શું દેહરીગામના ૧૪૦૦ ગાયબ મતદારોનો વિવાદ મામલતદારના જીવનો દુશ્મન બન્યો? તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મામલતદારે અચાનક જીવન ટૂંકાવતા સમગ્ર જિલ્લાના વહીવટી આલમમાં શોકની સાથે ચર્ચાઓનો દોર શરૂ થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના પાછળ કામનું ભારે દબાણ એટલે કે ‘વર્ક લોડ’ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ પડદા પાછળની વાસ્તવિકતા કંઈક અલગ હોવાની આશંકાઓ પણ નકારી શકાતી નથી. સરકારી અધિકારીઓ પર સતત વધતું કામનું ભારણ અને ઉપરથી આવતા આદેશો વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બનતું હોય છે, જે ઘણીવાર માનસિક તણાવમાં પરિણમે છે. આ ઘટનાએ ફરી એકવાર ઉચ્ચ સ્તરેથી આવતા દબાણ અને અધિકારીઓની માનસિક સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ આત્મહત્યા પાછળ રાજકીય દબાણ (Political Pressure) હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. ખાસ કરીને અગાઉ ઉમરગામના દેહરીગામમાં ૧૪૦૦ જેટલા મતદારોના નામ ગાયબ હોવાનો મુદ્દો ભારે ગાજ્યો હતો. મતદાર યાદીમાં આટલી મોટી ગેરરીતિ સામે આવતા તંત્રની કામગીરી પર માછલાં ધોવાયા હતા અને આ વિવાદમાં મામલતદાર કચેરી સીધી રીતે કેન્દ્રસ્થાને હતી. શું આ વિવાદને લઈને કોઈ ઉચ્ચ કક્ષાનું દબાણ હતું કે પછી આ ભૂલની જવાબદારીનો બોજ અસહ્ય બન્યો હતો? તે તપાસનો વિષય છે.
સ્થાનિક સ્તરે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, મહત્વના પ્રોજેક્ટ્સ અને સંવેદનશીલ ભૌગોલિક સ્થિતિ ધરાવતા ઉમરગામમાં વહીવટી નિર્ણયો લેતી વખતે અધિકારીઓએ ઘણીવાર બેવડા દબાણનો સામનો કરવો પડે છે. એક તરફ કાયદાનું પાલન અને બીજી તરફ સ્થાનિક રાજકીય હિતો વચ્ચે મામલતદાર જેવા જવાબદાર હોદ્દા પર બેઠેલી વ્યક્તિ પીસાતી હોય છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે ઊંડી તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ સુસાઈડ નોટ અથવા અન્ય પુરાવા મળે તો જ સ્પષ્ટ થશે કે આ પગલું માત્ર કામના ભારણને લીધે હતું કે પછી કોઈ ચોક્કસ રાજકીય ષડયંત્ર કે દબાણનું પરિણામ. તટસ્થ તપાસ જ આ ઘટના પાછળના સત્યને બહાર લાવી શકશે.

