Valsad બાબુ કાકા: વલહાડ “હૈનિકો નારાજ હહે તો મેદાન કેમનું મરાહે સાહેબ?”
Valsad વલહાડ જિલ્લા ભાજપમાં અત્યારે કઈ હારુ નથી ચાલતું હો ભાઈ! નવી યાદી શું આવી, આખા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષના પાયાના કાર્યકરોમાં એવો તે ફાટફાટ અસંતોષ છે કે ગમે ત્યારે મોટો ધડાકો થાય તો નવાઈ નહીં. વલહાડના જૂના અને જાણીતા ‘બાબુ કાકા’ એ તો ખુલ્લેઆમ ચેતવણી આપી દીધી છે કે, “આ તો તોફાન પહેલાની હન્નાટો છે, જો આ તીર ઊંધું વાગ્યું ને તો લેવાના દેવા પડી જહે!”
જૂના જોગીઓ પડતા મૂકાયા, નવા નિશાળિયા ફાવ્યા!
બાબુ કાકાનો આક્રોશ સાતમા આસમાને છે. એમનું કહેવું છે કે, “અરે ભાઈ, જેણે ધમધખતા તાપમાં ને ધોધમાર વરહાદમાં પક્ષ માટે પરસેવો પાડ્યો, રાત-દિવસ જોયા વગર કમળ ખીલવવા મહેનત કરી, એવા ‘જૂના જોગીઓ’ના પત્તા એક ઝાટકે કાપી નાખ્યા? અને જેમના નામ કોઈએ હાંભળ્યા નથી, એવા નવા નિશાળિયાઓને હિધા સંગઠનમાં બેહાડી દીધા! આ તો કેવો ન્યાય? પાયાનો કાર્યકર બિચારો અત્યારે મનમાં ને મનમાં કચવાઈ રહ્યો છે.”
સૈનિકો નારાજ હશે તો મેદાન કેમનું મરાશે?”
ચૂંટણીનો જંગ માથે છે ત્યારે જ પક્ષમાં ભીતરઘાતનો ખતરો વર્તાઈ રહ્યો છે. બાબુ કાકાના શબ્દોમાં કહીએ તો, “જંગ જીતવા માટે સેનાપતિ કરતા હૈનિકો વધારે જોઈએ. જો હૈનિકોના દિલમાં જ આક્રોશ હશે, તો મેદાન કેમનું મરાહે? અત્યારે તો સોશિયલ મીડિયા પર જે ટીકાઓ થાય છે ને, એ પક્ષ માટે લાલબત્તી છે. વફાદાર કાર્યકરો આજે પૂછી રહ્યા છે કે શું અમારી વર્ષોની વફાદારીની આ જ કિંમત?”
વલહાડની ધરતીનો આ મિજાજ જો સમયસર પારખવામાં નહીં આવે તો વિરોધીઓ માટે મેદાન મોકળું થઈ જવાની પૂરી શક્યતા છે. સંગઠનમાં ફેરફાર જરૂરી છે પણ એ ‘આત્મઘાતી’ ન બનવો જોઈએ.
“યાદ રાખજો સાહેબ, રાજકારણમાં કોઈ માણહ મોટો નથી હોતો, કાર્યકર મોટો હોય છે!” – આ શબ્દો અત્યારે વલહાડના ગામેગામ ગુંજી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપના ‘મોટા માથાઓ’ આ આગ ઠારે છે કે પછી આ નારાજગી ચૂંટણીમાં મોટો ભડાકો કરે છે!
