માત્ર ૪ દીવાલો નહીં પણ સંપૂર્ણ કેર સિસ્ટમ! જાણો ભારતમાં કેમ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે સીનિયર લિવિંગ!
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોના જીવનધોરણ, વિચારસરણી અને જરૂરિયાતોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ બદલાવની સૌથી મોટી અસર રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પડી રહી છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટેના આવાસ એટલે કે ‘સીનિયર લિવિંગ હાઉસિંગ’ (Senior Living Housing) માર્કેટમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળી રહ્યો છે. પહેલાના સમયમાં વૃદ્ધાવસ્થામાં પોતાના જ ઘરમાં રહેવાનો આગ્રહ રાખવામાં આવતો હતો, પરંતુ હવે વરિષ્ઠ નાગરિકો શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સુવિધાઓથી સજ્જ વાતાવરણમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટેના હાઉસિંગ સેક્ટરનું મૂલ્ય વર્ષ ૨૦૨૪માં આશરે ૧૮,૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું હતું. નિષ્ણાતોના અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૬ સુધીમાં આ માર્કેટ વધીને ૩૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. ગ્રોથની આ સ્પીડ અહીં જ અટકવાની નથી; ૨૦૨૮ સુધીમાં માર્કેટની સાઈઝ ૭૦,૦૦૦ કરોડ રૂપિયા થવાની ધારણા છે, જ્યારે ૨૦૩૦ સુધીમાં આ આંકડો ૧ લાખ કરોડ રૂપિયાના વિશાળ આંકડાને પાર કરી જશે.

સપ્લાય સાઈડના આંકડા દર્શાવે છે કે હાલમાં દેશમાં સંંગઠિત (Organized) સીનિયર લિવિંગ હાઉસિંગના માત્ર ૨૫,૦૦૦ યુનિટ્સ ઉપલબ્ધ છે. જોકે, વધતી માંગને પહોંચી વળવા માટે ૨૦૩૦ સુધીમાં આ સપ્લાય વધીને ૧ લાખ યુનિટ્સ સુધી પહોંચી શકે છે. તેની સાથે જ આ ક્ષેત્રનો પેનિટ્રેશન રેટ પણ હાલના ૧% થી વધીને ૪% થવાની શક્યતા છે.
ટિયર-૨, ટિયર-૩ શહેરો અને આધ્યાત્મિક કેન્દ્રો બનશે મુખ્ય ગ્રોથ ડ્રાઈવર
અત્યાર સુધી સીનિયર લિવિંગ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે મેટ્રો અથવા ટિયર-૧ શહેરો (જેમ કે બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી-એનસીઆર) પૂરતા સીમિત હતા. પરંતુ હવે આ ટ્રેન્ડ ઝડપથી બદલાઈ રહ્યો છે. અહેવાલ અનુસાર, ૨૦૩૦ સુધીમાં આ સેક્ટરમાં ડેવલપર્સ અને રોકાણકારો દ્વારા ૧૩૦ અબજ રૂપિયા (₹130 Billion) થી વધુનું રોકાણ કરવામાં આવશે.
સૌથી રસપ્રદ વાત એ છે કે નવા લોન્ચ થનારા કુલ પ્રોજેક્ટ્સમાંથી ૩૦% થી ૪૦% હિસ્સો ટિયર-૨, ટિયર-૩ શહેરો અને આધ્યાત્મિક કેન્દ્રો (Spiritual Hubs) માં હશે.
નાના અને શાંત શહેરો: કોઈમ્બતુર, પુડુચેરી, દેહરાદૂન અને વડોદરા જેવા શહેરો પોતાના આહલાદક હવામાન, સારી તબીબી સુવિધાઓ અને શાંત જીવનશૈલીને કારણે વરિષ્ઠ નાગરિકોની પ્રથમ પસંદગી બની રહ્યા છે.
આધ્યાત્મિક ધામ: તિરુપતિ, વૃંદાવન અને અયોધ્યા જેવા પવિત્ર સ્થળો પર નિવૃત્ત જીવન ગાળવાની ઈચ્છા ધરાવતા નાગરિકો માટે સ્પેશિયલ સીનિયર ટાઉનશિપ વિકસાવવામાં આવી રહી છે.
હેલ્થકેર અને વેલનેસ પર વધતો ધ્યાન: માત્ર ઘર નહીં, સંપૂર્ણ ઈકોસિસ્ટમ
આજના યુગમાં સીનિયર લિવિંગ પ્રોજેક્ટ્સ માત્ર ૪ દીવાલો અને છત પૂરતા મર્યાદિત નથી રહ્યા. ડેવલપર્સ હવે ‘સ્ટેન્ડઅલોન’ ઇમારતો બનાવવાની જગ્યાએ ‘ઇન્ટિગ્રેટેડ લિવિંગ એન્ડ કેર ઇકોસિસ્ટમ’ વિકસાવવા પર ભાર મૂકી રહ્યા છે.
૧, ૨ અને ૩ BHK એપાર્ટમેન્ટ્સની માંગ સ્વતંત્ર રીતે રહેતા (Independent Living) અને મદદની જરૂરિયાત વાળા (Assisted Living) બંને વર્ગમાં જળવાઈ રહેશે. આ સિવાય લક્ઝરી વિલા, લાર્જ મિક્સ્ડ-યુઝ ડેવલપમેન્ટ્સ અને મોટી ટાઉનશિપની અંદર સીનિયર લિવિંગ ક્લસ્ટર્સ બનાવવાનો નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
આગામી સમયમાં આ પ્રોજેક્ટ્સમાં ખાસ સુવિધાઓ જેવી કે:
ડિમેન્શિયા (મગજ સંબંધિત બીમારી) માટે ખાસ સંભાળ
૨૪x૭ ઇમરજન્સી મેડિકલ સપોર્ટ
રિહેબિલિટેશન (પુનર્વસન) સેન્ટર્સ
વેલનેસ અને ફિટનેસ પ્રોગ્રામ્સ
આ ઉપરાંત, ઓપરેટર-લેડ મોડલ્સ (Operator-led Models) પણ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે, જ્યાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ સ્થાનિક હોસ્પિટલો અથવા હેલ્થકેર પ્રોવાઈડર્સ સાથે ટાઈ-અપ કરીને પ્રોજેક્ટ્સનું સંચાલન કરે છે.

મજબૂત રેગ્યુલેટરી ફ્રેમવર્ક અને રેરા (RERA) નો કડક અમલ
સીનિયર લિવિંગ ક્ષેત્રના ઝડપી વિકાસની સાથે વરિષ્ઠ નાગરિકોના હિતોનું રક્ષણ થાય તે પણ એટલું જ જરૂરી છે. કોલિયર્સના રિપોર્ટ મુજબ, દેશમાં આ ક્ષેત્ર માટે રેગ્યુલેટરી એનવાયરનમેન્ટ વધુ મજબૂત બની રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સીનિયર હાઉસિંગ માટે મોડેલ ગાઈડલાઈન્સ તૈયાર કરવા પર ભાર મૂકી રહી છે.
RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) ના કડક નિયમોના અમલથી આ ક્ષેત્રમાં પારદર્શિતા (Transparency), કામગીરીમાં ગુણવત્તા અને જવાબદેહી વધશે. હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ તો સીનિયર લિવિંગ પ્રોજેક્ટ્સ માટે ખાસ નીતિઓ અને માર્ગદર્શિકા બનાવવાની દિશામાં પહેલ પણ કરી દીધી છે, જે ભવિષ્યમાં અન્ય રાજ્યો માટે પણ એક ઉદાહરણ બનશે.
