ્યુલિનના ક્લિયરન્સમાં મહત્વનો ભાગ ભજવે છે. જો કિડની નબળી પડે તો ઇન્સ્યુલિન શરીરમાં જરૂર કરતા વધુ સમય સુધી રહે છે, જેનાથી સમય જતાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સર્જાય છે અને બ્લડ શુગર કંટ્રોલ બહાર જઈ શકે છે.

કિડનીની ક્ષમતા ઘટતા શરીરમાં થતા ફેરફારો
જો કિડનીનું સ્વાસ્થ્ય બગડે તો શરીરમાં કેવળ કચરો જમા થતો નથી, પરંતુ મેટાબોલિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસરો પડે છે:
-
લોહીમાં ઇન્સ્યુલિન લાંબા સમય સુધી ટકી રહે છે.
-
ઇન્સ્યુલિન પ્રત્યે કોષોની સંવેદનશીલતા બદલાય છે.
-
ગ્લુકોઝના પુનઃશોષણની કુદરતી પ્રક્રિયા ખોરવાય છે.
-
સોડિયમ અને શરીરના પ્રવાહીનું સંતુલન બગડે છે.
આમાંના મોટાભાગના ફેરફારો શરૂઆતમાં કોઈ સ્પષ્ટ લક્ષણો દર્શાવતા નથી, જેના કારણે દર્દીને બહારથી બધું સામાન્ય લાગે છે પરંતુ અંદરથી મેટાબોલિક તંત્ર નબળું પડી રહ્યું હોય છે.
સમગ્ર મેટાબોલિક સ્વાસ્થ્યની કાળજી જરૂરી
તબીબોના મતે, માત્ર બ્લડ શુગરનો રિપોર્ટ સામાન્ય આવે એટલે કિડની સ્વસ્થ જ હશે તેવું માની શકાય નહીં. કિડનીની સાચી સ્થિતિ જાણવા માટે ક્રિએટિનાઇન અને યુરિન એલ્બ્યુમિન જેવા અલગ ટેસ્ટ કરાવવા જરૂરી છે. ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓએ નિયમિત ધોરણે કિડનીનું ચેકઅપ કરાવવું જોઈએ.
કિડનીને સ્વસ્થ રાખવા માટે સંતુલિત આહાર, પૂરતું પાણી, નિયમિત કસરત અને શુગર-બીપીનું સતત મોનિટરિંગ અત્યંત જરૂરી છે. કોઈ પણ પ્રકારના શારીરિક ફેરફાર વખતે જાતે દવાઓ બદલવાને બદલે નિષ્ણાત તબીબની સલાહ લેવી હિતાવહ છે.