શું છે આ VRRR ઓક્શન? જાણો કેવી રીતે રિઝર્વ બેંક મોંઘવારીને કાબૂમાં લેવા રમી રહી છે માસ્ટર ગેમ
ભારતીય બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી (રોકડ નાણાંની ઉપલબ્ધતા) ને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પોતાના મોનેટરી પોલિસી ટૂલ્સનો સતત અને સક્રિય ઉપયોગ કરી રહી છે. તાજેતરમાં ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ-બેંક [FCNR(B)] ડિપોઝિટ્સ અને વિદેશી મૂડી પ્રવાહમાં થયેલા તીવ્ર વધારાને કારણે દેશની બેંકિંગ સિસ્ટમમાં અચાનક સરપ્લસ લિક્વિડિટી (વધારાની રોકડ) નું મોજું જોવા મળ્યું છે.
બેંકિંગ પ્રણાલીમાં જરૂર કરતાં વધુ રોકડ જમા થવાથી શોર્ટ-ટર્મ મની માર્કેટ રેટ્સ (જેમ કે ઓવરનાઈટ કોલ મની રેટ) રેપો રેટથી નીચે સરકી જવાનું જોખમ ઊભું થાય છે. જો આવું થાય, તો મોંઘવારીને કાબૂમાં રાખવાની આરબીઆઈની નાણાકીય પ્રાથમિકતાઓને મોટો ઝટકો લાગી શકે છે. આ વધારાની કેશને શોષી લેવા (Absorb કરવા) અને મણિ માર્કેટમાં વ્યાજદરોની સ્થિરતા જાળવી રાખવા માટે સેન્ટ્રલ બેંકે ‘વેરિયેબલ રેટ રિવર્સ રેપો’ (VRRR) હરાજીનો સહારો લીધો છે.

શું છે આ VRRR ઓક્શન?
વેરિયેબલ રેટ રિવર્સ રેપો (VRRR) એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ સિસ્ટમમાંથી વધારાની રોકડ પાછી ખેંચવા માટેનું એક મુખ્ય શોર્ટ-ટર્મ ટૂલ (ટૂંકા ગાળાનું સાધન) છે. આ પ્રક્રિયા હેઠળ વ્યાપારી બેંકો (Commercial Banks) પોતાની પાસે પડેલી વધારાની રોકડ રકમ રિઝર્વ બેંક પાસે ચોક્કસ સમયગાળા માટે (જેમ કે ૩, ૭ કે ૧૪ દિવસ) માટે જમા કરાવે છે. તેના બદલામાં આરબીઆઈ બેંકોને સ્પર્ધાત્મક (વેરિયેબલ) દરે વ્યાજ ચૂકવે છે.
FCNR(B) ઇનફ્લોથી બેંકિંગ સિસ્ટમમાં કેશનો ઉછાળો
બિન-નિવાસી ભારતીયો (NRIs) દ્વારા FCNR(B) ખાતાઓમાં વિદેશી હૂંડિયામણ જમા કરાવવા અને રિઝર્વ બેંક દ્વારા બજારમાંથી ડૉલરની ખરીદી કરવાના પરિણામે, દેશી ચલણ (રૂપિયા) ના રૂપમાં બેંકિંગ સિસ્ટમમાં ભારે લિક્વિડિટી પેદા થઈ છે. આંકડા અનુસાર, આરબીઆઈની એફસીએનઆરબી સ્કીમના કારણે બેંકો પાસે આશરે ૧૨૭ અબજ ડૉલરનું ફંડ આવ્યું છે. જો આ વધારાની તરલતાનું સમયસર વ્યવસ્થાપન કરવામાં ન આવે, તો કરન્સી માર્કેટમાં અસંતુલન ઊભું થવાનું જોખમ રહે છે.
શોર્ટ-ટર્મ ઇન્ટરેસ્ટ રેટ્સને તૂટતા બચાવવાની વ્યૂહરચના
જ્યારે બેંકો પાસે અતિશય સરપ્લસ કેશ હોય છે, ત્યારે તેઓ ઇન્ટર-બેંકિંગ માર્કેટમાં ખૂબ જ ઓછા વ્યાજદરે ધિરાણ આપવાનું શરૂ કરી દે છે. VRRR ઓક્શન દ્વારા આ એક્સ્ટ્રા કેશને સોષી લઈને RBI એ બાબત સુનિશ્ચિત કરે છે કે ઓવરનાઈટ કોલ મની રેટ્સ અને TREPS (Triparty Repo) દરો સેન્ટ્રલ બેંકના બેંચમાર્ક નીતિગત દરો (Repo Rate) ની આસપાસ જ જળવાઈ રહે.
