ઝોહોના સ્થાપકનો સનસનાટીપૂર્ણ ખુલાસો: “અમે લોકોને કાઢ્યા નથી, પણ હવે નવી નોકરીઓ પણ નથી!”
ટેકનોલોજીની દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા પ્રભાવ વચ્ચે આઈટી સેક્ટર માટે એક ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. જોબ માર્કેટમાં આવી રહેલા આ મોટા ફેરફાર પર ‘ઝોહો’ (Zoho) ના સ્થાપક અને જાણીતા ઉદ્યોગપતિ શ્રીધર વેમ્બુએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સંકેત આપ્યો છે કે ભારતીય આઈટી ઉદ્યોગમાં કેપિટલ એટલે કે મૂડીનું મોટું ડાયવર્ઝન થઈ રહ્યું છે. જે પૈસા અગાઉ નવા કર્મચારીઓની ભરતી (Hiring) પાછળ ખર્ચાતા હતા, તે હવે એઆઈ ટેકનોલોજી અને ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વપરાઈ રહ્યા છે.
આના પરિણામે આઈટી ક્ષેત્રમાં નવી રોજગારીનું સર્જન લગભગ અટકી ગયું છે. વેમ્બુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા ભારતના વિશાળ યુવા વર્ગ માટે રોજગારી ઊભી કરવાના પડકાર પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો છે.
The real issue facing our nation is how to create jobs for our massive cohort of youth in this very uncertain global landscape.
Sadly, the IT industry, including Zoho, have not created many jobs in recent years. We have not laid off people but we are not creating new jobs…
— Sridhar Vembu (@svembu) August 2, 2026
“અમે લોકોને કાઢ્યા નથી, પણ નવી નોકરીઓ પણ આપી શકતા નથી”
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આઈટી ઉદ્યોગની વાસ્તવિકતા સ્વીકારતાં શ્રીધર વેમ્બુએ લખ્યું, “દુઃખની વાત એ છે કે ઝોહો સહિત સમગ્ર આઈટી ઉદ્યોગે તાજેતરના વર્ષોમાં નવી નોકરીઓનું સર્જન કર્યું નથી. અમે અમારી કંપનીમાંથી લોકોને છૂટા (Layoff) નથી કર્યા, પરંતુ અમે નવી ભરતીઓ પણ કરી રહ્યા નથી. આજના અસ્થિર વૈશ્વિક વાતાવરણમાં આપણા દેશના કરોડો યુવાનો માટે રોજગારીના નવા અવસરો કેવી રીતે ઊભા કરવા, એ જ અત્યારે સૌથી મોટો અને વાસ્તવિક સોશિયલ-ઇકોનોમિક પડકાર છે.”
તેમના કહેવા મુજબ, આઈટી કંપનીઓ પોતાના બજેટનો મોટો હિસ્સો નવા આઈટી પ્રોફેશનલ્સને લેવાને બદલે એઆઈ સોલ્યુશન્સ, સર્વર્સ અને મેમરી પ્રોસેસર્સ પાછળ ખર્ચી રહી છે.
સર્વર અને મેમરીના ભાવમાં ભડકો: બજેટનું એઆઈ તરફ ડાયવર્ઝન
શ્રીધર વેમ્બુના જણાવ્યા અનુસાર, મૂડીના આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ સર્વર અને મેમરી ચિપ્સની કિંમતોમાં થયેલો અસાધારણ વધારો છે. આઈટી કંપનીઓ એઆઈ ટૂલ્સ અપનાવી રહી છે કારણ કે તે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં પ્રોડક્ટિવિટી (ઉત્પાદકતા) વધારે છે, જેનાથી પ્રોડક્ટ્સ અને સર્વિસિસ સસ્તી અને વધુ સક્ષમ બને છે.
પરંતુ તેમણે અહીં એક મહત્ત્વનો આર્થિક પ્રશ્ન ઊભો કર્યો છે. ઓટોમેશનથી વસ્તુઓ કે સેવાઓ સસ્તી તો બની જશે, પણ જો લોકો પાસે નોકરી જ નહીં હોય તો તેમની પાસે તે ખરીદવાની ક્ષમતા (Income) ક્યાંથી આવશે? વેમ્બુએ ભારપૂર્વક કહ્યું કે, “મુખ્ય પ્રશ્ન એ છે કે આપણું અર્થતંત્ર એવી રીતે રચાયેલું હોવું જોઈએ જેથી લોકો પાસે આ સસ્તા ઉત્પાદનો ખરીદવા માટે પૂરતી આવક હોય.”
યુબીઆઈ (UBI) અને સરકારી મફત યોજનાઓ પર ચર્ચા
રોજગારી ઘટી રહી છે ત્યારે લોકોની આવક જાળવી રાખવા માટે કયા વિકલ્પો હોઈ શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં વેમ્બુએ ‘યુનિવર્સલ બેસિક ઇનકમ’ (UBI) નો ઉલ્લેખ કર્યો.
તેમણે લખ્યું કે, “કેટલાક લોકો માને છે કે આનો ઉકેલ ‘યુનિવર્સલ બેસિક ઇનકમ’ (UBI) છે. ભારત જેવા દેશમાં આ પ્રક્રિયા પહેલેથી જ કોઈને કોઈ સ્વરૂપે ચાલી રહી છે, જેને આપણે સામાન્ય ભાષામાં ‘ફ્રીબીઝ’ (મફત યોજનાઓ) કહીએ છીએ. ભવિષ્યમાં આવી યોજનાઓ માટે સરકાર પર રાજકીય દબાણ વધુ વધશે તે નક્કી છે.”
એટલે કે, જ્યારે ટેકનોલોજીને કારણે નોકરીઓ ઓછી થશે, ત્યારે સરકારોએ ગરીબ અને યુવા વર્ગને આર્થિક ટેકો આપવા માટે આવી કલ્યાણકારી યોજનાઓ પર વધુ નિર્ભર રહેવું પડશે.
સોશિયલ મીડિયા પર કેવી રહી પ્રતિક્રિયાઓ?
શ્રીધર વેમ્બુની આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તીવ્ર પ્રતિક્રિયાઓ આપી હતી અને દેશના અર્થતંત્ર અંગે અલગ-અલગ સુઝાવો રજૂ કર્યા હતા.
એક યુઝરે દેશની અર્થવ્યવસ્થામાં થતા લીકેજ પર ધ્યાન દોરતાં લખ્યું, “અહીં પ્રશ્ન એ છે કે આપણે કયા સામાન પર ખર્ચ કરીએ છીએ—ચાઈનીઝ કે ભારતીય? વિદેશ પ્રવાસનો ખર્ચ અને લક્ઝરી વસ્તુઓની આયાત દેશના અર્થતંત્ર માટે નુકસાનકારક છે, જેને અટકાવવાની જરૂર છે. આ ઉપરાંત, પ્લમ્બર, ઈલેક્ટ્રિશિયન, કેઝ્યુઅલ લેબર અને ઘરઘાટી જેવા અસંગઠિત ક્ષેત્રના કામદારોને કેન્દ્ર સરકારના રજિસ્ટ્રી પ્લેટફોર્મ હેઠળ લાવીને તેમને રેગ્યુલેટ કરવામાં આવે, તો તેનાથી સ્થાનિક સ્તરે રોજગારી અને આવક બંને મજબૂત થશે.”