વોટ્સએપનું નવું ‘યુઝરનેમ’ ફીચર: શું સુરક્ષાના કારણોસર આ ફીચર પર લાગશે રોક?
છેલ્લા કેટલાક સમયથી ટેક દુનિયામાં એક ચર્ચા ખૂબ જ ગરમાઈ છે – વોટ્સએપનું નવું ‘યુઝરનેમ’ (Username) ફીચર. સામાન્ય રીતે વોટ્સએપ વાપરવા માટે મોબાઈલ નંબરની જરૂર પડે છે, પરંતુ મેટા (Meta) હવે એક એવું ફીચર લાવી રહ્યું છે જેનાથી યુઝર્સ પોતાનો નંબર છુપાવીને માત્ર યુઝરનેમ દ્વારા વાતચીત કરી શકશે. સાંભળવામાં આ ફીચર ખૂબ જ આકર્ષક લાગે છે અને પ્રાઈવસી માટે સારું પણ છે, પરંતુ હવે તેના પર સરકારી નિગરાણીના વાદળો ઘેરાઈ રહ્યા છે.

શું છે આ નવું યુઝરનેમ ફીચર?
વોટ્સએપના અત્યારના મોડલ મુજબ, કોઈપણ વ્યક્તિ સાથે વાત કરવા માટે તમારે તમારો ફોન નંબર આપવો પડે છે. ઘણીવાર અજાણ્યા લોકો સાથે વાત કરતી વખતે કે ગ્રુપમાં નંબર શેર કરવાથી પ્રાઈવસી જોખમાતી હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે મેટાએ એક નવું ફીચર જાહેર કર્યું છે, જેમાં યુઝર્સ પોતાનું એક યુનિક ‘યુઝરનેમ’ સેટ કરી શકશે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ ફીચરનો મુખ્ય હેતુ યુઝર્સની પ્રાઈવસીને વધુ મજબૂત બનાવવાનો છે. જ્યારે આ ફીચર સંપૂર્ણપણે લોન્ચ થશે, ત્યારે તમારે તમારો નંબર જાહેર કર્યા વગર કોઈને પણ મેસેજ કરી શકશો અથવા ગ્રુપમાં જોડાઈ શકશો. કંપનીએ તેના બ્લોગ પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે, તેઓએ આ માટે પ્રારંભિક રિઝર્વેશન શરૂ કરી દીધું છે અને આ વર્ષના અંત સુધીમાં તેને સત્તાવાર રીતે લાવવાની તૈયારી છે.
સરકારની ચિંતાનું કારણ: ડિજિટલ ફ્રોડનો ડર
જોકે, આ ફીચર જેટલું ઉપયોગી લાગે છે, તેટલું જ તે સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ પણ માનવામાં આવે છે. તાજેતરના અહેવાલો મુજબ, ભારત સરકાર આ નવા ફીચર પર ગંભીરતાથી નજર રાખી રહી છે. સરકારી અધિકારીઓ અને નિષ્ણાતોને એવી આશંકા છે કે યુઝરનેમ ફીચરનો દુરુપયોગ ડિજિટલ ફ્રોડ (Digital Fraud) કરવા માટે થઈ શકે છે.
મુખ્ય ડર એ છે કે કોઈ વ્યક્તિ ખોટા નામ અથવા સરકારી એજન્સીઓ, બેંકો કે મોટી સંસ્થાઓના નામે મળતા આવતા યુઝરનેમ રાખીને સામાન્ય લોકોને છેતરી શકે છે. ‘ઈમ્પરસોનેશન’ (Impersonation) એટલે કે કોઈ બીજા વ્યક્તિ કે સંસ્થાનો સ્વાંગ રચવો, જે સાયબર ગુનેગારો માટે ખૂબ જ સરળ બની જશે. જો કોઈ ગુનેગાર કોઈ જાણીતી વ્યક્તિ કે સંસ્થાના નામે યુઝરનેમ બનાવી લે, તો સામાન્ય વપરાશકર્તા માટે તે ઓળખવું મુશ્કેલ બની જશે કે સામેવાળી વ્યક્તિ અસલી છે કે નકલી.

સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ
સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી. જો આ ફીચર સુરક્ષાના માપદંડો પર ખરું નહીં ઉતરે અથવા તો તેના કારણે દેશમાં સાયબર ગુનાઓમાં વધારો થવાની સંભાવના જણાય, તો સરકાર મેટાને નોટિસ મોકલીને આ ફીચરને લાગુ કરવા પર રોક લગાવી શકે છે અથવા તેમાં કડક ફેરફારો કરવાની માંગ કરી શકે છે.
ડિજિટલ દુનિયામાં પહેલેથી જ ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. એવામાં કોઈ પણ નવું ફીચર જે લોકોની ઓળખને છુપાવવાની આઝાદી આપે છે, તે કાયદા અમલીકરણ એજન્સીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જો કોઈ ગુનો બને, તો યુઝરનેમ દ્વારા તે વ્યક્તિને પકડવી ખૂબ જ મુશ્કેલ બની જશે, કારણ કે તે કોઈ ટેલિફોન નંબર સાથે જોડાયેલું નહીં હોય.
આગળ શું થઈ શકે?
આ ફીચરને લઈને મેટા અને સરકાર વચ્ચે આગામી દિવસોમાં મંત્રણા થઈ શકે છે. સરકાર ચોક્કસપણે ઈચ્છશે કે મેટા એવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવે જેનાથી યુઝરનેમનો દુરુપયોગ ન થાય. કદાચ સરકાર યુઝરનેમના વેરિફિકેશન માટે કોઈ અલગ સિસ્ટમની માંગ પણ કરી શકે છે.