સુરેન્દ્રનગર જિલ્લો એક સમયે સૂકો અને ગરમ હવામાન વાળો વિસ્તાર ગણાતો હોય અહીં મુખ્યત્વે કપાસ,જુવાર,ચણા જેવા પરંપરાગત પાકો લેવાતા હતા પણ હવે નર્મદા કેનાલનો લાભ મળતા ખેડૂતો અન્ય પાકો લેતા થયા છે,
જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના શાંતિલાલ પટેલે બે એકર જમીનમાં લીલી દ્રાક્ષનું સફળ વાવેતર કરીને પ્રથમ વર્ષે જ 10 લાખ જેટલી રકમની આવક મેળવતા અન્ય ખેડૂતો હવે આ પાક લેવા પ્રેરાયા છે.
લીલી દ્રાક્ષનો પાક આમતો મહારાષ્ટ્રના નાસિક, ધુલિયા પંથકમાં ખુબજ થાય છે જે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં શક્ય બન્યો છે.
આજથી પાંચ વર્ષ અગાઉ શાંતિલાલ પટેલ જયારે નાસિક ગયા ત્યારે ત્યાં દ્રાક્ષના માંડવા જોઇ સુરેન્દ્રનગર જિલ્લાના પોતાના ગામની સીમમાં પોતાના ખેતરમાં પણ દ્રાક્ષનું વાવેતર કરવાનો તેઓનેવિચાર આવતા તેઓએ તેને અમલમાં મુક્યો અને બે એકર જમીનમાં કુલ 1800થી વધુ રોપાનુ વાવેતર કર્યું હતું. જેમાં રોપા, મજૂરી અને લોખંડના સ્ટ્રક્ચર સહિતનો કુલ રૂપિયા 13 લાખથી વધુનો ખર્ચ આવ્યો હતો.
જોકે, દ્રાક્ષના માંડવામાં ત્રણ વર્ષ બાદ ઉતારો આવવાની શરૂઆત થાય છે.
ખેડૂત આગેવાલ શાંતિલાલે સુરેન્દ્રનગર જિલ્લામાં દ્રાક્ષનું સફળ વાવેતર કરી જિલ્લાના તમામ ખેડૂતો માટે ઉદાહરણરૂપ ખેતી કરી છે. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર લીલી દ્રાક્ષની સફળ ખેતી કરી જિલ્લાના તેમજ સમગ્ર રાજ્યના અન્ય ખેડૂતોને નવી અને અનોખી રાહ ચીંધી છે.
જેથી અન્ય ખેડૂતો પણ શાંતિલાલ પાસેથી પ્રેરણા લેવા તેમના ખેતરની મુલાકાત લઈ રહયા છે બીજુ કે દ્રાક્ષનો ભાવ પણ સારો મળતો હોય ખેડૂતો નવા પાકો તરફ આકર્ષાયા છે.
બે એકરમાં ખેડૂતને રૂપિયા 10 લાખથી વધુની આવક થાય છે, દ્રાક્ષનું એક વાર વાવેતર કર્યા બાદ 20 વર્ષ સુધી દ્રાક્ષનો ઉતારો આવે છે. જેથી લાંબા ગાળે ખેડૂતોને ફાયદો થાય છે.
આમ સુરેન્દ્રનગર માં દ્રાક્ષનો પાક લેવાય છે જે ખુબજ મીઠી દ્રાક્ષ હોય છે.