મલ્ટિપ્લેક્સથી હોટલ સુધીની તમામ સુવિધાઓ સાથે નવસારીમાં નવીન બસ પોર્ટનું લોકાર્પણ
નવસારીના મધ્યમાં કોરોના કાળથી અટકેલા હાઈટેક બસ પોર્ટનું નિર્માણ હવે પૂરું થઈ ગયું છે. મુસાફરોને પ્રવેશતા જ એરપોર્ટ જેવી સુવિધાઓનો અનુભવ થાય તે માટે સમગ્ર ડેપોમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. રૂપિયા 82 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં ત્રણ મલ્ટિપ્લેક્સ થિયેટર અને 11 ફૂડ કોર્ટની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં એક સાથે 3,000 લોકો ભોજન કરી શકે છે. આ નવા મોડલ બસ પોર્ટથી શહેરના પરિવહન તંત્રમાં મોટો ફેરફાર આવવાની આશા છે.
આલીશાન હોટલ, પાર્કિંગ અને શોપિંગની વિશાળ સુવિધાઓ
બસ પોર્ટના વિશાળ સંકુલમાં 67 રૂમની આલીશાન હોટલ અને સ્વિમિંગ પૂલ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ છે, જે તેને સામાન્ય ડેપોથી અલગ બનાવે છે. શોપિંગ માટે ગ્રાઉન્ડ પ્લસ બે માળનું હાઈપર માર્કેટ તથા બે સુપર માર્કેટ્સનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યક્રમો માટે ચાર વિશાળ બેન્કવેટ હોલ તૈયાર કરાયા છે. પાર્કિંગની વધતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને 1,17,000 ચો.ફી. વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ઉપલબ્ધ છે, જેમાં 753 ટુ-વ્હીલર અને 252 ફોર-વ્હીલર સરળતાથી પાર્ક થઈ શકે છે.
એસટી સ્ટાફ માટે પ્રથમવાર આરામદાયક સુવિધાઓ
એસટી ડેપોમાં સામાન્ય રીતે ડ્રાઇવર અને કંડક્ટર્સ માટેની સુવિધાઓ નબળી જોવા મળે છે, પરંતુ આ નવા બસ પોર્ટમાં સ્ટાફના આરામને વિશેષ મહત્ત્વ અપાયું છે. લાંબી મુસાફરી બાદ સ્ટાફને આરામ મળે તે માટે એસી રેસ્ટ રૂમ તથા જમવાની ઉત્તમ વ્યવસ્થા ધરાવતા રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બદલાવ એસટી કર્મચારીઓ માટે સુખદ અને ગુણવત્તાસભર અનુભવ પૂરો પાડશે.
પીપીપી મોડલ હેઠળ સંચાલન અને જાળવણી
આ અદ્યતન બસ પોર્ટનો પ્રોજેક્ટ અમદાવાદની દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પીપીપી મોડલ હેઠળ પૂર્ણ થયો છે. આગામી 30 વર્ષ સુધી આ કંપની દ્વારા સંકુલનું મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરવામાં આવશે, ત્યારબાદ તેનો હવાલો સરકારને સોંપવામાં આવશે. બસ ઓપરેશન અને પરિવહન સંબંધિત જવાબદારી સીધા જીએસઆરટીસી સંભાળશે, જ્યારે થિયેટર, મોલ, હોટલ અને બેન્કવેટ હોલનું સંચાલન ખાનગી કંપની દ્વારા જ કરવામાં આવશે. એજન્સીના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, આ સમગ્ર ગુજરાતમાં સૌથી આધુનિક અને સુવિધાસભર બસ પોર્ટ છે, જ્યાં મુસાફરોને એક જ જગ્યાએ તમામ સુવિધાઓ મળી રહે છે.

