ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: ડુંગળીના ભાવ અંકુશમાં લેવા સરકારે બફર સ્ટોકમાંથી સસ્તા વેચાણની કરી તૈયારી
દેશભરમાં શાકભાજીના ભાવમાં ઉછાળા વચ્ચે હવે ડુંગળીની કિંમતોએ ફરી એકવાર સામાન્ય નાગરિકોના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. દેશના મોટાભાગના શહેરોમાં ડુંગળીના છૂટક ભાવ ઝડપથી વધી રહ્યા છે, જેને પગલે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારી અને અછતની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક હરકતમાં આવીને પોતાના ઈમરજન્સી બફર સ્ટોકમાંથી સસ્તા દરે ડુંગળી બજારમાં રજૂ કરવાની મોટી યોજના બનાવી છે.
એક વર્ષમાં ડુંગળીના ભાવમાં ૪૫ ટકાનો બમ્પર વધારો
તાજેતરના આંકડા અનુસાર, દેશમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. ૪૨ ની સપાટી વટાવી ગયો છે. આ ભાવ ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ આશરે ૪૫ ટકા અને વિતેલા એક મહિનાની સરખામણીએ ૧૯ ટકા જેટલો વધુ છે.
દેશના મુખ્ય મહાનગરોની વાત કરીએ તો, રાજધાની દિલ્હીમાં ડુંગળી રૂ. ૬૫ પ્રતિ કિલોના ઊંચા ભાવે વેચાઈ રહી છે, જ્યારે ચેન્નાઈમાં તેનો ભાવ રૂ. ૫૮ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જો સમયસર સપ્લાય વધારીને ભાવ નિયંત્રિત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ડુંગળીની અછતનું સંકટ વધુ ઘેરું બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સરકાર કેમ છોડી રહી છે બફર સ્ટોક?
કેન્દ્ર સરકાર પાસે આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓની અછત દૂર કરવા માટે વિશેષ બફર સ્ટોક હોય છે. જ્યારે પણ કોઈ પાકના ભાવ અચાનક આસમાને પહોંચે છે, ત્યારે સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે આ સ્ટોકનો ઉપયોગ થાય છે.
સરકારની વ્યૂહરચના મુજબ, આ વખતે આખા દેશમાં એકસાથે જથ્થો ઉતારવાને બદલે જે શહેરો અને વિસ્તારોમાં કિંમતો સૌથી વધુ છે, ત્યાં પ્રાથમિકતાના ધોરણે સસ્તી ડુંગળી પહોંચાડવામાં આવશે. આ પગલાથી સ્થાનિક બજારોમાં સ્ટોક વધશે અને પરિણામે કિંમતો નીચે લાવવામાં મદદ મળશે.
‘કાંડા એક્સપ્રેસ’ દ્વારા ઝડપી પરિવહન કરવામાં આવશે
દૂરના વિસ્તારો સુધી ઝડપથી અને ઓછા ખર્ચે ડુંગળી પહોંચાડવા માટે સરકાર ઓક્ટોબર ૨૦૨૪ માં શરૂ કરાયેલી વિશેષ માલગાડી ‘કાંડા એક્સપ્રેસ’નો ફરીથી બહોળો ઉપયોગ કરવા જઈ રહી છે. આ ટ્રેન મારફતે મહારાષ્ટ્રના નાસિક સ્થિત મુખ્ય ઉત્પાદક કેન્દ્રોથી ડુંગળીનો જથ્થો દિલ્હી, ગુવાહાટી, લખનૌ, ચેન્નાઈ અને કોચી જેવા શહેરોમાં મોકલવામાં આવશે. રેલવે મારફતે પરિવહન થવાથી સમય અને માલભાડાનો ખર્ચ ઘટશે, જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે.
સરકાર માત્ર વર્તમાન સ્ટોક પર નિર્ભર રહેવાને બદલે ભવિષ્યની માગને પહોંચી વળવા માટે ખેડૂતો સાથે મળીને નવો ભંડાર ઊભો કરવા પર પણ કામ કરી રહી છે.
ડુંગળી બાદ હવે ખાંડના ભાવમાં પણ ભડકો
સામાન્ય જનતા માટે મુશ્કેલી માત્ર ડુંગળી પૂરતી સીમિત નથી, પરંતુ ખાંડના ભાવ પણ સતત વધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ખાંડનો સરેરાશ ભાવ વધીને રૂ. ૬૨.૫૦ પ્રતિ કિલો થયો છે, જે એક મહિના પહેલા રૂ. ૪૬ પ્રતિ કિલો આસપાસ હતો. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં ખાંડનો છૂટક ભાવ અનુક્રમે રૂ. ૬૫ અને રૂ. ૬૯ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે, જેનાથી તહેવારોની મોસમ પહેલા ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ છે.
