ધરમપુર: આંબોસી ભવઠાણમાં ખેડૂતોને આંબાના પાક માટે ‘ખાટી છાશ’ અને ‘જીવામૃત’નો મહિમા સમજાવવામાં આવ્યો
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણ ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં (કોમ્યુનિટી રિસોર્સ પર્સન) CRP શૈલેષભાઈ અને કૃષિ સખી પ્રવિણાબેન હાજર રહ્યા હતા. શૈલેષભાઇ દ્વારા આંબા પાકમાં જીવામૃત અને ખાટી છાશ, અર્ક વિશેના શું ફાયદા થાય તે વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ પ્રાકૃતિક ખેતીની માહિતી પણ આપવામાં આવી હતી જેમાં ખેડૂતોને જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એની વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત, ઘનજીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ઝેરમુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે માહિતી આપી હતી. કૃષિ સખી પ્રવિણાબેન દ્વારા ખેડૂતોને જીવામૃત કઇ રીતે બનાવી શકાય તે અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
