શું તમારું ખાતું પણ PNB માં છે? બેંકના નફા અને નવી બેડ લોન અંગે આવ્યા ચોંકાવનારા આંકડા
જાહેર ક્ષેત્રની અગ્રણી ધિરાણકર્તા પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બેંકે બજારના તમામ અંદાજોને પાછળ છોડીને તેના ચોખ્ખા નફામાં ૨૧૩.૬૦ ટકાનો રેકોર્ડબ્રેક વાર્ષિક (YoY) ઉછાળો નોંધાવ્યો છે. જૂન ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા આ ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો નફો વધીને ₹૫,૨૫૩ કરોડના સ્તરે પહોંચી ગયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં માત્ર ₹૧,૬૭5 કરોડ હતો.
બેંકના નફામાં થયેલા આ અકલ્પનીય વધારા પાછળ આવકવેરાની જોગવાઈઓમાં (Income Tax Provisions) થયેલો મોટો ઘટાડો મુખ્ય કારણ માનવામાં આવે છે. નાણાકીય પરિણામો અનુસાર, બેંકે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઇન્કમ ટેક્સ પેટે ₹૧,૭૨૫ કરોડની જોગવાઈ કરી છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹૫,૦૮૩ કરોડ જેટલી ઊંચી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે બેંકે નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) માં સંક્રમણ કરવાને કારણે એક વખતની વિશેષ ટેક્સ જોગવાઈ બુક કરવી પડી હતી, જેના કારણે ગયા વર્ષે નફો ઓછો દેખાયો હતો.

મુખ્ય વ્યાજની આવક અને કુલ આવકના આંકડા
દેશભરમાં ૧૦,૩૫૯ સ્થાનિક શાખાઓ અને ૨ આંતરરાષ્ટ્રીય શાખાઓનું વિશાળ નેટવર્ક ધરાવતી પંજાબ નેશનલ બેંકની મુખ્ય બેંકિંગ પ્રવૃત્તિઓમાંથી થતી આવકમાં પણ સારો સુધારો જોવા મળ્યો છે. બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII) વાર્ષિક ધોરણે ૨.૧ ટકા વધીને ₹૧૦,૭૯૮ કરોડ નોંધાઈ છે.
જો આપણે બેંકની વ્યાજની કુલ આવક (Interest Income) ની વાત કરીએ, તો Q1FY27 માં તે વાર્ષિક ૨.૯ ટકાની વૃદ્ધિ સાથે ₹૩૨,૮૯૭ કરોડ થઈ છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં ₹૩૧,૯૬૪ કરોડ હતી. આ કમાણીમાં મુખ્ય હિસ્સો ધિરાણ પર મળતા વ્યાજનો (Interest on Advances) રહ્યો છે, જે વાર્ષિક ૬.૪ ટકા વધીને ₹૨૩,૦૬૧ કરોડ પર પહોંચ્યો છે. જો કે, રોકાણ પરના વ્યાજની આવકમાં (Interest on Investments) ૪.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે ₹૮,૦૭૭ કરોડ રહી છે.
અન્ય આવકના મોરચે, બેંકની ફી આધારિત આવક (Fee Based Income) માં ૪ ટકાનો વાર્ષિક સુધારો થયો છે અને તે ₹૨,૩૩૯ કરોડ નોંધાઈ છે, જેમાં ખાસ કરીને પ્રોસેસિંગ ફીમાં ૨૮.૯ ટકાનો મોટો વાર્ષિક ઉછાળો જોવા મળ્યો છે. ટ્રેઝરી આવક ભલે વાર્ષિક ધોરણે ઓછી રહી હોય, પરંતુ ત્રિમાસિક ધોરણે (QoQ) તેમાં ૩૨૭.૨ ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે અને તે વધીને ₹૧,૦૮૧ કરોડ થઈ છે. આ બધી પ્રવૃત્તિઓના પરિણામે, બેંકની કુલ આવક (Total Income) ₹૩૭,૨૩૧ કરોડના સ્તરે સ્થિર રહી છે.
માર્જિન અને કાર્યક્ષમતામાં સુધારો: પ્રતિ બ્રાન્ચ ₹૨ કરોડથી વધુ નફો
નાણાકીય પરિમાણોમાં પણ પીએનબીએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. બેંકનું વૈશ્વિક નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) ત્રિમાસિક ધોરણે (QoQ) સુધરીને ૨.૫0 ટકા થઈ ગયું છે, જે અગાઉના માર્ચ ક્વાર્ટરમાં ૨.૪૭ ટકા હતું.
