દાડમ એક એવું ફળ છે જેને આયુર્વેદમાં ‘અમૃત’ સમાન માનવામાં આવે છે. તેના લાલ ચટક દાણા માત્ર દેખાવમાં જ સુંદર નથી, પરંતુ તે પોષક તત્વોનો ખજાનો છે. તાજેતરમાં નિષ્ણાંતોએ દાડમના રસના સેવન અને તેના સમયને લઈને કેટલીક મહત્વની જાણકારીઓ શેર કરી છે, જે ખાસ કરીને ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.
પોષક તત્વોનો પાવરહાઉસ
દાડમમાં શક્તિશાળી એન્ટીઓકિસડન્ટો અને પોલિફેનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે. ડાયેટિશિયન જોનાથન પુરટેલ જણાવે છે કે દાડમ શરીરમાં બળતરા (Inflammation) ઘટાડવામાં મદદ કરે છે. આ ફળમાં રહેલા તત્વો ધમનીઓને સ્વસ્થ રાખવાની સાથે હૃદય અને મગજની કામગીરીમાં નોંધપાત્ર સુધારો કરે છે. આધુનિક વિજ્ઞાનમાં તેને ‘સુપરફૂડ’ માનવામાં આવે છે કારણ કે તે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં કુદરતી દવાનું કામ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે વિશેષ સાવધાની
ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ ધરાવતા લોકો માટે દાડમનો રસ પીતી વખતે સમયનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. નિષ્ણાંત નતાલી એલેનના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટે દાડમનો રસ પીવાનું ટાળવું જોઈએ. ખાલી પેટે જ્યુસ પીવાથી બ્લડ શુગર લેવલ અચાનક વધી શકે છે. તેના બદલે, આ દર્દીઓએ ભોજનની સાથે અથવા પ્રોટીનથી ભરપૂર નાસ્તા સાથે તેનું સેવન કરવું જોઈએ, જેથી શુગર લેવલમાં તીવ્ર ઉછાળો ન આવે.
સેવનનો શ્રેષ્ઠ અને ટાળવા જેવો સમય
-
સવાર કે બપોર: જે લોકોને એસિડિટીની સમસ્યા નથી, તેમના માટે સવારે કે બપોરે દાડમનો રસ પીવો આખા દિવસની ઉર્જા માટે શ્રેષ્ઠ છે.
-
રાત્રિનો સમય: જેમને એસિડ રિફ્લક્સ કે હાર્ટબર્નની સમસ્યા છે, તેમણે રાત્રે સૂતા પહેલા આ રસ ન પીવો જોઈએ. સાઇટ્રસ ગુણધર્મોને કારણે રાત્રે તકલીફ વધી શકે છે.
-
હૃદયના દર્દીઓ માટે: હૃદયના સ્વાસ્થ્ય અને બીપી કંટ્રોલ કરવા માટે સમય કરતા તેની ‘નિયમિતતા’ વધુ મહત્વની છે. રોજ અડધો થી એક કપ (૪-૮ ઔંસ) રસ પીવો પર્યાપ્ત છે.
હૃદય અને બ્લડ પ્રેશર પર અસર
દાડમનો રસ શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડના ઉત્પાદનમાં મદદ કરે છે, જે રક્ત વાહિનીઓને આરામ આપે છે અને તેને લવચીક બનાવે છે. આ પ્રક્રિયાથી હૃદય પરનું દબાણ ઘટે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) નિયંત્રણમાં રહે છે. નિષ્ણાંતોના મતે, બજારના પેકેજ્ડ જ્યુસને બદલે ઘરે બનાવેલો તાજો રસ, જેમાં વધારાની ખાંડ ન હોય, તે જ વધુ ફાયદાકારક છે.
કોણે ડોક્ટરની સલાહ લેવી?
જો તમે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ (Statin) અથવા લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોવ, તો દાડમના રસને ડાયટમાં સામેલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, કારણ કે તે દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે.
દાડમનો રસ પીવા માટે કોઈ એક ‘પરફેક્ટ’ સમય દરેક માટે સમાન નથી હોતો. તે તમારી શારીરિક જરૂરિયાત અને બીમારી પર નિર્ભર છે. જો તમે સ્વસ્થ છો તો સવારે તેનું સેવન શ્રેષ્ઠ છે, પણ જો ડાયાબિટીસ હોય તો તેને ભોજન સાથે લેવું હિતાવહ છે.

