જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-Dની જોગવાઈમાં કરાયો સુધારો; ૩૦ દિવસની નોટિસમાંથી નાગરીકોને મુક્તિ મળશે: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહેસૂલ વિભાગમાં પારદર્શિતા લાવવા અને સામાન્ય જનતાને બ્લેકમેલિંગ તથા લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી મુક્તિ અપાવવા માટે એક ક્રાંતિકારી અને સાહસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ મહત્વપૂર્ણ સુધારા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯”ની કલમ ૧૩૫-Dમાં ઐતિહાસિક ફેરફારો કરવામાં આવ્યા છે.
શું હતો જૂનો નિયમ અને કેમ બદલાયો?
અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારમાં ૩૦ દિવસની ફરજિયાત નોટિસ આપવી પડતી હતી. આ સમયગાળા દરમિયાન ઘણા અસામાજિક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને ખરીદનાર કે વેચનાર પાસેથી નાણાં પડાવવાનું એટલે કે બ્લેકમેલિંગ કરવાનું કામ કરતા હતા. આ જટિલતાને દૂર કરવા અને ખેડૂતો તથા મધ્યમ વર્ગના હિતમાં હવે ૩૦ દિવસની નોટિસના સમયગાળામાંથી મુક્તિ આપવામાં આવી છે.
કયા કિસ્સામાં તે જ દિવસે નોંધ પડશે? (નોટિસ વગર મુક્તિ)
જો નીચેની શરતોનું પાલન થતું હશે, તો ૧૩૫-Dની નોટિસ વગર તે જ દિવસે વેચાણ દસ્તાવેજની ‘પાકી એન્ટ્રી’ કરવામાં આવશે:
-
જમીનના રેકોર્ડ પર છેલ્લા એક વર્ષથી કોઈ ફેરફાર નોંધ ન હોય.
-
જમીન પર કોઈ લિટીગેશન (કોર્ટ કેસ) કે દાવો પડતર ન હોય અને કબજો શાંત હોય.
-
૭/૧૨ના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય.
-
અદાલત કે ટ્રિબ્યુનલના હુકમોની અમલાવારી વખતે પણ હવે નોટિસની જરૂર રહેશે નહીં.
૭ દિવસની નોટિસ ક્યારે લાગુ થશે?
ચોક્કસ તપાસની જરૂર હોય તેવા કિસ્સામાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરવામાં આવ્યો છે:
-
જો વેચાણ પાવર ઓફ એટર્ની (PoA) દ્વારા કરવામાં આવ્યું હોય.
-
જો એક વર્ષની અંદર રેકોર્ડમાં કોઈ ફેરફાર થયો હોય.
-
૭/૧૨માં દેખાતા તમામ વ્યક્તિઓની દસ્તાવેજમાં સહી ન હોય અથવા કોઈ કેસ પેન્ડિંગ હોય.
આ નિર્ણયથી જનતાને શું ફાયદો થશે?
૧. બ્લેકમેલિંગ બંધ થશે: જૂના બાનાખત કે કાચી ચિઠ્ઠીના આધારે ખોટા વાંધા ઉઠાવીને રકમ પડાવતા તત્વો પર લગામ લાગશે.
૨. ઝડપી નિકાલ: રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા કેસોનો ઝડપથી નિકાલ આવશે.
૩. રહેણાંક મિલકતોમાં રાહત: આ સુધારો માત્ર ખેતીની જમીન જ નહીં, પણ ફ્લેટ, દુકાન અને મકાન ખરીદનારા સામાન્ય નાગરિકો માટે પણ આશીર્વાદરૂપ છે.
૪. વારસદારોને સરળતા: સીધી લીટીના વારસદારો વચ્ચે થતી મિલકતની તબદીલીમાં બિનજરૂરી હેરાનગતિ બંધ થશે.

