સરકારની સબસિડી સ્કીમથી માત્ર એક લાખમાં ઘરેલું સોલાર સ્થાપન
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હાલ સોલાર આધારિત પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ઘરેલુ વપરાશ માટે ખાસ સબસિડીની સુવિધા મળતા નાગરિકો પોતાના મકાનની છત પર સોલાર સિસ્ટમ સ્થાપિત કરી રહ્યા છે. જેના કારણે વીજળી બચત સાથે દર મહિને આવનાર લાઇટ બિલમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. અનેક પરિવારો મહિનાઓથી ઝીરો અથવા નામમાત્ર બિલ મેળવી રહ્યાં છે, જે ઘરખર્ચમાં સીધી બચત રૂપે પરિણામ આપી રહ્યું છે.
જેસરના જીતેન્દ્ર ગીરીએ સોલાર સિસ્ટમથી કર્યો બદલાવ
ભાવનગર જિલ્લાના જેસર શહેરમાં રહેતા ગોસ્વામી જીતેન્દ્ર ગીરી ભગવાન ગીરી ગેરેજનો વ્યવસાય ચલાવે છે અને મહિને લગભગ 20,000 રૂપિયાની આવક મેળવે છે. પહેલાં તેમના ઘરે વધુ ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોવાથી દર મહિને 5 હજારથી વધુનું લાઇટ બિલ આવતું હતું. મિત્રની સલાહ બાદ તેમણે સોલાર સિસ્ટમ લગાવવાનો નિર્ણય લીધો. થોડા જ સમયમાં બિલ સંપૂર્ણપણે ઝીરો થઈ ગયું અને હવે તેઓ આરામથી એસી સહિત બધી વસ્તુઓ ચલાવી શકે છે.
સબસિડી અને લોન સહાય
જીતેન્દ્રએ જણાવ્યું કે પરિવાર મોટો હોવાને કારણે લાઇટ, પંખા, ટીવી અને અન્ય ઉપકરણોનો વપરાશ બમણો હતો. શરૂઆતમાં લાઇટ બિલમાં જ કમાણીનો મોટો હિસ્સો ખર્ચાઈ જતો. મિત્રના માર્ગદર્શનથી તેમણે સોલાર યોજના વિશે માહિતી મેળવી અને ઓનલાઈન અરજી કરી. સ્થાપનનો કુલ ખર્ચ 1,77,000 થયો, પરંતુ લોન અને સબસિડી મળતા માત્ર 1 લાખ રૂપિયામાં સમગ્ર સિસ્ટમ તૈયાર થઈ. આ કારણે ઘરેલુ ખર્ચ પણ હળવો રહ્યો અને વીજળીની ચિંતા દૂર થઈ.
સતત ઝીરો બિલ અને વધારાના યુનિટ જમા થવાની સગવડ
સોલાર સિસ્ટમથી હવે તેઓ મહિનાઓથી ઝીરો બિલ મેળવી રહ્યાં છે અને વિતરણ કંપનીમાં યુનિટ પણ ક્રેડિટ થઈ રહ્યા છે, જેનુ વળતર ભવિષ્યમાં મળે તેવી શક્યતા છે. હાલમાં ઘરમાં 10–12 લાઇટ, એસી, ફ્રિજ, ટીવી અને અન્ય ઉપકરણો ચાલ્યા છતાં બિલ નથી આવતું. આ પરિબળ તેમને આર્થિક રીતે વધુ મજબૂત કરી રહ્યું છે અને બચત વધારી રહ્યું છે. ઊર્જા સ્વતંત્રતાનો આ અનુભવ અન્ય લોકોને પણ પ્રેરિત કરતો થયો છે.
સોલાર દુકાનદારનો અનુભવ – સબસિડીથી લોકોમાં ઉમંગ
જેસરના સોલાર વ્યવસાયી ઋત્વિકભાઈ બારૈયાએ જણાવ્યું કે જીતેન્દ્ર ગીરી તેમના મિત્ર છે અને તેમને દર મહિને 5,000 રૂપિયાનું બિલ આવતું હોવાની વાત જાણી તેઓએ સોલાર સ્થાપનની સલાહ આપી. સરકારની સહાય મળતા સ્થાપન સરળ બન્યું અને હવે તેમનું બિલ શૂન્ય બની ગયું છે. ઋત્વિકભાઈનું કહેવું છે કે હાલ વધતી જાગૃતિને કારણે શહેરમાં સોલાર અપનાવનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

