અમેરિકા-ઈરાન સીઝફાયરથી શહબાઝ શરીફ ગદગદિત: બોલ્યા- ‘મુનીર અમારા હીરો છે, અલ્લાહે આજે પાકિસ્તાનને ગૌરવ અપાવ્યું’
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા 14 દિવસના સીઝફાયર (યુદ્ધવિરામ)ને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અત્યંત ખુશ દેખાઈ રહ્યા છે. આ મધ્યસ્થીમાં પાકિસ્તાનની ભૂમિકાને તેમણે ઐતિહાસિક ગણાવી પોતાની સરકાર અને સેનાની પીઠ થપથપાવી છે. શરીફે દાવો કર્યો છે કે આ ઘટના બાદ હવે દુનિયા પાકિસ્તાનને સન્માન અને ગૌરવની નજરથી જોઈ રહી છે.
“પાકિસ્તાન માટે આ ગૌરવની ક્ષણ છે”
વડાપ્રધાન શહબાઝ શરીફે કેબિનેટ બેઠકને સંબોધિત કરતા કહ્યું કે, અલ્લાહે આજે પાકિસ્તાનને જે સન્માન આપ્યું છે તે દેશના ઈતિહાસની સૌથી ગૌરવશાળી ક્ષણ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “ટોક્યોથી લઈને લંડન અને કુઆલાલમ્પુર સુધીના ટીવી ચેનલો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં જે રીતે પાકિસ્તાનનો ઉલ્લેખ થઈ રહ્યો છે, તે અભૂતપૂર્વ છે. આવો નજારો આ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.”
શહબાઝના મતે, આ યુદ્ધવિરામથી વૈશ્વિક મંચ પર પાકિસ્તાનનું કદ વધ્યું છે અને દેશના 24 કરોડ લોકો આ સન્માનના અસલી હકદાર છે.
આસિમ મુનીરને ગણાવ્યા દેશના ‘હીરો’
વડાપ્રધાને પાકિસ્તાની સેનાના વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની પ્રશંસા કરતા તેમને ‘હીરો’ તરીકે નવાજ્યા હતા. તેમણે કહ્યું કે, આસિમ મુનીરે સાબિત કરી દીધું છે કે દેશના સર્વોચ્ચ હિત માટે સેના અને રાજકીય નેતૃત્વ ખભેખભા મિલાવીને કામ કરી શકે છે. શરીફે મુનીરનો આભાર માનતા જણાવ્યું કે, તેઓ માત્ર મે 2025 ના યુદ્ધના હીરો નથી, પણ શાંતિ સ્થાપવા માટેના પણ સાચા યોદ્ધા છે.
10 એપ્રિલે ઈસ્લામાબાદમાં થશે મહત્વની બેઠક
નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ ફરી ખોલવાની શરતે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત કરી હતી. આ જાહેરાત દરમિયાન ટ્રમ્પે શહબાઝ શરીફ અને આસિમ મુનીરના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.
હવે આ પ્રક્રિયાને આગળ વધારવા માટે પાકિસ્તાને બંને દેશોના પ્રતિનિધિ મંડળોને 10 એપ્રિલના રોજ ઈસ્લામાબાદમાં આમંત્રણ આપ્યું છે. શરીફને વિશ્વાસ છે કે શુક્રવારે યોજાનારી આ મંત્રણા સફળ રહેશે અને યુદ્ધવિરામનો આગામી તબક્કો પણ શાંતિપૂર્ણ રીતે અમલી બનશે.
શું ખરેખર પાકિસ્તાન બદલાઈ ગયું છે?
શહબાઝ શરીફે પોતાના ભાષણમાં ભારપૂર્વક કહ્યું કે પાકિસ્તાન હંમેશા માટે બદલાઈ ગયું છે. જોકે, આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો આ મામલે મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. એક તરફ પાકિસ્તાન આને પોતાની રાજદ્વારી જીત માની રહ્યું છે, તો બીજી તરફ આ સીઝફાયર કેટલો સમય ટકશે અને જમીની સ્તરે તેની શું અસર થશે, તેના પર દુનિયાની નજર છે.

