નવસારીમાં ભાજપના સંગઠનમાં તણાવ, રાજીનામાઓથી રાજકીય ગરમાવો
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ અધ્યક્ષ તેમજ નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલના મતવિસ્તારમાં ભાજપ સંગઠન જાહેર થતાં જ રાજકીય હલચલ મચી છે. જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત બાદ જલાલપોર વિધાનસભા વિસ્તારમાં ઉપેક્ષા થવાનો આક્ષેપ કરીને નવનિયુક્ત હોદ્દેદારોએ રાજીનામા આપી અસંતોષ વ્યક્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, જલાલપોર વિધાનસભા મતવિસ્તારને જિલ્લા સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતાં નારાજગી ફાટી નીકળી છે. નવસારી કમલમ ખાતે પહોંચી કેટલાક હોદ્દેદારોએ જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યાલયમાં રાજીનામા સુપરત કર્યા. જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ કાર્યાલયમાં હાજર ન હોવાથી હોદ્દેદારોએ પોતાના રાજીનામા ટેબલ પર મૂકી રવાના થયા હતા. રાજીનામા અંગે જિલ્લા પ્રમુખને જાણ પણ કરવામાં આવી હોવાનું સૂત્રો કહે છે.
રાજીનામું આપનાર હોદ્દેદારોમાં વિજય પટેલ (મહામંત્રી, બક્ષીપંચ મોરચો), અશોક પટેલ (ઉપપ્રમુખ, જિલ્લા ભાજપ), પ્રકાશ પટેલ (મહામંત્રી, કિશાન મોરચો) અને ચેતના પટેલ (મંત્રી, જિલ્લા ભાજપ)નો સમાવેશ થાય છે.
આ સાથે જ અસંતોષ યથાવત રહેતાં વધુ ત્રણ રાજીનામા સામે આવ્યા છે. જલાલપોર તાલુકા ભાજપના બે મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામા આપ્યા છે, જ્યારે જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી રોશની પટેલે પણ પદ છોડ્યું છે.
આ રીતે અત્યાર સુધી કુલ સાત રાજીનામા થતા નવસારી જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ઊભો થયો હોવાનું સ્પષ્ટ થાય છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ ઘટના આગામી સમયમાં જિલ્લામાં રાજકીય સમીકરણો બદલાવી શકે છે.
જિલ્લા ભાજપ તરફથી હજી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જો કે, પાર્ટી અંદરથી સમાધાન માટે પ્રયત્નો શરૂ થયાની ચર્ચા છે. આગામી દિવસોમાં આ મામલે શું વળાંક આવે છે તે જોવું રહ્યું.

