સુરક્ષાના જોખમે ઇઝરાયેલ સ્થિત અમેરિકી દૂતાવાસનો મોટો નિર્ણય: બિન-જરૂરી સ્ટાફને દેશ છોડવાની મંજૂરી
મધ્ય પૂર્વમાં સતત વણસતી જતી પરિસ્થિતિ અને સુરક્ષાના જોખમોને જોતા, ઇઝરાયેલના જેરૂસલેમમાં આવેલા અમેરિકી દૂતાવાસે શુક્રવારે એક મહત્વની જાહેરાત કરી છે. દૂતાવાસે તેના બિન-જરૂરી (non-emergency) સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સ્વેચ્છાએ ઇઝરાયેલ છોડવાની મંજૂરી આપી દીધી છે. દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ પર જણાવાયું છે કે, જે લોકો દેશ છોડવા માંગતા હોય તેઓ અત્યારે ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઇટ્સનો ઉપયોગ કરીને વહેલી તકે રવાના થઈ શકે છે.
સુરક્ષા એડવાઇઝરી અને મુસાફરી પર પ્રતિબંધ
૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જારી કરાયેલા આ નિવેદનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે ‘સુરક્ષા જોખમો’ને કારણે આ મંજૂરી આપવામાં આવી છે. જોકે, લેબનોનના બેરૂત સ્થિત દૂતાવાસમાં જે રીતે કર્મચારીઓને દેશ છોડવાનો ‘આદેશ’ આપવામાં આવ્યો હતો, તેની સરખામણીએ ઇઝરાયેલમાં આ એક ‘સ્વેચ્છિક’ પ્રક્રિયા છે. દૂતાવાસે નાગરિકોને ઇઝરાયેલ અને પશ્ચિમ કાંઠે (West Bank) જવાનું ટાળવા અથવા તેના પર પુનઃવિચાર કરવા સૂચના આપી છે, જ્યારે ગાઝા અને ઉત્તર ઇઝરાયેલ જેવા વિસ્તારોમાં જવાની સખત મનાઈ ફરમાવી છે.
આતંકવાદી હુમલા અને નાગરિક અશાંતિનો ડર
અમેરિકી દૂતાવાસે ચેતવણી આપી છે કે આતંકવાદી જૂથો અને હિંસક ઉગ્રવાદીઓ પ્રવાસન સ્થળો, પરિવહન કેન્દ્રો, બજારો અને સરકારી કચેરીઓને નિશાન બનાવી શકે છે. આ હુમલાઓ કોઈ પણ પૂર્વ ચેતવણી વગર થઈ શકે છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે પ્રાદેશિક તણાવને કારણે એરલાઇન્સ ગમે ત્યારે તેમની ફ્લાઇટ્સ રદ કરી શકે છે, જેના કારણે ભવિષ્યમાં દેશ છોડવો મુશ્કેલ બની શકે છે. હાલમાં ઇઝરાયેલ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાનું વાતાવરણ અત્યંત જટિલ છે અને ગમે ત્યારે હિંસા ભડકી શકે છે.
અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ
આ સમગ્ર ઘટનાક્રમ પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચેનો વધતો જતો ગજગ્રાહ મુખ્ય કારણ માનવામાં આવે છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગેની વાટાઘાટોમાં કોઈ મોટો ઉકેલ ન આવતા સ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેના સૈન્યની મોટી તૈનાતી કરી છે, જ્યારે બીજી તરફ ઈરાને પણ ચેતવણી આપી છે કે જો તેના પર હુમલો થશે તો તે આ પ્રદેશમાં આવેલા અમેરિકી મથકો પર પ્રહાર કરશે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેની દુશ્મનાવટ જગજાહેર છે, અને જો સંઘર્ષ વધે તો આખું ક્ષેત્ર યુદ્ધની ઝપેટમાં આવી શકે છે.

