શ્રાવણ માસની સમાપ્તિ અને રક્ષાબંધન પર્વના આગમન સાથે જ દેશભરમાં તહેવારોનો મોસમ જામ્યો છે. લોકો આગામી તહેવારોની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ બીજી તરફ રસોડાનું બજેટ સામાન્ય માણસ માટે ભારે ચિંતાનો વિષય બની રહ્યું છે. એલપીજી ગેસના દરો બાદ હવે દૈનિક ધોરણે વપરાતી શાકભાજી, ખાસ કરીને ડુંગળીના વધતા ભાવે ગૃહિણીઓનું ગણિત ખોરવી નાખ્યું છે.
ડુંગળીના વધતા ભાવોને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે પોતાના બફર સ્ટોકમાંથી પુરવઠો ખુલ્લા બજારમાં મૂકવાની ફરજ પડી છે. આ સાથે જ મુખ્ય વપરાશકાર રાજ્યો સુધી ઝડપથી જથ્થો પહોંચાડવા ‘કાંડા એક્સપ્રેસ’ જેવી વિશેષ માલગાડીઓ દોડાવવી પડી છે. નિષ્ણાતોના મતે ડુંગળીના ભાવમાં આ વધારો અચાનક માંગ વધવાને કારણે નથી, પરંતુ જૂના સ્ટોકના ઘટાડા અને નવા પાકના આગમન વચ્ચે સર્જાયેલી સપ્લાય ગેપના કારણે થયો છે.
ડુંગળીના ભાવ વધવા પાછળના ૫ મુખ્ય કારણો
૧. કમોસમી વરસાદ અને સંગ્રહ દરમિયાન સડો: માર્ચ અને એપ્રિલ મહિનામાં કાપણી સમયે પડેલા અકાળે વરસાદ અને કરાના કારણે ડુંગળીના પડમાં ભેજ રહી ગયો હતો. ઉનાળાની ગરમી અને ભેજવાળા વાતાવરણને કારણે સંગ્રહ કરેલી ડુંગળીમાં ફૂગ અને કાળો સડો લાગ્યો હતો. પરિણામે સામાન્ય રીતે થતું ૨૫ ટકાનું નુકસાન વધીને ૩૫ થી ૪૦ ટકા સુધી પહોંચી ગયું હતું.
૨. ભૌગોલિક સાંદ્રતા: દેશમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાંથી ૫૦ થી ૬૦ ટકા હિસ્સો માત્ર ત્રણ રાજ્યો – મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટક ધરાવે છે. આ મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં ચોમાસાનો વિલંબ કે અતિવૃષ્ટિ થાય તો તેની સીધી અસર સમગ્ર દેશના પુરવઠા પર પડે છે.
૩. પાક ચક્રનો તફાવત (સપ્ટેમ્બર-નવેમ્બર): દર વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન નવા ખરીફ પાકના આગમન પહેલા બજારમાં રવિ સિઝનની સંગ્રહિત ડુંગળી જ વેચાય છે. જો આ સ્ટોક સમય પહેલાં ખતમ થઈ જાય કે બગડી જાય તો નવી આવક સુધી ભાવ અચાનક ઊંચા જાય છે.
૪. વચેટિયાઓનું માર્જિન અને સંગ્રહખોરી: ખેડૂતો પાસેથી ગ્રાહકો સુધી પહોંચતા ડુંગળી અનેક દલાલો અને વેપારીઓના હાથમાંથી પસાર થાય છે. મધ્યસ્થીઓ ખેડૂતોને ઓછો ભાવ આપીને સ્થાનિક બજારોમાં ૪૦ થી ૭૦ ટકા જેટલું મસમોટું માર્જિન ઉમેરે છે. અછતની સ્થિતિમાં કૃત્રિમ સંગ્રહખોરી પણ ભાવ વધારે છે.
૫. આધુનિક સ્ટોરેજનો અભાવ: વધુ પડતા ભેજના કારણે ડુંગળીને સામાન્ય કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાતી નથી, કારણ કે ત્યાં તે અંકુરિત થવા લાગે છે. ખેડૂતો હજુ પણ પરંપરાગત વાંસની ‘કાંડા ચાલ’ પર આધાર રાખે છે, જે પ્રતિકૂળ હવામાનમાં પાકને બચાવી શકતી નથી.
વિવિધ રાજ્યોમાં છૂટક ભાવનું ચિત્ર
મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર હોવાના કારણે મહારાષ્ટ્રમાં સૌથી ઓછો ₹૩૦ થી ₹૪૨ પ્રતિ કિલોનો ભાવ છે. તેની સરખામણીએ લાંબા પરિવહન ખર્ચના કારણે દિલ્હી-એનસીઆરમાં ડુંગળી ₹૬૦ થી ₹૬૮, તમિલનાડુમાં ₹૫૮ થી ₹૬૫ અને પશ્ચિમ બંગાળમાં ₹૫૫ થી ₹૬૫ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. દુર્ગમ ભૌગોલિક રસ્તાઓ અને વધુ લોજિસ્ટિક્સ ખર્ચના કારણે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ડુંગળીનો ભાવ ₹૬૫ થી ₹૭૫ કે તેથી વધુ નોંધાયો છે.
ભાવ ક્યારે ઘટશે?
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન ડુંગળીના ભાવ હજુ ઊંચા રહેવાની અને પોતાની ટોચ પર પહોંચવાની શક્યતા છે. આ સમયગાળામાં જૂનો રવિ પાક પૂર્ણતાના આરે હશે અને નવા ખરીફ પાકના આગમનમાં સપ્ટેમ્બરના હવામાનના કારણે વિલંબ થઈ શકે છે.
ડુંગળીના નિકાસકાર દાનિશ શાહના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ નિર્ણાયક રહેશે. જો વરસાદ પાકને નુકસાન પહોંચાડશે તો ભાવ વધુ વધી શકે છે. હાલ પૂરતું, સરકારના બફર સ્ટોકના હસ્તક્ષેપથી શહેરોમાં આંશિક રાહત મળી શકે છે, પરંતુ લાંબા ગાળાનો ભાવ ઘટાડો નવા ખરીફ પાકની ઉપજ અને ગુણવત્તા પર જ નિર્ભર રહેશે.
