નવચેતન અદાણી વિદ્યાલય દ્વારા સકારાત્મક વાલીપણાની દિશામાં પ્રેરણાદાયી પહેલ
નવચેતન અદાણી વિદ્યાલય પ્રાથમિક વિભાગ, જૂનાગામ (શિવરાજપુર) ખાતે 26 ઑગસ્ટ, 2026ના રોજ 5થી 10 વર્ષના બાળકોના વાલીઓ માટે Parenting for Peaceના ઉપક્રમે ‘Enjoy Parenting’ વિષય પર ઉપયોગી અને પ્રેરણાદાયી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં 200થી વધુ વાલીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વર્કશોપના વક્તા શ્રીમતી મીનાઝ પંજવાનીએ સરળ, રસપ્રદ અને વ્યવહારુ ઉદાહરણો દ્વારા સકારાત્મક વાલીપણાના વિવિધ પાસાં સમજાવ્યાં. તેમણે વાલીઓને પોતાના બાળકનો તેની ખૂબીઓ અને ખામીઓ સાથે સ્વીકાર કરવા, બાળકની ભૂલ સમયે ગુસ્સો કરવાને બદલે તેને સમજવા, તેની લાગણીઓનો સ્વીકાર કરવા તથા તેની વાત ધ્યાનપૂર્વક સાંભળવા અંગે માર્ગદર્શન આપ્યું.
વર્કશોપ દરમિયાન પ્રેમ, કાળજી, સહાનુભૂતિ અને લાગણીસભર સંવાદનું બાળકના વ્યક્તિત્વ વિકાસમાં રહેલું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. આજના સમયમાં થતી દેખાદેખી અને બાળકોની એકબીજા સાથેની તુલના ટાળવા તેમજ વાલીઓના વર્તનની બાળકના માનસ પર થતી અસર અંગે પણ અસરકારક રીતે સમજ આપવામાં આવી.

પેપર આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને કાલ્પનિક વાર્તાઓ દ્વારા બાળકોની સમજવાની ક્ષમતા દરેકમાં અલગ હોય છે તે સમજાવવામાં આવ્યું. તેમજ “ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે” જેવા સકારાત્મક જીવનમૂલ્યો આધારિત વાર્તાઓ દ્વારા વાલીઓને બાળકોના ઉછેરમાં સકારાત્મક અભિગમ અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા. વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ માતા અને પિતા બંનેએ દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક બાળક માટે ફાળવવો, તેની વાતો ધ્યાનપૂર્વક સાંભળવી અને તેની લાગણીઓને સ્વીકારવી—આ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
આ વર્કશોપ માત્ર માહિતીપ્રદ જ નહીં, પરંતુ વાલીઓના રોજિંદા જીવનમાં સરળતાથી અમલમાં મૂકી શકાય તેવો રહ્યો. બાળકોને સમજવા, સ્વીકારવા અને તેમની લાગણીઓ સાથે સંવેદનશીલતાથી જોડાવા અંગે મળેલા માર્ગદર્શનથી વાલીઓ અને બાળકો વચ્ચેના સંબંધોને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રેરણા મળી. Parenting for Peace દ્વારા સકારાત્મક વાલીપણું, સંવેદનશીલ પરિવારજીવન અને બાળકોના સુખદ ભવિષ્ય માટે કરવામાં આવતી આ સેવાભાવી અને પ્રશંસનીયન પ્રવૃત્તિ છે.
