દબાણ હટાવવાની કામગીરીમાં માનવતા જાળવવા મુદ્દો ગરમાયો
વરાછા વિસ્તારની સતત વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એકવાર મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે સુરતના મેયરને પત્ર લખીને જણાવ્યું કે શહેરના ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ અને મહાનગર પાલિકા સારું કામ કરી રહી છે, પરંતુ કેટલીક કાર્યવાહી દરમિયાન સામાન્ય નાગરિકોને અનાવશ્યક તકલીફો ભોગવવી પડે છે. ધારાસભ્યે વિનંતી કરી છે કે આ કામગીરી દરમિયાન નાગરિકોની મુશ્કેલી પણ સમજવી જોઈએ.
‘દબાણ હટાવવાની કામગીરીમાં માનવતા રાખવી જરૂરી’
કુમાર કાનાણીના જણાવ્યા મુજબ શહેરના રસ્તાઓને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત બનાવવામાં દબાણ હટાવવાની ઝુંબેશ અગત્યની છે. જોકે, આ દરમિયાન કેટલીક વખત અધિકારીઓ દ્વારા થતી કડક કાર્યવાહી નાની આવક ધરાવતા લોકો માટે મુશ્કેલી સર્જે છે. અનેક વાર જોવા મળે છે કે કાર્યપાલક સ્ટાફ માનવિય દૃષ્ટિકોણ રાખ્યા વગર કાર્યવાહી કરે છે, જેના કારણે લોકોને અનાવશ્યક નુકસાન સહન કરવું પડે છે. ધારાસભ્યે ખાસ કરીને સંવેદનશીલતાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
નાના વેપારીઓ પર દમન ન થાય તેની વિનંતી
મેયરને લખેલા પત્રમાં ધારાસભ્યે સ્પષ્ટ લખ્યું છે કે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એવા નાના વેપારીઓને હેરાન ન કરાય, જે રસ્તા પર અવરોધ સર્જતા નથી. ઘણા નાના વેપારીઓ પોતાના ઓટલા પર બેસીને રોજગાર ચલાવે છે અને તેઓ ટ્રાફિકની સમસ્યાના જવાબદાર નથી. આવા લોકોની રોજીરોટી પર અસર થાય તેવું કોઈ પગલું ન લેવાય અને યોગ્ય છૂટછાટ આપવામાં આવે તેની પણ માગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ટ્રાફિક નિયંત્રણ અને માનવતા બંને સાથે ચાલે તે જ સાચો માર્ગ છે.

