શ્રમિકોના આરોગ્ય અને પોષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ, શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત
ગુજરાત સરકાર દ્વારા બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના સર્વાંગી કલ્યાણ માટે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રમિક પરિવારોને પૂરતું પોષણ અને સાત્વિક આહાર પૂરો પાડી તેમના આરોગ્યની જાળવણી કરવાનો છે. તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના ૭૧મા જન્મદિવસની ઉજવણી ગાંધીનગરના સેક્ટર-૬ સ્થિત કડિયા નાકા પર શ્રમિકોને પોતાના હાથે ભોજન પીરસીને કરી હતી. આ પ્રસંગે તેમણે શ્રમિકો સાથે સીધો સંવાદ કરી ભોજનની ગુણવત્તાનું નિરીક્ષણ પણ કર્યું હતું.
માત્ર ૫ રૂપિયામાં પૌષ્ટિક અને સાત્વિક ભોજન
બાંધકામ સાઇટ પર પરસેવો પાડતા શ્રમિકોને પૂરતું પોષણ મળી રહે તે માટે સરકાર અત્યંત સંવેદનશીલ છે. આ યોજના અંતર્ગત શ્રમિકોને માત્ર ૫ રૂપિયાના રાહત દરે ગરમાગરમ અને પોષણયુક્ત ભોજન પૂરું પાડવામાં આવે છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભોજનની સાથે સાથે શ્રમિકોના સ્વાસ્થ્ય માટે શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા પ્રાથમિક આરોગ્ય તપાસની સુવિધાઓ પણ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી શ્રમિકો તંદુરસ્ત રહીને પોતાનું ગુજરાન ચલાવી શકે.
સમગ્ર ગુજરાતમાં કેન્દ્રોનો વ્યાપ વધારવાનું આયોજન
શ્રમિક અન્નપૂર્ણા યોજનાની લોકપ્રિયતા અને જરૂરિયાતને જોતા સરકાર તેનો વ્યાપ સતત વધારી રહી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ૨૯૩ જેટલા કેન્દ્રો કાર્યરત છે, જ્યારે ટૂંક સમયમાં નવા ૧૨૧ કેન્દ્રો શરૂ થવા જઈ રહ્યા છે. આ વર્ષના બજેટમાં વધુ ૩૦૦ નવા કેન્દ્રો ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારનો લક્ષ્યાંક છે કે છેવાડાના વિસ્તારોમાં કામ કરતા શ્રમિકો સુધી આ સસ્તી અને પૌષ્ટિક ભોજનની સુવિધા પહોંચે અને કોઈ પણ શ્રમિક ભૂખ્યો ન રહે.
આરોગ્ય તપાસ અને વિશેષ સારભાળની સુવિધા
ભોજન કેન્દ્રો પર માત્ર જમવાની જ નહીં, પરંતુ શ્રમિકોની સુખાકારી માટે આરોગ્યલક્ષી સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી છે. શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા પરિવારો માટે હવામાન આધારિત વિશેષ કાળજી રાખવા અને પ્રાથમિક સારવાર આપવા માટે વિભાગને કડક સૂચનાઓ અપાઈ છે. ગાંધીનગરના કડિયા નાકા ખાતે મંત્રીશ્રીની ઉપસ્થિતિ અને તેમની સાથેના સંવાદથી શ્રમિક પરિવારોમાં આશા અને આનંદની લાગણી જોવા મળી હતી.

