નેશનલ લેપ્રસી ઈરેડીકેશન પ્રોગ્રામ હેઠળ આણંદમાં માનવ અધિકાર આયોગની મુલાકાત અને વિશેષ પ્રશંસા
નેશનલ લેપ્રસી ઈરેડીકેશન પ્રોગ્રામ હેઠળ આણંદ જિલ્લાને રક્તપિત્તથી મુક્ત કરવા માટે “Ending Stigma, Embracing Dignity” ના સૂત્ર સાથે ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન’ (SLAC) ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર જિલ્લામાં વ્યાપક કાર્યક્રમો યોજાયા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં રક્તપિત્ત અંગેની વૈજ્ઞાનિક સમજ વધારવી, નવા દર્દીઓની શોધ કરવી અને સમાજમાં આ રોગ પ્રત્યેના ભેદભાવને દૂર કરવાનો છે.
દર્દીઓને મફત સારવાર, પૌષ્ટિક આહાર અને તબીબી સહાય
આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ દરમિયાન રક્તપિત્તના કુલ ૩૭૦ કેસો નોંધાયા છે. આ તમામ દર્દીઓને પેટલાદ સ્થિત જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે MDT દવાઓ, ખાસ પ્રકારના શૂઝ (MCR), અલ્સર કીટ અને ચાલવા માટેની લાકડી જેવી જીવનજરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા દર્દીઓ પૌષ્ટિક આહાર લઈ શકે તે માટે સારવારના સમયગાળા દરમિયાન દર મહિને આર્થિક સહાય પણ સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા આણંદની કામગીરીની પ્રશંસા
ગુજરાતમાં સૌપ્રથમ વાર આણંદ જિલ્લામાં નેશનલ હ્યુમન રાઈટ કમિશન (દિલ્હી) દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કમિશનની સૂચના મુજબ જિલ્લામાં ખાસ ‘લેપ્રસી કો-ઓર્ડિનેશન કમિટી’ની રચના કરવામાં આવી છે, જે રક્તપિત્તથી અસરગ્રસ્ત લોકોને સરકારી યોજનાઓના લાભ અપાવવાનું કામ કરે છે. જિલ્લા વહીવટી તંત્રની આ કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી છે. ખાસ કરીને સ્લમ વિસ્તારો, શાળાઓ અને ઈંટોના ભઠ્ઠા જેવા વિસ્તારોમાં જઈને લોકોમાં રક્તપિત્ત પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનું અસરકારક કામ થયું છે.
વિવિધ સરકારી યોજનાઓ હેઠળ મળેલા સીધા લાભો
આ અભિયાન દરમિયાન રક્તપિત્તના દર્દીઓને વિવિધ વિભાગો દ્વારા અનેક લાભો આપવામાં આવ્યા છે. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ૯ લાભાર્થીઓને માસિક ૧૦૦૦ રૂપિયાનું પેન્શન અને ૧૪ લોકોને મફત ST બસ પાસ અપાયા છે. પુરવઠા વિભાગ દ્વારા ૭૨૬ પરિવારોને રાહતદરે અનાજ અને આરોગ્ય વિભાગ દ્વારા ૯૧ દર્દીઓને કુલ ૭.૧૦ લાખ રૂપિયાની તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે. પેટલાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ કેમ્પ યોજીને ૭૫ દર્દીઓને ડિસેબિલિટી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે, જેથી તેઓ ભવિષ્યમાં અન્ય સરકારી લાભો મેળવી શકે.
