ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન: ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮મીએ પરિણામ; ૧૫ મહાનગરપાલિકા સહિત ૯૦૧૧ બેઠકો પર જંગ
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે આજે બુધવારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી કૃષ્ણાએ જાહેરાત કરી છે કે ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતો માટે આગામી ૨૬ એપ્રિલે મતદાન યોજાશે. આ જાહેરાતની સાથે જ સમગ્ર ગુજરાતમાં આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે.
ચૂંટણી પંચનો સત્તાવાર કાર્યક્રમ:
-
નામાંકન (ફોર્મ ભરવાની) શરૂઆત: ૬ એપ્રિલ, ૨૦૨૬
-
ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ: ૧૧ એપ્રિલ, ૨૦૨૬
-
ફોર્મની ચકાસણી: ૧૩ એપ્રિલ, ૨૦૨૬
-
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: ૧૫ એપ્રિલ, ૨૦૨૬
-
મતદાનની તારીખ: ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦)
-
પુનઃ મતદાન (જો જરૂરી હોય તો): ૨૭ એપ્રિલ, ૨૦૨૬
-
મતગણતરી અને પરિણામ: ૨૮ એપ્રિલ, ૨૦૨૬
ક્યાં-ક્યાં યોજાશે ચૂંટણી?
આ ચૂંટણીઓમાં રાજ્યની ૧૭ પૈકીની ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા મુખ્ય શહેરો સામેલ છે. જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાની મુદત હજુ બાકી હોવાથી ત્યાં અત્યારે ચૂંટણી યોજાશે નહીં. કુલ ૯,૦૧૧ સામાન્ય બેઠકો અને ૧૩ પેટાચૂંટણી બેઠકો મળીને કુલ ૯,૦૨૪ બેઠકો માટે રસાકસી જામશે.
રાજકીય સમીકરણો: ત્રિપાંખિયો જંગ નક્કી
આ ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ સામે વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) મેદાનમાં છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ વખતે કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે કોઈ ગઠબંધન થયું નથી. બંને પક્ષોએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જેના કારણે મતોનું વિભાજન ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કે કેમ તે જોવું રહ્યું. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણીના પરિણામો રાજ્યનો રાજકીય મિજાજ નક્કી કરશે.
નવી મતદાર યાદી અને વ્યવસ્થા
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે, તાજેતરમાં સુધારણા પ્રક્રિયા પછી તૈયાર કરવામાં આવેલી નવી મતદાર યાદીઓના આધારે જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આચારસંહિતાના અમલને કારણે હવે સરકાર કોઈ નવી લોકકલ્યાણકારી યોજનાઓ કે જાહેરાતો કરી શકશે નહીં. પંચે સુરક્ષા અને નિષ્પક્ષ મતદાન માટે પોલીસ તંત્રને પણ સજ્જ રહેવા આદેશ આપ્યો છે.
૧ એપ્રિલ ૨૦૨૬ ના આ એલાન બાદ હવે ગુજરાતમાં રાજકીય ગરમાવો ટોચ પર પહોંચશે. ૨૬ એપ્રિલે જનતા નક્કી કરશે કે સ્થાનિક સ્તરે વિકાસની ધુરા કોના હાથમાં સોંપવી. શું ભાજપ પોતાનો ગઢ સાચવી રાખશે કે વિપક્ષ કોઈ મોટો ઉલટફેર કરશે? તેનો ફેંસલો ૨૮ એપ્રિલે થશે.