સૌથી રસપ્રદ વિગત બેંકે બીએસઈ (BSE) ને આપેલી માહિતીમાં સામે આવી છે, જેમાં બેંકની આંતરિક કાર્યક્ષમતા અને ક્ષમતા સ્પષ્ટ દેખાય છે. રિપોર્ટ અનુસાર, પંજાબ નેશનલ બેંકમાં અત્યારે પ્રતિ કર્મચારી ચોખ્ખો નફો (Net Profit Per Employee) ₹૨૧.૭૧ લાખ નોંધાયો છે. આ સાથે જ, બેંકની સરેરાશ પ્રતિ શાખા દીઠ નફો (Profit Per Branch) ₹૨૦૩.૩૭ લાખ એટલે કે આશરે ₹૨.૦૩ કરોડના સ્તરે પહોંચી ગયો છે, જે કોઈપણ જાહેર ક્ષેત્રની બેંક માટે બહુ મોટો માઇલસ્ટોન છે.
એસેટ ક્વોલિટી મજબૂત: બેડ લોનમાં મોટો ઘટાડો
બેંકિંગ સેક્ટરમાં લાંબા સમયથી ચિંતાનો વિષય બનેલી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) ના મોરચે PNB એ શાનદાર કામગીરી બતાવી છે. બેંકની ગ્રોસ એનપીએ (GNPA) રેશિયો ત્રિમાસિક ધોરણે ૧૭ બેસિસ પોઈન્ટ્સ સુધરીને ૨.૭૮ ટકા પર આવી ગયો છે.
જો આપણે વાર્ષિક ધોરણે સરખામણી કરીએ, તો આ સુધારો વધુ આંખે વળગે તેવો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં બેંકનો ગ્રોસ એનપીએ રેશિયો ૩.૭૮ ટકા હતો, જે ચાલુ વર્ષે પૂરા ૧૦૦ બેસિસ પોઈન્ટ્સ (૧ ટકા) ઘટીને ૨.૭૮ ટકા પર આવી ગયો છે. આ આંકડો દર્શાવે છે કે બેંકે તેની જૂની વસૂલાતો ઝડપી બનાવી છે અને નવી બેડ લોન થવા પર કડક નિયંત્રણ મેળવ્યું છે.
મજબૂત કેપિટલ બેઝ અને બુક વેલ્યુમાં વધારો
નાણાકીય સ્થિરતા અને ભવિષ્યની ધિરાણ ક્ષમતા માપવા માટેનો મહત્વનો રેશિયો એટલે કે કેપિટલ ટુ રિસ્ક-વેઇટેડ એસેટ્સ રેશિયો (CRAR) પણ વધ્યો છે. ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ બેંકનો CRAR વધીને ૧૮.૧૩ ટકા પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં ૧૭.૫૦ ટકા હતો. આ સાથે જ રોકાણકારો માટે ખુશીના સમાચાર એ છે કે બેંકની પ્રતિ શેર ટેન્જિબલ બુક વેલ્યુ (Tangible Book Value Per Share) પણ ₹૯૨.૬૪ થી નોંધપાત્ર રીતે વધીને ₹૧૦૮.૫૮ થઈ ગઈ છે.

ગ્લોબલ બિઝનેસ ₹૩૦ લાખ કરોડની નજીક
પંજાબ નેશનલ બેંકનો કુલ વૈશ્વિક વ્યાપાર (Global Business) પણ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ બેંકનો કુલ ગ્લોબલ બિઝનેસ વાર્ષિક ૧૦.૨ ટકાની વૃદ્ધિ સાથે ₹૨૯.૯૮ લાખ કરોડ પર પહોંચી ગયો છે. આ વૃદ્ધિને બેંકે ડિપોઝિટ અને ધિરાણ બંને મોરચે જાળવી રાખી છે.
-
વૈશ્વિક ડિપોઝિટ (Global Deposits): વાર્ષિક ૮.૫ ટકાના વધારા સાથે ₹૧૭.૨૪ લાખ કરોડ પર પહોંચી છે.
-
વૈશ્વિક ધિરાણ (Global Advances): વાર્ષિક ૧૨.૭ ટકાની જોરદાર વૃદ્ધિ સાથે ₹૧૨,૭૩,૧3૨ કરોડ નોંધાયું છે.
ધિરાણમાં ઝડપી વૃદ્ધિ થવાને કારણે બેંકનો ક્રેડિટ-ડિપોઝિટ (CD) રેશિયો પણ સુધરીને ૭૩.૮ ટકા થઈ ગયો છે, જે ગયા વર્ષે ૭૧.૧ ટકા હતો. આ સમગ્ર નાણાકીય પરિણામો સ્પષ્ટ સંકેત આપે છે કે પંજાબ નેશનલ બેંક હવે માત્ર સરકારી ટેકા પર નિર્ભર નથી, પરંતુ એક અત્યંત વ્યાવસાયિક, નફાકારક અને આર્થિક રીતે સક્ષમ બેંક તરીકે દેશના નાણાકીય ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવે છે.