પાલીતાણામાં મોટું કૌભાંડ ખુલ્લું પડ્યું! ટાંકી બની જ નથી ને મંજૂર થઈ ગયા ₹50.43 લાખ, મંત્રીશ્રીનો સપાટો
સરકારી તંત્રમાં ચાલતી બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે ગુજરાત સરકારે કડક વલણ અપનાવ્યું છે. ભાવનગર જિલ્લાના યાત્રાધામ પાલીતાણા સ્થિત સરકારી હોસ્પિટલમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર આરોગ્ય વિભામાં ખળભળાટ મચાવી દીધો છે. હોસ્પિટલના પરિસરમાં ૨.૫૫ લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું સ્થળ પર અસ્તિત્વ જ ન હોવા છતાં, તેનું ₹૫૦.૪૩ લાખનું તોતિંગ બિલ મંજૂર કરાવીને નાણાં ઉપાડી લેવાનો કારસો રચવામાં આવ્યો હતો.
આ સમગ્ર ગેરરીતિ સામે આવતાં રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત કડક વલણ દાખવ્યું છે. તેમણે આ ઘટનામાં સંડોવાયેલા અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા, બે ઈજનેરોને સસ્પેન્ડ કરવા અને કૌભાંડી કોન્ટ્રાક્ટર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.
સરપ્રાઈઝ વિઝિટમાં સામે આવી કાગળ પરની ‘પાણીની ટાંકી’
ઘટનાની વિગત એવી છે કે, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાજેતરમાં પાલીતાણા સરકારી હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેઓ હોસ્પિટલ માટે મંજૂર થયેલા વિકાસકામોની સમીક્ષા કરી રહ્યા હતા. ત્યારે તેમના ધ્યાને આવ્યું કે હોસ્પિટલ માટે ૨.૫૫ લાખ લીટરની ભવ્ય ભૂગર્ભ પાણીની ટાંકી મંજૂર કરવામાં આવી હતી.
પરંતુ જ્યારે મંત્રીએ સ્થળ પર જઈને તપાસ કરી તો ત્યાં ટાંકીનું કોઈ નામનિશાન જ નહોતું! ચોંકાવનારી બાબત તો એ હતી કે સ્થળ પર એક ઈંટ પણ મુકાઈ ન હોવા છતાં, આ ટાંકી સંપૂર્ણપણે બની ગઈ હોવાનું દર્શાવીને ₹૫૦.૪૩ લાખનું બિલ પણ તૈયાર કરી દેવાયું હતું અને તેને મંજૂરી અર્થે વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવ્યું હતું.
ઇમરજન્સી વીડિયો કોન્ફરન્સ: મંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો
કાગળ પર જ ટાંકી બનાવીને જાહેર જનતાના અડધા કરોડ રૂપિયા ચાઉં કરી જવાના આ ષડયંત્રથી મંત્રીઅત્યંત ક્રોધિત થયા હતા. તેમણે કોઈ પણ વિલંબ વગર તાત્કાલિક અસરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાલીતાણા હોસ્પિટલના જવાબદારો તેમજ પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના ઉચ્ચ અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રીએ સમગ્ર કૌભાંડની વિગતવાર વિગતો મેળવી હતી અને બિલ મંજૂર કરવાની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારી નાણાંની આ પ્રકારે લૂંટ ચલાવનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.
જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં: એફઆઈઆર અને બરતરફીનો આદેશ
આ ગંભીર ગેરરીતિ અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ આરોગ્ય મંત્રીએ સ્થળ પર જ કડક કાર્યવાહીના આદેશો છોડ્યા હતા:
પોલીસ ફરિયાદ (FIR): ગેરકાયદેસર રીતે બિલ રજૂ કરનાર અને મંજૂર કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઈજનેર એન.વી. કાલીયા સામે તાત્કાલિક ધોરણે ક્રિમિનલ ગુનો દાખલ કરીને પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી છે.
ઈજનેરોનું સસ્પેન્શન: આ સમગ્ર પ્રકરણમાં સામેલ સંબંધિત બે ઈજનેરોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત (બરતરફ/સસ્પેન્ડ) કરવાની કાર્યવાહી કરવા PIUના અધિકારીઓને આદેશ અપાયો છે.
કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ: સ્થળ પર કામ કર્યા વિના જ ખોટા બિલ બનાવનાર સુરતની ‘ધર્મનંદન કન્સ્ટ્રકશન’ એજન્સીને કાયમ માટે બ્લેકલિસ્ટ (કાળી યાદીમાં મુકવા) કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેથી તે ભવિષ્યમાં કોઈ સરકારી કામ ન મેળવી શકે.
“જાહેર નાણાંનો દુરુપયોગ ચલાવી લેવાશે નહીં” – પ્રફુલ પાનશેરીયા
આ કડક કાર્યવાહી બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, પ્રજાના કરવેરાના નાણાંનો એક પણ રૂપિયો વેડફાવવા દેવામાં આવશે નહીં.
આરોગ્ય મંત્રીના શબ્દોમાં:
“રાજ્યની આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવા માટે સરકાર દ્વારા જે જાહેર નાણાં ફાળવવામાં આવે છે, તેના ઉપયોગમાં કોઈ પણ પ્રકારની બેદરકારી, ગેરરીતિ કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી આરોગ્યલક્ષી વિકાસકામોમાં ગુણવત્તા, પારદર્શિતા અને સંપૂર્ણ જવાબદારી સુનિશ્ચિત કરવી એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”
જનતાના એક-એક રૂપિયાનો હિસાબ: કડક દેખરેખની ખાતરી
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રજાના નાણાંનો ઉપયોગ અત્યંત જવાબદારીપૂર્વક થાય અને મંજૂર થયેલા દરેક વિકાસકામો કાગળ પર નહીં પરંતુ સ્થળ પર વાસ્તવિક રીતે, ઉચ્ચ ગુણવત્તા સાથે અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂરા થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હવેથી કડક વોચ રાખવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ જો કોઈ પણ સરકારી કામમાં આવી ગેરરીતિ સામે આવશે તો તેમાં નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સામે સમાન રીતે કડક પગલાં લેવાશે.
ભ્રષ્ટાચારીઓ માટે સ્પષ્ટ અને કડક સંદેશ
પાલીતાણા હોસ્પિટલના આ પ્રકરણમાં લેવાયેલા ત્વરિત અને કડક નિર્ણયથી રાજ્યના સરકારી આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. આરોગ્ય વિભાગે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ અને મજબૂત સંદેશ આપ્યો છે કે, સરકારી કામોમાં લાપરવાહી દાખવનાર કે ભ્રષ્ટાચાર આચરનાર કોઈપણ વ્યક્તિ, અધિકારી કે ખાનગી એજન્સીને છોડવામાં આવશે નહીં.
