ઈઝરાયેલમાં સૈન્ય સંકટ: નેતન્યાહુ સામે સૌથી મોટો પડકાર અને આઈડીએફ ચીફની ચેતવણી
ઈઝરાયેલ અત્યારે ઈતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ઈરાન, ગાઝા, લેબનોન અને સીરિયા જેવા મોરચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ દેશની અંદર સૈન્ય શક્તિને લઈને મોટો વિવાદ સર્જાયો છે. હાલમાં જ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) ના પ્રમુખ જનરલ ઈયાલ જમીરે કેબિનેટ મીટિંગમાં જે નિવેદન આપ્યું છે, તેણે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઉંઘ ઉડાવી દીધી છે. જમીરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો ઈઝરાયેલની સેના ટૂંક સમયમાં ‘કોલેપ્સ’ એટલે કે પડી ભાંગશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયેલ તેની અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે.
સેનામાં જનશક્તિની ભારે અછત
જમરના મતે ઈઝરાયેલ અત્યારે માત્ર બહારના દુશ્મનો સામે જ નથી લડી રહ્યું, પરંતુ તેની અંદરની વ્યવસ્થા પણ નબળી પડી રહી છે. ઈઝરાયેલની સેનામાં હાલમાં ૧,૭૦,૦૦૦ સક્રિય સૈનિકો છે અને આશરે ૪ લાખ રિઝર્વ સૈનિકો છે. ઓક્ટોબર ૨૦૨૩ થી સતત ચાલી રહેલા યુદ્ધને કારણે આ રિઝર્વ સૈનિકો લાંબા સમયથી મેદાનમાં છે. જનરલ જમીરે કહ્યું કે, “રિઝર્વ સૈનિકોના ભરોસે લાંબુ યુદ્ધ લડી શકાતું નથી. તેમની પણ મર્યાદા હોય છે.” રિપોર્ટ્સ મુજબ, સેનામાં હાલમાં ૧૫,૦૦૦ સૈનિકોની અછત છે, જેમાં ૮,૦૦૦ તો ફ્રન્ટલાઈન પર લડતા લડાયક સૈનિકો છે. જ્યારે કામનું ભારણ વધી રહ્યું છે અને સૈનિકોની સંખ્યા ઘટી રહી છે, ત્યારે સેનાની કાર્યક્ષમતા પર ગંભીર અસર પડી રહી છે.
૧૦ મોટા જોખમો અને હરેદી સમુદાયનો વિવાદ
કેબિનેટ મીટિંગ દરમિયાન જમીરે ૧૦ એવા જોખમો ગણાવ્યા જે સેનાના પતનનું કારણ બની શકે છે. આમાં સૌથી મોટો મુદ્દો ‘કાયદાકીય સુધારા’નો છે. ઈઝરાયેલમાં લાંબા સમયથી ‘હરેદી’ (કટ્ટરપંથી યહૂદી) સમુદાયને સૈન્ય સેવામાંથી મુક્તિ મળેલી છે. યુદ્ધની આ ગંભીર સ્થિતિમાં હવે એ માંગ ઉઠી રહી છે કે આ સમુદાયના યુવાનોએ પણ સેનામાં જોડાવું જોઈએ. જોકે, હરેદી સમુદાય તેનો સખત વિરોધ કરી રહ્યો છે. નેતન્યાહુ માટે આ ધર્મસંકટ જેવી સ્થિતિ છે, કારણ કે તેમની સરકાર ટકાવી રાખવા માટે આ સમુદાયના રાજકીય પક્ષોનો ટેકો અનિવાર્ય છે. બીજી તરફ, જો સેનામાં નવા સૈનિકો નહીં આવે, તો યુદ્ધ જીતવું અશક્ય બની જશે.
નેતન્યાહુની મુશ્કેલીઓ અને ભવિષ્યની રણનીતિ
રક્ષામંત્રી ઈઝરાયેલ કેન્ટે પણ આ બાબતે કડક વલણ અપનાવતા કહ્યું છે કે જે લોકો સેનામાં નથી જોડાઈ રહ્યા, તેમના માટે સંસદમાં નવો કાયદો લાવવો પડશે. વડાપ્રધાન નેતન્યાહુએ આ સમસ્યા પ્રત્યે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને ટૂંક સમયમાં ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું કાયદો બદલવાથી રાતોરાત સૈનિકો મળી જશે? અને શું આ આંતરિક વિખવાદ ઈરાન જેવા શક્તિશાળી દુશ્મન સામે ઈઝરાયેલને નબળું પાડી દેશે? ઈઝરાયેલ અત્યારે પાંચ અલગ-અલગ મોરચે (ગાઝા, સીરિયા, લેબનોન, ઈરાન અને ઈરાક) લડી રહ્યું છે. આવી સ્થિતિમાં સૈન્ય ચીફની આ “આંખ ઉઘાડનારી” ચેતવણી નેતન્યાહુ માટે એક મોટું એલાર્મ છે. જો ઈઝરાયેલ પોતાની સૈન્ય ભરતી અને વ્યવસ્થામાં જલ્દી સુધારો નહીં કરે, તો યુદ્ધના મેદાનમાં મળેલી જીત પણ લાંબો સમય ટકશે નહીં.

