છેવાડાના આદિવાસી વિસ્તારોમાં પોષણની લડાઈમાં મોટી સફળતા: વલસાડ જિલ્લાના ડીઘી આંગણવાડી બન્યું જીવંત ઉદાહરણ
“સ્વસ્થ બાળક, સ્વસ્થ રાષ્ટ્ર”ના સૂત્રને સાર્થક કરતા વલસાડ જિલ્લામાં કુપોષણ નાબૂદી માટેના ‘પોષણ સંગમ કાર્યક્રમ’ના શાનદાર પરિણામો મળ્યા છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લા વહીવટી તંત્ર અને આઈ.સી.ડી.એસ. શાખાના સઘન પ્રયાસોથી ૩૦,૨૯૪ બાળકો કુપોષણની જાળમાંથી મુક્ત થઈ તંદુરસ્ત શ્રેણીમાં આવ્યા છે. ખાસ કરીને ધરમપુર, કપરાડા અને ઉમરગામ જેવા આદિવાસી વિસ્તારોમાં આ અભિયાનને કારણે બાળકોના સ્વાસ્થ્યમાં મોટો સુધારો જોવા મળ્યો છે.
અંતરિયાળ રોહિયાળ જંગલ ગામમાં આંગણવાડીની સરાહનીય કામગીરી
કપરાડા તાલુકાના દુર્ગમ પહાડી વિસ્તારમાં આવેલા રોહિયાળ જંગલ ગામની ડીઘી આંગણવાડી કેન્દ્રમાં વિકાસના દ્રશ્યો નજરે પડે છે. અહીં નોંધાયેલા ૫૩ બાળકોને રમતા-રમતા શિક્ષણની સાથે પૂરતું પોષણ મળી રહે તે માટે આંગણવાડી કાર્યકર ચંદ્રભાગાબેન ચૌધરી અને તેમની ટીમ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. બાળકોને રોજ મેનુ મુજબ નાસ્તો, ફ્લેવર્ડ મિલ્ક અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે, જે છેવાડાના ગામડાઓ સુધી સરકારી સેવાઓ પહોંચ્યાનું ઉત્તમ ઉદાહરણ છે.
પોષણ સંગમ અભિયાનના ત્રણ સફળ તબક્કા અને માઈક્રો પ્લાનિંગ
જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ પોષણ સંગમ ફેઝ-૧ અને ૨ ના પરિણામે અતિ ગંભીર કુપોષિત (SAM) ૩,૯૧૪ બાળકો અને ઓછું વજન ધરાવતા ૧૦,૨૮૯ બાળકો હવે તંદુરસ્ત થયા છે. આ સફળતા બાદ હવે ફેઝ-૩ હેઠળ ૧૦,૨૫૪ બાળકોને આવરી લેવા માટે ખાસ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આંગણવાડી કાર્યકરો ઘરે-ઘરે જઈને બાળકોના વજન અને ઊંચાઈની માપણી કરી તેમને જરૂરી પૂરક આહાર અને દવાઓ પહોંચાડી રહ્યા છે.
સગર્ભા અને ધાત્રી માતાઓની વિશેષ સંભાળ સાથે જનજાગૃતિ
આંગણવાડી કેન્દ્રોમાં માત્ર બાળકો જ નહીં, પરંતુ સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણની પણ પૂરતી કાળજી લેવામાં આવે છે. મહિનાના દરેક મંગળવારે સુપોષણ સવાર, બાળતુલા દિવસ, અન્નપ્રાશન અને અન્ન વિતરણ (THR) જેવા કાર્યક્રમો યોજીને માતાઓને પોષણયુક્ત આહાર અને આયર્નની ગોળીઓ આપવામાં આવે છે. લાભાર્થી માતા કવિતાબેન ટોકરે પણ સરકારની આ કામગીરીનો આભાર માનતા જણાવ્યું હતું કે આ સુવિધાઓને કારણે તેઓ અને તેમનું બાળક બંને આજે સંપૂર્ણ સ્વસ્થ છે.

