અંકલેશ્વર–રાજપીપલા હાઈસ્પીડ કોરિડોર સહિત મોટા પ્રોજેક્ટ્સ સાથે ભરૂચના વિકાસને મળશે નવી ગતિ
ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે આયોજિત ‘વિકાસ ઉત્સવ’ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લાને અંદાજિત રૂ. ૧૩૫૦ કરોડથી વધુના ૧૩૯ વિકાસકાર્યોની ભેટ આપશે. આ પ્રકલ્પોમાં જિલ્લા પંચાયત, આરોગ્ય, શિક્ષણ અને માર્ગ-મકાન વિભાગના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ જિલ્લાના નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરવાનો અને માળખાગત સુવિધાઓને નવી ઊંચાઈએ લઈ જવાનો છે.
ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પંચાયતી રાજનું સશક્તિકરણ
જિલ્લા પંચાયત હસ્તક રૂ. ૩૦૯ કરોડના ખર્ચે ૯૫ જેટલા વિકાસ કાર્યો હાથ ધરાયા છે, જેમાં ગ્રામ્ય રસ્તાઓ અને છ જેટલા નાના પુલોના નિર્માણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પંચાયતી રાજને વધુ મજબૂત બનાવવા માટે રૂ. ૧૬ કરોડના ખર્ચે ૬૪ નવા ગ્રામ પંચાયત ભવનો બનાવવામાં આવશે. નર્મદા પરિક્રમાર્થીઓની સુવિધા માટે જિલ્લામાં ૮ નવા વિશ્રામ હોલ અને સ્થાનિકો માટે ભરૂચ, નેત્રંગ, રાજપારડી તથા જંબુસરમાં અત્યાધુનિક શોપિંગ સેન્ટર કમ રેસ્ટ હાઉસનું નિર્માણ પણ કરવામાં આવશે.
શિક્ષણ, આરોગ્ય અને રમતગમત ક્ષેત્રે નવી સુવિધાઓ
જિલ્લાના વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૨.૪૦ કરોડના ખર્ચે નવી શાળાઓ અને વર્ગખંડો તૈયાર કરવામાં આવ્યા છે, જેનો લાભ અંદાજે ૩૦૦૦ વિદ્યાર્થીઓને મળશે. આરોગ્ય ક્ષેત્રે રૂ. ૩.૭૪ કરોડના ખર્ચે ૮ નવા પેટા આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ થવાથી ૨૦,૦૦૦ જેટલા લોકોને ઘરઆંગણે પ્રાથમિક સારવાર મળી રહેશે. તેમજ ભરૂચ ખાતે રૂ. ૧૩.૬૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું જિલ્લા કક્ષાનું રમતગમત સંકુલ યુવાનોને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે, જેનો લાભ લાખો નાગરિકોને મળશે.
હાઈસ્પીડ કોરિડોર અને કનેક્ટિવિટીને વેગ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા કનેક્ટિવિટી વધારવા માટે રૂ. ૯૮૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ રૂ. ૭૬૫ કરોડના ખર્ચે તૈયાર થનાર અંકલેશ્વર–રાજપીપલા હાઈસ્પીડ કોરિડોર છે. આ ઉપરાંત અંકલેશ્વર એર સ્ટ્રીપના બીજા તબક્કાનું કામ પણ શરૂ કરવામાં આવશે. આ મોટા પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક અને પરિવહન ક્ષેત્રે મોટું પરિવર્તન આવશે અને ત્રણ લાખથી વધુ નાગરિકોને તેનો સીધો ફાયદો થશે.