મોંઘવારી નિયંત્રણ અને નાણાકીય સ્થિરતા
જો બજારમાં અતિશય રોકડની સ્થિતિ લાંબા સમય સુધી જળવાઈ રહે, તો તે અર્થતંત્રમાં માંગ-જનિત ફુગાવા (Demand-pull Inflation) ને પ્રોત્સાહન આપી શકે છે. VRRR હરાજી દ્વારા RBI ઇન્ફ્લેશનના જોખમને નિયંત્રણમાં રાખે છે. સાથે જ, તે કમર્શિયલ બેંકોને તેમના વગર વપરાશે પડેલા ફંડ પર સુરક્ષિત અને વ્યવસ્થિત રિટર્ન મેળવવાની તક પણ પૂરી પાડે છે.
FCNR(B) ના પ્રવાહથી ઊભી થયેલી લિક્વિડિટી વચ્ચે RBI નો આ નિર્ણય સાબિત કરે છે કે સેન્ટ્રલ બેંક વિદેશી મૂડીના આગમનથી પેદા થયેલી રોકડને નાણાકીય બજારમાં કોઈ અસ્થિરતા લાવ્યા વિના સરળતાથી સંતુલિત કરી રહી છે. જ્યાં સુધી સિસ્ટમમાં રોકડ સામાન્ય સ્તરે ન આવે, ત્યાં સુધી VRRR ઓક્શન્સ ભારતીય મની માર્કેટને નિયંત્રિત કરવાનું મુખ્ય હથિયાર બની રહેશે.
લિક્વિડિટી મેનેજમેન્ટ કેમ અત્યંત મહત્વનું છે?
ભારે FCNR(B) ઇનફ્લોના કારણે ૨૮ ઓગસ્ટ સુધીના અઠવાડિયામાં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserve) ૧.૮ અબજ ડૉલર વધીને રેકોર્ડ ૭૪૦.૮ અબજ ડૉલર સુધી પહોંચી ગયું છે. જો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા જીઓપોલિટિકલ તણાવના કારણે રૂપિયા પર દબાણ આવે, તો આ ફોરેક્સ રિઝર્વ ખૂબ જ કામ લાગશે.

બીજી તરફ, ભારતનું અર્થતંત્ર હાલ મજબૂત સ્થિતિમાં છે. વૈશ્વિક કટોકટી હોવા છતાં એપ્રિલ-જૂન ત્રિમાસિકગાળામાં રિયલ GDP માં અપેક્ષા કરતાં સારો ૭.૮ ટકાનો વૃદ્ધિ દર નોંધાયો છે. જોકે, એપ્રિલમાં ફુગાવાનો દર ૪.૪૫ ટકા હતો જે જૂનમાં ૪.૩૮ ટકા રહ્યો હતો. પરંતુ ચિંતા એ વાતની છે કે ભૌગોલિક તણાવ અને અપેક્ષા કરતાં ઓછા વરસાદના કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મોંઘવારી વધી શકે છે. આવા સમયે, RBI એ લિક્વિડિટી કન્ટ્રોલ કરવાની સાથે ગ્રોથ અને ફુગાવા વચ્ચે બારીક સંતુલન જાળવવું પડશે.
શું VRRR જ એકમાત્ર વિકલ્પ છે?
નિષ્ણાતોના મતે એવું નથી. નોમુરા (Nomura) ના ચીફ ઈકોનોમિસ્ટ સોનલ વર્માનું કહેવું છે કે સેન્ટ્રલ બેંક લિક્વિડિટી શોષવા માટે અન્ય કેટલાક વિકલ્પોનો પણ ઉપયોગ કરી શકે છે. જેમાં: ૧. સતત VRRR ઓપરેશન્સ ચાલુ રાખવા. ૨. ૨-૩ મહિના માટે ઇન્ક્રિમેન્ટલ કૅશ રિઝર્વ રેશિયો (iCRR) માં વધારો કરવો. ૩. સેલ-બાય સ્વેપ (Sell-Buy Swaps) પ્રક્રિયા અપનાવવી. (જેમાં RBI કમર્શિયલ બેંકોને વિદેશી ચલણ વેચે છે અને ભવિષ્યની નક્કી તારીખે તેને પાછું ખરીદવાનો કરાર કરે છે).
આગામી તહેવારોની સીઝનમાં રોકડની વધતી માંગ, ફોરવર્ડ કોન્ટ્રેક્ટ્સની મેચ્યોરિટી અને RBI ના સંભવિત ફોરેક્સ હસ્તક્ષેપથી સિસ્ટમમાં રહેલી સરપ્લસ લિક્વિડિટી થોડી ઓછી થશે, તેમ છતાં તેને પૂરેપૂરી સંતુલિત કરવા માટે આરબીઆઈને વિવિધ લિક્વિડિટી ટૂલ્સનો ઉપયોગ કરવો પડી શકે છે.
