પાંચ માળના આધુનિક બસપોર્ટથી નવસારીના પરિવહનને મળશે નવી દિશા
નવસારી મુખ્ય મથક ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૨૫મી નવેમ્બરે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા આવશે. કુલ રૂપિયા ૪૭૫.૦૮ કરોડના આ કાર્યક્રમો અંતર્ગત જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ પણ કરવામાં આવશે. શહેર અને જિલ્લામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપવાના હેતુથી આ મુલાકાતને અસરકારક માનવામાં આવી રહી છે.
નવસારીના આઈકોનિક બસપોર્ટનું લોકાર્પણ
સાંજે ૪.૦૦ વાગ્યે મુખ્યમંત્રી રૂ.૮૨.૦૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક નવસારી બસ-પોર્ટનું લોકાર્પણ કરશે. આ બસપોર્ટનો કુલ વિસ્તાર ૨૯,૫૧૦ ચો.મી. છે અને તેને ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ તથા મેસર્સ ડી.આર.એ. નવસારી દ્વારા પીપી મોડલ હેઠળ વિકસાવવામાં આવ્યુ છે. તેને શહેરના પરિવહન માળખાને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વની સિદ્ધિ માનવામાં આવી રહી છે.
પાંચ માળના સંકુલમાં આધુનિક સુવિધાઓ
આ પ્રોજેક્ટમાં પાંચ માળનું વિશાળ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કુલ ૧૬ પ્લેટફોર્મની સુવ્યવસ્થિત રચના કરવામાં આવી છે. ઉપરાંત ઇન્કવાયરી, રિઝર્વેશન અને પ્રવાસી માહિતી કેન્દ્ર, વહીવટી કાર્યાલય, કેન્ટીન, રિટેઇલ સ્પેસ તેમજ મુસાફરો માટે અનુકૂળ જનરલ અને લેડીઝ બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે. મુસાફરોને આરામદાયક પ્રવાસ સુનિશ્ચિત કરવા ડોર્મિટરી અને આધુનિક શૌચાલયોની સુવિધા પણ સામેલ છે.
સલામતી, પાર્કિંગ અને શોપિંગની એકસાથે સુવિધા
બસપોર્ટના પરિસરમાં RCC પાર્કિંગ, CCTV સુરક્ષા સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે અને વેરીએબલ મેસેજ બોર્ડ જેવી આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત ફૂડકોર્ટ, રિટેઇલ મોલ, મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ ઓફિસ અને બજેટ હોટેલ જેવી સુવિધાઓ સાથે આ ટર્મિનલ માત્ર મુસાફરી પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ નવસારીના શહેરી વિકાસમાં નવી ઓળખ ઊભી કરશે.

