ફળ નહીં, ઝેર વેચાઈ રહ્યું છે! કેમિકલથી પકવેલા ફળો પર FSSAIની તલવાર, દેશભરમાં હાઈ એલર્ટ
તમારા ડાઈનિંગ ટેબલ પર સજાવેલા ચળકતા અને સુંદર દેખાતા ફળો કદાચ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન નહીં પણ અભિશાપ સાબિત થઈ શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તાજેતરમાં એક મોટું એલર્ટ જાહેર કર્યું છે. સત્તાધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે વપરાતા ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ હવે બિલકુલ સહન કરવામાં આવશે નહીં. આ મામલે તમામ રાજ્યોના ફૂડ સેફ્ટી ઓફિસરોને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ બજારો અને ગોદામોમાં કડક તપાસ શરૂ કરે.
કેલ્શિયમ કાર્બાઈડ: ફળોમાં છુપાયેલું ધીમું ઝેર
FSSAI એ ગુરુવારે જારી કરેલા આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ‘કેલ્શિયમ કાર્બાઈડ’ જેવા કેમિકલ્સનો ઉપયોગ સદંતર પ્રતિબંધિત છે. આ કેમિકલ, જેને સામાન્ય ભાષામાં ‘મસાલો’ પણ કહેવામાં આવે છે, તે ફળોને અકાળે અને ઝડપથી પકવવા માટે વપરાય છે.
ખાસ કરીને કેરી, કેળા અને પપૈયા જેવા ફળોને આ રીતે પકવવામાં આવે છે. તેનાથી ફળ બહારથી તો એકદમ પીળું અને પાકેલું દેખાય છે, પરંતુ તેની અંદર કુદરતી મીઠાશ કે પોષક તત્વો હોતા નથી. આ કેમિકલના સંપર્કથી ઉલટી, ત્વચાની એલર્જી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
કેમિકલના દ્રાવણમાં ડૂબાડીને પકવવાની નવી યુક્તિ
તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક વેપારીઓ હવે માત્ર ગેસ કે પાવડર જ નહીં, પણ ‘એથિફોન’ જેવા કેમિકલના દ્રાવણમાં ફળોને ડૂબાડીને પકવવાની કોશિશ કરી રહ્યા છે. FSSAI એ આ પદ્ધતિ પર પણ સખત પ્રતિબંધ લાદ્યો છે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર સુરક્ષિત અને નિર્ધારિત નિયમો હેઠળ ‘એથિલિન ગેસ’ નો ઉપયોગ જ માન્ય છે, તે પણ ચોક્કસ સાંદ્રતામાં.
રાજ્યોના ફૂડ સેફ્ટી ઓફિસરોને ‘ફ્રી હેન્ડ’
હવે માત્ર કાગળ પરના આદેશો નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર કાર્યવાહીની તૈયારી છે. તમામ ફૂડ સેફ્ટી ઓફિસરોને નીચે મુજબના નિર્દેશો આપવામાં આવ્યા છે:
દરોડા અને તપાસ: ફળોની મંડીઓ, મોટા ગોદામો અને જથ્થાબંધ બજારોમાં ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ અને દરોડા પાડવામાં આવશે.
કાનૂની કાર્યવાહી: જો કોઈ વેપારી પાસે કેલ્શિયમ કાર્બાઈડ કે અન્ય ગેરકાનૂની કેમિકલ મળી આવશે, તો તેના પર ભારે દંડની સાથે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.
ટેસ્ટ પેપરનો ઉપયોગ: હવે અધિકારીઓ પાસે ખાસ પ્રકારના ટેસ્ટ પેપર હશે, જેનાથી સ્થળ પર જ તપાસ કરી શકાશે કે ફળને કુદરતી રીતે પકવવામાં આવ્યું છે કે કેમિકલથી.
ગ્રાહકોએ શું ધ્યાન રાખવું જોઈએ?
બજારમાં ખરીદી કરવા જતી વખતે આપણે પણ થોડી સાવચેતી રાખવી જરૂરી છે:
૧. દેખાવ પર ન જાઓ: જો કોઈ ફળ આખું એકદમ સમાન રીતે પીળું હોય (જેમ કે કેરી કે કેળા), તો તે કેમિકલથી પકવ્યું હોવાની શક્યતા વધુ છે. કુદરતી રીતે પાકેલા ફળમાં ક્યાંક લીલાશ કે ડાઘ હોઈ શકે છે.
૨. પાણીમાં ટેસ્ટ: કેમિકલથી પકવેલી કેરી પાણીમાં નાખતા ઉપર તરે છે, જ્યારે કુદરતી રીતે પાકેલી કેરી મોટે ભાગે તળિયે બેસી જાય છે.
૩. ધોઈને ઉપયોગ: કોઈ પણ ફળ ખાતા પહેલા તેને ઓછામાં ઓછા ૧૫-૨૦ મિનિટ પાણીમાં પલાળી રાખો અને પછી જ ખાઓ.

