વલસાડ જિલ્લામાં 18,000 કુપોષિત બાળકોનો ખુલાસો
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કુપોષણની ગંભીર પરિસ્થિતિ ફરી એકવાર ચર્ચામાં આવી છે. નવસારી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉમરગામથી અંબાજી સુધી ફેલાયેલા આદિવાસી પટ્ટામાં કુપોષણ મોટો પડકાર બની રહ્યો છે. તેમના કહેવા મુજબ સ્થાનિક પરિસ્થિતિ અને જૂની સામાજિક માન્યતાઓના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે, જેને તાત્કાલિક ધ્યાનમાં લેવાની જરૂર છે.
આદિવાસી બાળકોમાં 20 થી 30 ટકા કુપોષણની ચિંતાજનક સ્થિતિ
કેબિનેટ મંત્રીના જણાવ્યા પ્રમાણે આદિવાસી વિસ્તારોમાં રહેતા બાળકોમાં 20 થી 30 ટકા જેટલા કુપોષિત હોવાનો આંકડો સામે આવ્યો છે. તાજેતરમાં રાજ્ય સ્તરે યોજાયેલી ચિંતન શિબિરમાં આ મુદ્દે વિશેષ ચર્ચા થઈ હતી અને તેમાં સમસ્યા કેટલી ઊંડાણમાં જઈ ચૂકી છે તે સ્પષ્ટ થયું હતું. મંત્રીએ કહ્યું કે કુપોષણ માત્ર આરોગ્યનો નહીં પરંતુ સમગ્ર સમાજના વિકાસનો પ્રશ્ન છે અને તેને ઉકેલવા ત્વરીત પગલાં લેવાની જરૂર છે.
વલસાડ જિલ્લામાં જ 18,000 બાળકો કુપોષિત
વલસાડ જિલ્લાના આંકડાઓ રજૂ કરતાં મંત્રીએ જણાવ્યું કે અહીં જ આશરે 18,000 બાળકો કુપોષિત છે, જે અત્યંત ચોંકાવનારું છે. આ આંકડો માત્ર વિસ્તારની સમસ્યા નહીં પરંતુ દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાત સુધીના આદિવાસી ઝોનમાં કુપોષણ કેટલું વ્યાપક છે તેનું પ્રતિબિંબ છે. મંત્રીના જણાવ્યા અનુસાર દરેક જિલ્લામાં પરિસ્થિતિ અલગ છે, પરંતુ પડકાર તમામ જગ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
દીકરીઓના લગ્ન 21 વર્ષે કરવા અંગે મંત્રીની સ્પષ્ટ ટકોર
કુપોષણ સામેની લડત માત્ર સરકારી યોજનાઓથી શક્ય નથી, તે માટે સામાજિક જાગરણ પણ જરૂરી છે તેવી વાત મંત્રીએ પ્રગટ કરી. તેમણે જણાવ્યું કે દીકરીઓના વહેલા લગ્ન કુપોષણનું એક મુખ્ય કારણ બને છે, કારણ કે નાની ઉંમરે માતા બનેલી યુવતીઓ અને તેમના બાળકો બંનેના સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેથી દીકરીઓના લગ્ન 21 વર્ષની ઉંમર પછી જ કરવા જોઈએ અને આ અંગે પરિવારોમાં સમજણ વધવી જોઈએ. આ મુદ્દે રાજ્ય સરકાર આગામી સમયમાં વિશેષ જાગૃતિ અભિયાન શરૂ કરી શકે છે.

