ખોડલધામ કાગવડ ખાતે આજે ભવ્ય પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ રીતે ઉજવાઈ રહ્યો છે
વર્ચ્યુઅલ ખોડલધામ ચેરમેન નરેશ પટેલે માં ખોડલના દર્શન કર્યા હતાં. તેમણે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો.ખોડલધામમાં વહેલી સવારથી જ મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. મંદિરના પટાંગણને રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું છે. 9 વાગે નરેશ પટેલ મહા આરતી કરી હતી.
ખોડલધામ મંદિરની યજ્ઞ શાળામાં મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. હરજીભાઈ ટિબડિયા તથા તેમનાં પત્ની સહિત પરિવાર યજ્ઞમાં બેઠા છે. તેઓ રાજકોટ જિલ્લાના પડધરીના તાલુકાના ગઢડા ગામના રહેવાસી છે. તેઓ ખોડલધામ મંદિરના શિલાયન્સ વખતે પણ યજ્ઞમાં બેઠા હતા.
સમાજના લોકો દ્વારા શહેરની જુદી જુદી સોસાયટીઓ અને ગામેગામ 10 હજારથી વધારે LED સ્ક્રીન, ટી.વી અને પ્રોજેક્ટર મૂકીને આ મહોત્સવ ના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત જુદી જુદી ધાર્મિક ચેનલોમાં પણ વર્ચ્યુઅલ પાટોત્સવનું જીવંત પ્રસારણ કરાશે. રાજ્યભરના ગામડાંઓમાં અને શહેરની સોસાયટીઓમાં દસ હજાર જેટલી એલઇડી સ્ક્રીન, પ્રોજેકટર મૂકવામાં આવ્યાં છે.
ખોડલધામ મંદિર માં માતાજી ની પ્રાણપ્રતિષ્ઠા ને 21 જાન્યુઆરી ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહયા છે ત્યારે ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
કોવિડની ગાઈડલાઈન્સ પ્રમાણે સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008 થી વધુ સ્થળે આરતીનું આયોજન કરાયુ છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેંગ્લોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરાશે. યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ મા ખોડલની આરતી કરાશે.