વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે છેલ્લા ત્રણ મહીનાથી રામભરોસે ચાલતી પ્રવેશ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાત માધ્યમિક અને અચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 12 નું પરીણામ જાહેર થયાને 100 દિવસ વિતી ગયા હોવા છતા પણ એક પણ અભ્યાસક્રમના જે-તે કોલેજોમાં ઓનલાઈન પ્રવેશ ફાળવવાની કામગીરી હજી પણ શરૂ કરવામાં આવી નથી. રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીમાં ઓનલાઈન પ્રવેશનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈને બીજા તબક્કાનો પ્રારંભ પણ થઈ ગયો છે, જ્યારે નર્મદ યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કાના જ હજી કઈ ઠેકાણા નથી. યુનિવર્સિટીના પ્રવેશ પ્રક્રિયાના વિલંબિત કાર્યને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરાવવા માટે સેનેટ મેમ્બર કનુ ભરવાડ દ્વારા ઈન્ચાર્જ કુલપતિને રજૂઆત કરવામાં આવી છે.
નર્મદ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા ચે. ઘણા વિદ્યાર્થીઓએ પ્રાઈવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધા છે. રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાને આરે છે તેવા સંજોગોમાં નર્મદ યુનિવર્સિટીની ટલ્લે ચડેલી પ્રવેશ કામગીરીને કારણો પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય અને અભ્યાસ માટે ખૂબ ઓછો સમય મળશે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને સેનેટ મેમ્બર દ્વારા તત્કાલ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે.