ઈરાન યુદ્ધ વિરામ કરવાના મૂડમાં નથી: અરાગચીએ કહ્યું- ‘અમેરિકા સાથે કોઈ સંપર્ક નથી, તેલના વેપારીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે’
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો જંગ વધુ ઉગ્ર બની રહ્યો છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ અમેરિકી મીડિયાના એ અહેવાલોનું સખત શબ્દોમાં ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ અમેરિકી દૂત સ્ટીવ વિટકોફના સંપર્કમાં છે. અરાગચીએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકી રાજદૂત સાથે તેમની છેલ્લી વાતચીત વોશિંગ્ટન દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો તે પહેલા થઈ હતી. તેમના આ કડક વલણથી સંકેત મળી રહ્યા છે કે ઈરાન હાલમાં યુદ્ધ સમાપ્ત કરવાના પક્ષમાં નથી.
સોશિયલ મીડિયા પર અમેરિકાને આપ્યો વળતો જવાબ
અરાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “મિસ્ટર વિટકોફ સાથે મારો છેલ્લો સંપર્ક ત્યારે થયો હતો જ્યારે તેમના એમ્પ્લોયર (અમેરિકા) એ ઈરાન પર ગેરકાયદેસર સૈન્ય હુમલો કરીને મુત્સદ્દીગીરીનો અંત લાવવાનો નિર્ણય લીધો ન હતો. આ સિવાયના કોઈપણ દાવાઓ સંપૂર્ણપણે તેલના વેપારીઓ અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાના ઈરાદાથી કરવામાં આવ્યા હોય તેવું લાગે છે.” એવું માનવામાં આવે છે કે અમેરિકા હવે ઈરાન પર મનોવૈજ્ઞાનિક દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ઈરાને તેને ફગાવી દીધું છે.
ટેક્સ્ટ મેસેજ મોકલવાના દાવા પર વિવાદ
અમેરિકન ન્યૂઝ આઉટલેટ ‘Axios’ એ તાજેતરમાં એક અહેવાલમાં દાવો કર્યો હતો કે વિટકોફ અને અરાગચી વચ્ચે ફરીથી વાતચીતનો દોર શરૂ થયો છે. રિપોર્ટમાં અમેરિકી સૈન્ય અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે અરાગચીએ વિટકોફને ટેક્સ્ટ મેસેજ મોકલ્યા હતા. જોકે, અરાગચીએ આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે અને કહ્યું છે કે તેમણે કોઈ મેસેજ મોકલ્યા નથી કે મળવાનો પ્રયાસ પણ કર્યો નથી.
વાતચીતનો કોઈ એજન્ડા નથી
કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ, પરમાણુ મંત્રણાને લઈને અરાગચી અને વિટકોફ વચ્ચે ભૂતકાળમાં ત્રણ વખત વાતચીત થઈ હતી, જે 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધ પહેલાની હતી. અરાગચીએ અગાઉ પણ કહ્યું છે કે અમેરિકા સાથે વાતચીતનો નવો કોઈ રાઉન્ડ તેમના એજન્ડામાં સામેલ નથી. ઈરાનનું માનવું છે કે એક તરફ અમેરિકા વાતચીતની દરખાસ્ત મૂકે છે અને બીજી તરફ ઈઝરાયેલ દ્વારા ગેરકાયદેસર હુમલાઓ કરાવે છે, જે સ્વીકાર્ય નથી.
My last contact with Mr. Witkoff was prior to his employer’s decision to kill diplomacy with another illegal military attack on Iran.
Any claim to the contrary appears geared solely to mislead oil traders and the public.
— Seyed Abbas Araghchi (@araghchi) March 16, 2026
આત્મરક્ષણનો અધિકાર અને સરેન્ડર કરવાનો ઇનકાર
ઈરાન સતત કહી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેમને આત્મરક્ષણનો સંપૂર્ણ અધિકાર છે. અમેરિકા અને ઈઝરાયેલ તરફથી વાતચીત માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને વાતચીત કરીને શરણાગતિ સ્વીકારવા કહ્યું હતું, જેના પર વળતો પ્રહાર કરતા ઈરાની વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં આત્મસમર્પણ કરશે નહીં.
