સોશિયલ મીડિયાથી બજાર સુધીનો સીધો માર્ગ: પરિયા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર ખાતે ઇ-માર્કેટિંગ પર ખેડૂત સેમિનાર
નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, પરીયા ખાતે ફળ પાકોના ઉત્પાદકો માટે “ઇ-માર્કેટિંગ: ખેડૂતો માટે સ્માર્ટ બજારની નવી પહેલ” વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પરંપરાગત બજારની મર્યાદાઓમાંથી બહાર લાવી વૈશ્વિક બજાર અને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ અર્થશાસ્ત્ર વિભાગના વડા ડૉ. નરેન્દ્ર સિંઘએ તમામ મહાનુભાવો અને પ્રગતિશીલ ખેડૂતોનું સ્વાગત કરી ઈ-કોમર્સના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
ઇ-માર્કેટિંગ અને સોશિયલ મીડિયાની શક્તિ
આજના આધુનિક યુગમાં ખેડૂત માત્ર ઉત્પાદક જ નહીં પણ વેપારી બને તે હેતુથી નિષ્ણાતોએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સહ-પ્રાધ્યાપક ડૉ. પરાગ પંડિતે સોશિયલ મીડિયા અને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ફળોનું સીધું વેચાણ કઈ રીતે કરી શકાય તે સફળ ઉદાહરણો સાથે સમજાવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્માએ યુનિવર્સિટીની ‘ઇ-શોપ’ ટેકનોલોજીનો ઉલ્લેખ કરી ખેડૂતોને ડિજિટલ માર્કેટિંગ અપનાવવા હાકલ કરી હતી. આ સાથે જ હરી એગ્રીટેકના મેઘના પટેલે ખેડૂતની દીકરીથી એક સફળ એક્સપોર્ટર બનવા સુધીની પોતાની પ્રેરણાદાયી સફર રજૂ કરી યુવા ખેડૂતોમાં નવો ઉત્સાહ જગાડ્યો હતો.
એફપીઓ (FPO) અને નિકાસ ક્ષેત્રે નવી તકો
ખેડૂતો સંગઠિત થઈને કઈ રીતે મોટો નફો મેળવી શકે તે માટે નાબાર્ડ અને એફપીઓ (Farmer Producer Organization) ના મોડેલ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. નાબાર્ડના ડીડીએમ સોનાલી ભોગાલે બાંદેકરે એફપીઓની રચના અને તેમાં મળતી નાણાકીય સહાય વિશે માહિતી આપી હતી, જ્યારે નિવૃત્ત પ્લાનિંગ ઓફીસર ડૉ. વી.એમ. ઠુમ્મરે એફપીઓના સંચાલન અને સામૂહિક માર્કેટિંગના ફાયદા ગણાવ્યા હતા. વધુમાં, ડૉ. અલ્પેશ લેવાએ નવસારી ખાતે ફળોની નિકાસ (Export) માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓ અને નિકાસ માટેના જરૂરી ધોરણો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
બાગાયતી પાકોમાં વૈજ્ઞાનિક માર્ગદર્શન અને રોગ નિયંત્રણ
સેમિનારના ટેકનિકલ સત્રમાં બદલાતા હવામાન વચ્ચે આંબા જેવા ફળ પાકોની જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. કે.વી.કે. અંભેટીના વડા ડૉ. આર.એફ. ઠાકોરે પ્રતિકૂળ આબોહવામાં ઇ-માર્કેટિંગની અનિવાર્યતા સમજાવી હતી. આંબાના પાકમાં હાલની પરિસ્થિતિમાં જોવા મળતી રોગ-જીવાતના નિયંત્રણ માટે વૈજ્ઞાનિક ડૉ. એસ. એમ. ચવ્હાણે કીટકશાસ્ત્રના દ્રષ્ટિકોણથી સચોટ ઉપાયો બતાવ્યા હતા. કાર્યક્રમના અંતે ડૉ. સાગર પાટીલ અને ડૉ. ચિરાગ પટેલે ‘ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ’ (GAP) વિશે માહિતી આપી ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કર્યું હતું.
