શિયાળાની ઠંડી વચ્ચે પડેલા વરસાદથી કેરી અને શાકભાજી પાક પર જોખમ
નવસારી જિલ્લાના મરોલી સહિત આસપાસના વિસ્તારોમાં વર્ષ 2026ના પ્રથમ દિવસે વહેલી સવારથી હવામાનમાં અણધારો ફેરફાર જોવા મળ્યો હતો. શિયાળાની ઠંડી વચ્ચે અચાનક પડેલા કમોસમી વરસાદે લોકોની રોજિંદી પ્રવૃત્તિઓને અસર કરી હતી. સામાન્ય રીતે શુષ્ક રહેતા રસ્તાઓ ભીના થઈ ગયા હતા. વાતાવરણમાં વધેલા ભેજને કારણે સવારનું જનજીવન ધીમું પડી ગયું હતું.
કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી
દક્ષિણ ગુજરાતના ખેડૂત વર્ગ માટે આ વરસાદ ચિંતાનો વિષય બની ગયો છે. નવસારી જિલ્લામાં મોટા પ્રમાણમાં થતી કેરી અને ચીકુની ખેતી હાલ સંવેદનશીલ અવસ્થામાં છે. કેરીના વૃક્ષોમાં મોર આવવાની શરૂઆત થઈ રહી છે ત્યારે વરસાદી માહોલ રહે તો રોગચાળો વધવાની શક્યતા રહે છે. આવી પરિસ્થિતિ લાંબી ચાલે તો ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
શાકભાજી અને રવિ પાક પર પણ અસરની ભીતિ
કમોસમી વરસાદની અસર ફક્ત ફળબાગાયત પૂરતી સીમિત નથી રહી. રવિ પાક અને શાકભાજીના પાક પર પણ તેની નકારાત્મક અસર થવાની શક્યતા છે. હાલ શાકભાજીના પાકમાં ફૂલ આવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભેજ વધતા ચુસિયા પ્રકારની જીવાત ઝડપથી ફેલાય તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે, જેના કારણે ઉત્પાદન ઘટી શકે છે.
કૃષિ નિષ્ણાતોની ખેડૂતોને તકેદારી રાખવાની સલાહ
નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાત ડી.કે. શર્માએ જણાવ્યું કે શિયાળામાં પડેલા આ વરસાદથી કેરી અને શાકભાજીના પાકને સૌથી વધુ જોખમ છે. વરસાદ બાદ લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણ રહે તો રોગ અને જીવાતનો ફેલાવો વધી શકે છે. તેમણે ખેડૂતોને સમયસર દવાનો છંટકાવ કરવા અને પાકનું નિયમિત નિરીક્ષણ કરવાની સલાહ આપી છે.
ખેડૂતોએ વ્યક્ત કરી નુકસાનની ભીતિ
મહુવર ગામના ખેડૂત ધનંજય ભટ્ટે જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વખતે નુકસાન વધુ થવાની શક્યતા દેખાઈ રહી છે. કમોસમી વરસાદને કારણે કેરી અને શાકભાજીમાં જીવાતનો ઉપદ્રવ વધવાની ભીતિ છે. ઉનાળુ ડાંગરની રોપણી માટે જમીન તૈયાર હોવા છતાં ભેજના કારણે કામ અટકી ગયું છે. જમીન સૂકાય ત્યાં સુધી ખેતી પ્રક્રિયામાં વિલંબ થવાની શક્યતા છે.
જનજીવન અને મુસાફરી પર પણ પડી અસર
કમોસમી વરસાદે ખેતી સાથે સાથે સામાન્ય જનજીવનને પણ અસર કરી છે. નવસારીથી સુરત અપડાઉન કરતા નોકરિયાત વર્ગને ભીના રસ્તાઓના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાની ઋતુમાં અચાનક પડેલા વરસાદે મુસાફરી વધુ કઠિન બનાવી દીધી હતી. નવા વર્ષની શરૂઆતમાં આવી પરિસ્થિતિ સર્જાતાં લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
હવામાનને લઈને ખેડૂતો અને નાગરિકોની ચિંતાભરી નજર
નવસારી જિલ્લામાં નવા વર્ષની શરૂઆત ખુશીની જગ્યાએ ચિંતા લઈને આવી છે. ખેડૂતો હવે આવનારા દિવસોમાં હવામાન કેવી રીતે વર્તે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો વરસાદી માહોલ યથાવત્ રહેશે તો ખેતી અને બજાર બંને પર તેની અસર પડી શકે છે. હાલ સમગ્ર પંથકમાં આકાશ તરફ ચિંતાભરી નજર રાખવામાં આવી રહી છે.

